You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુલવામામાં CRPF પર હુમલો સુરક્ષામાં ચૂકના કારણે થયો?
- લેેખક, રિયાઝ મસરુર
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર
જમ્મુ-કાશ્મીરના ગુપ્તચર વિભાગનું કહેવું છે કે કાશ્મીરના પુલવામામાં અર્ધસૈનિક દળો પર થયેલા ઘાતક હુમલાને ટાળી શકાયો હોત.
આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનોનાં મોત થયાં છે અને કેટલાક જવાનો ઘાયલ થયા છે.
એક ઉચ્ચસુરક્ષા અધિકારીએ બીબીસીને જણાવ્યું કે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓને 12 ફેબ્રુઆરીના રોજ એલર્ટ કરવામાં આવી હતી.
એવું જણાવવામાં આવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ સુરક્ષાદળો પર મોટો હુમલો કરી શકે છે.
પુલવામાં હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદએ લીધી છે.
બીબીસીને વિશ્વનીય સૂત્રોથી જાણકારી મળી છે કે હુમલાના તુરંત બાદ પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ આ વાત જણાવી હતી.
જૈશ-એ-મોહમ્મદે એક વીડિયો જારી કર્યો છે જેમાં અફઘાનિસ્તાનમાં આ પ્રકારનો થયેલો હુમલો બતાવવામાં આવ્યો હતો.
સંગઠને દાવો કર્યો હતો કે જુલમોનો બદલો લેવા તેઓ કાશ્મીરમાં પણ આ પ્રકારનો હુમલો કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વીડિયોના આધારે જ રાજ્યના ગુપ્તચર વિભાગે જાણકારી આપી હતી.
ઓળખાણ જાહેર ન કરવાની શરતે એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે જો સ્ટેટ ઇન્ટેલિજન્સના ઇનપુટ નવી દિલ્હી સાથે પહેલાં જ શૅર કરવામાં આવ્યા હતા તો 14 ફેબ્રુઆરીનો પુલવામામાં થયેલો હુમલો દેખીતી રીતે સુરક્ષામાં એક ગંભીર ચૂક છે.
આ પ્રકારનો હુમલો પ્રથમવાર
1998માં કારગિલ યુદ્ધ બાદ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાએ અનેક આત્મઘાતી હુમલા કર્યા હતા.
જોકે, આ તમામ હુમલાઓને અંજામ આપનારા પાકિસ્તાની નાગરિકો હતા.
આવું પ્રથમવાર બન્યું છે કે જ્યારે જૈશએ દાવો કર્યો છે કે પુલવામાના સ્થાનિક યુવક આદિલ ઉર્ફ વકાસ કમાન્ડોએ આ ગતિવિધિને અંજામ આપ્યો છે.
આ હુમલો એટલો ખતરનાક હતો કે તેની ઝપેટમાં આવેલી એક બસ લોખંડના કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.
આ બસમાં ઓછામાં ઓછા 44 સીઆરપીએફના જવાનો સવાર હતા.
વહીવટી તંત્રનું કહેવું છે કે આ કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો.
આ જવાનોને આગામી સંસદ અને વિધાનસભા ચૂંટણીઓ પહેલાં શ્રીનગર અને દક્ષિણ કાશ્મીર જિલ્લામાં તૈનાત કરવામાં આવવાના હતા.
જીવ ગુમાવનારા મોટાભાગના જવાનો બિહારના રહેવાસી હતા.
એવું માનવામાં આવે છે કે ભારતના ગૃહમંત્રી રાજનાથસિંહ શુક્રવારે કાશ્મીરની મુલાકાત લેવાના છે અને ઘાટીમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી શકે છે.
તેનો કાશ્મીરનો આ પ્રવાસ આગામી ચૂંટણીઓને જોતાં પણ ખૂબ મહત્ત્વનો છે.
તેમની યાત્રા પહેલાં રાજ્ય પોલીસે કેન્દ્રને જણાવ્યું છે કે રાજ્યની ગુપ્તચર એજન્સીઓએ પહેલાંથી જ આ પ્રકારના હુમલાઓને લઈને ચેતવણી આપી હતી. એવામાં રાજનાથસિંહની મુલાકાત ખૂબ મહત્ત્વની બની રહેશે.
જોકે, શ્રીનગર-લેથપોડા વચ્ચેના હાઈવે પર ઉગ્રવાદીઓ આ પ્રકારના હુમલાઓને અંજામ આપતા રહ્યા છે.
જોકે, ગુરુવારે થયેલો હુમલો અનેક વર્ષોમાં થયેલો આ પ્રકારનો પ્રથમ હુમલો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો