You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS : શશી થરૂરે કહ્યું, 'કોઈ સારો હિંદુ બાબરીની જગ્યાએ મંદિર નહીં ઈચ્છે'
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે 'ધ હિંદુ ' અખબારના એક કાર્યક્રમમાં કહ્યું છે કે કોઈ પણ સારો હિંદુ બાબરી મસ્જિદની જગ્યા પર મંદિર નહીં ઈચ્છે.
કાર્યક્રમ દરમિયાન એમણે એમ પણ કહ્યું કે આવતા અમુક મહિનાઓમાં ભારતમાં સાંપ્રદાયિક તણાવ વધારે હેરાન કરશે.
થરુરે કહ્યું છે કે મને લાગે છે કે આપણે પોતાને હજુ વધારે શાંત વાતાવરણ માટે તૈયાર કરવા જોઈએ.
પોતાની વાત આગળ વધારતા તેમણે ઉમેર્યું, ''હિંદુઓની મોટી વસતિની માન્યતા છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો પરંતુ કોઈ પણ સારો હિદું એ નહીં ઈચ્છે કે કોઈ બીજા ધર્મના ધર્મસ્થળને તોડીને રામ મંદિર બનાવવામાં આવે.''
સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા
'સંદેશ' અખબારના અહેવાલ અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં એક મરાઠી પરિવારની બાળકી પર દુષ્કર્મ ગુજારાયા બાદ હત્યા કરી દેવાની ઘટના બની છે.
અહેવાલમાં જણાવાયું છે કે રાત્રે રમતા-રમતા બાળકી ગાયબ થઈ ગઈ હતી. મધરાત્રી સુધી કોઈ પતો ના મળતા લીંબાયત પોલીસને જાણ કરવામાં આવી હતી.
તપાસ કરાતા પોલીસને નજીકની એક ઓરડીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાના પગલે રોષે ભરાયેલા લોકો આજે સાંજે લીંબાયતમાં ફાંસીની માંગ સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરશે.
વાઘ માટે 15 લાખ અને સિંહ માટે માત્ર 95 હજાર?
'નવગુજરાત સમય'ના અહેવાલ અનુસાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની ખંડપીઠે કેન્દ્ર સરકારને આ સવાલ કર્યો છે કે ''ગુજરાતના ગૌરવ માટે આટલી ઓછી ગ્રાન્ટ કેમ?'' ખંડપીઠે સવાલ કર્યો, ''કેન્દ્ર સરકાર વાઘ માટે રુપિયા 15 લાખ અને સિંહ માટે રૂપિયા 95 હજારની ગ્રાન્ટ કેમ ફાળવાય?''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટે સિંહોના વાયરલ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન અંગે નિષણાતોની સેવા લેવાઈ કે કેમ એવો સવાલ પણ પૂછ્યો.
જેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે સિંહોના અકુદરતી મૃત્યુ જેમકે વીજ કરંટને કારણે અથવા કુવામાં પડી જવાને કારણે સર્જાતા અકસ્માતો અંગે સરકાર પગલાં લઈ રહી છે.
આ દરમ્યાન જૂનાગઢ જિલ્લાના કાલાવડ ગામમાં વધુ એક સિંહનું મૌત નીપજ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
પરપ્રાંતીયો પર હુમલામાં 700થી વધુની ધરપકડ
'નવગુજરાત સમય'એ રાજ્યના ગુહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ટાંકીને જણાવ્યું છે કે ગુજરાતમાં પરપ્રાંતીયઓ પર કરાયેલા હુમલામાં અત્યાર સુધી 715 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર ધરપકડ કરાયેલાઓમાં 67 કોંગ્રેસી કાર્યકરો પણ સામેલ છે.
આ મામલે કુલ 63 ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ અખબાર જણાવે છે.
ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના હોવાનું પણ અખબાર નોંધે છે.
આ દરમિયાન પરપ્રાંતીયો પર હુમલાને પગલે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલની બિહાર મુલાકાત હાલ પૂરતી ટાળવામાં આવી છે.
'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમ માટે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને આમંત્રણ આપવા માટે પટેલ 16મીએ બિહાર જવાના હતા.
જોકે, 20મી ઑક્ટોબર બાદ પટેલ બિહાર જશે એવું પણ અખબાર નોંધે છે.
સુરતના 300 હીરાઘસુઓને હાકી કઢાયા
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સુરતના 300 જેટલા હીરાઘસુઓએ સુરત પોલીસ કમિશનર સતિષ શર્મા અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નોકરીમાંથી કાઢી મૂકાયા હોવાની ફરિયાદ કરી છે.
હીરાઘસુઓના જણાવ્યા અનુસાર દેશનાં અગ્રણી હીરા એકમો પૈકીના 'કિરણ જૅમ્સ'એ પહેલાંથી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
હીરાઘસુઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને 15 દિવસનો પગાર પણ ચૂકવાયો નથી.
આ મામલે કોઈ કાયદાકીય પગલાં ના ભરવા પણ કંપનીએ તેમને કથિત ધમકી આપી હોવાનો હીરાઘસુઓએ આરોપ લગાવ્યો છે.
ગુરુગ્રામમાં નવરાત્રી દરમિયાન 'એકતા'ના દર્શન
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર નવરાત્રી દરમિયાન હરિયાણાના ગુરુગ્રામમાં ધાર્મિક એકતાના અદ્ભુત દર્શન થઈ રહ્યા છે.
અહીં મુસ્લિમો પણ હિંદુઓ સાથે મળીને નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે.
નવરાત્રી દરિયાન ગરબે ઘૂમતાં લુબના નાઝ જણાવે છે, ''હું ઈદ, નવરાત્રી કે નાતાલ જેવા તહેવારો ઉજવતી મોટી થઈ છું. ''
હિંદુઓ સાથે મળીને નવરાત્રી ઉજવતા મુસ્લિમ લોકોમાં લુબનાનો પણ સમાવેશ થાય છે.
નવરાત્રી ઉજવતાં આફ્રિન અંજુમન જણાવે છે કે ઉજવણીમાં ક્યારેય ધર્મ આડે નથી આવ્યો.
તેમના જણાવ્યા અનુસાર તેમના હિંદુ મિત્રો તેમની સાથે મળીને ઈદ પણ ઉજવતાં હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો