'તારક મહેતા...'ના ડૉક્ટર હાથીનું હાર્ટ અટેકને કારણે નિધન

ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'ડૉ. હાથી'નું નિધન થયું છે. તેમનું મૂળ નામ કવિકુમાર આઝાદ હતું.

સિરિયલના નિર્માતા આશિત કુમાર મોદીએ નિવેદનમાં જણાવ્યું, "અમને જણાવતા ખેદ થાય છે કે વરિષ્ઠ કલાકાર કવિ કુમાર આઝાદનું નિધન થયું છે."

"સોમવારે સવારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેનાં કારણે તેમનું નિધન થયું હતું."

તાજેતરમાં જ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 2500 એપિસોડ પૂર્ણ કર્યા હતા.

લોકો ડૉ. હાથી તરીકે ઓળખતા

આઝાદના નિધન અંગે આશિત મોદીએ કહ્યું, "આઝાદ અનોખી પ્રતિભા ધરાવતા હતા અને ખૂબ જ સકારાત્મક વ્યક્તિ હતા.

"તેઓ શોને દિલથી ચાહતા હતા. જો તબિયત સારી ન હોય તો પણ તેઓ શૂટિંગ માટે આવતા હતા, પરંતુ આજે સવારે તેમનો કોલ આવ્યો હતો કે નાદુરસ્ત તબિયતને કારણે તેઓ શૂટિંગ માટે નહીં આવી શકે.

"બાદમાં અમને સમાચાર મળ્યાં કે તેમનું નિધન થયું છે. અમે ભાવશૂન્ય બની ગયા છીએ."

મુંબઈથી અમારા પ્રતિનિધિ સરિતા હરપળે જણાવે છે, "કવિ કુમાર આઝાદે મુંબઈના મીરા રોડ ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 46 વર્ષના હતા."

તાજેતરમાં જ બીબીસી ગુજરાતી સાથે ઇન્ટર્વ્યૂમાં કવિ કુમાર આઝાદે કહ્યું હતું, "લોકો મને 'ડૉ. હાથી'ના નામથી ઓળખે છે અને હું આ નામથી ખુશ પણ છું.

"સિરિયલની માફક અસલ જિંદગીમાં પણ હું મસ્ત રહું છું."

કવિ કુમાર ઍક્ટર હોવા ઉપરાંત ઍન્ટરપ્રેન્યૉર પણ હતા. તેઓ બે દુકાન ધરાવતા હતા અને તેમને લખવાનો પણ શોખ હતો.

ગોકુલધામમાં ડૉ. હાથી

ગુજરાતના હાસ્ય લેખ તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી જુલાઈ-2008માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ શરૂ થઈ હતી.

ગુજરાતી પૃષ્ઠભૂમિ ધરાવતી આ સિરિયલ સીટકોમ (પરિસ્થિતિ પર આધારિત કોમેડી) છે.

સિરિયલમાં ગુજરાતી દંપતિ જેઠાલાલ, બબિતા અને પરિવારના વડીલ ચંપકકાકા 'ગોકુલધામ સોસાયટી'માં પહેલા માળે રહે.

જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ડૉ. હાથી તેમના પત્ની કોમલ તથા પુત્ર ગોલી સાથે રહે છે. સિરિયલના ડૉ. હાથી ખાવા-પીવાના શોખીન છે અને હંમેશા મસ્ત રહે છે.

યોગાનુયોગ શનિવારે જ સિરિયલમાં તેમના પત્નીનું પાત્ર ભજવતા કોમલ એટલે કે અંબિકા સોનીનો જન્મદિવસ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો