You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસારામને જેલમાં પહોંચાડનારાં એ 'લેડી સિંઘમ'
“દબાણ ભલે ગમે તેટલું હોય પણ જ્યારે તમે સચ્ચાઈ માટે લડી રહ્યાં હોવ અને કોઈ એવી વ્યક્તિ માટે લડી રહ્યાં હોવ, જેને તમારે એક પ્રભાવશાળી વ્યક્તિ સામે ન્યાય અપાવવાનો હોય ત્યારે તમારે થોડી વધુ કમર કસવી પડતી હોય છે.”
આ શબ્દો એક મહિલા પોલીસ અધિકારીના છે જેમને આસારામ વિરુદ્ધ સગીરા સાથેના બળાત્કારના મુદ્દે તપાસ કરી છે.
વર્ષ ૨૦૧૦માં રાજસ્થાન પોલીસ સેવામાં જોડાનારાં પોલીસ અધિકારી ચંચલ મિશ્રા માટે શરૂઆતથી જ આ તપાસ કંઈ સરળ નહોતી.
આસારામ મુદ્દે તપાસ કેવી રીતે થઈ?
આ મુદ્દે આસારામની ધરપકડની સાથે જ એમની પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન હતું.
એનું કારણ એ હતું કે આસારામની ધરપકડ ઇન્દોરમાં થઈ ,એફઆઈઆર દિલ્હીમાં નોંધાવવામાં આવી, પીડિતા હતી ઉત્તરપ્રદેશની અને ઘટના બની ત્યારે એ કોઈ બીજા પ્રદેશમાં ભણતી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
આવી સ્થિતિમાં તપાસનો વ્યાપ એટલો વિસ્તૃત હતો કે મુખ્ય તપાસ અધિકારીને બીજા રાજ્યોના તપાસ અધિકારીઓ સાથે સમન્વય સાધવામાં ઘણો સમય નીકળી જતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મુદ્દે તપાસ કરનારાં મુખ્ય તપાસ અધિકારી ચંચલ મિશ્રા કહે છે, “તપાસ ઘણાં રાજ્યોમાં ફેલાયેલી હતી એ સૌથી મોટો પડકાર હતો. જુદાં જુદાં રાજ્યોમાં જઈ તમારે પુરાવા અને દસ્તાવેજ તેમજ સાક્ષીઓ એકઠાં કરવાનાં હતાં. એ કપરું કામ હતું.”
આસારામ શ્રદ્ધાના સામ્રાજ્યથી જેલના સળિયા સુધી
“ત્રીજી વાત એ હતી કે એફઆઈઆર પછી ધરપકડના સંજોગોમાં શું થશે? કારણકે તે એક મોટા જાતે બની બેઠેલા સંત હતા, જેમની ધરપકડ કરવી એક મોટો પડકાર હતો.”
''અમે આસારામની ત્યાં સુધી ધરપકડ કરવા માંગતા નહોતાં, જ્યાં સુધી અમારી પાસે નક્કર પુરાવા ન હોય. જ્યારે અમારી પાસે પૂરતા પુરાવા એકઠા થયા ત્યાર બાદ જ અમે ધરપકડ કરી.''
''ત્યાર બાદ લગભગ દરરોજ કોર્ટમાં હાજર રહેવું, જામીનની અરજી પર ચર્ચા કરવી. આ બધાં કામ એક સાથે થતાં હતાં. આની સાથે સાથે પોતાના અંગત જીવનને સંભાળવાનું હતું.''
“અમે આ મુદ્દે જણાતા સંભવિત રાજકીય ષડ્યંત્રના દૃષ્ટિકોણથી પણ તપાસ કરી અને અમને લાગ્યું કે એ પાયાવિહોણું છે.''
આસારામની ધરપકડ કેવી રીતે થઈ?
તપાસ અધિકારી ચંચલ મિશ્રા જયારે એમની ટુકડીના અન્ય ચાર સભ્યો સાથે ઇન્દોર આશ્રમે પહોંચ્યાં ત્યારે આસારામે ભાષણ શરૂ કરી દીધું હતું.
ત્યારબાદ તેઓ આરામ કરવા જતા રહ્યા અને આ દરમ્યાન ચંચલ મિશ્રા પોતાની ટુકડી સાથે ઇન્દોર પોલીસ સાથે તેમની ધરપકડ કરવાના પ્રયાસમાં લાગી ગયાં.
આ પ્રક્રિયા દરમિયાન ચંચલ મિશ્રાએ કહ્યું હતું કે આસારામજી દરવાજો ખોલી નાખો નહીંતર તોડીને અંદર આવી જઈશ.
ચંચલ મિશ્રાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે અમારી પાસે કાનૂની અધિકાર છે.
''જો કોઈ આરોપી ધરપકડમાં અડચણ પેદા કરતો હોય, એણે પોતાની જાતને કોઈ ઓરડામાં બંધ કરી લીધી હોય એવા સંજોગોમાં અમને પૂરો અધિકાર છે કે અમે દરવાજો તોડી એની ધરપકડ કરી શકીએ.''
''ઇન્દોર આશ્રમની બહાર મોટું ટોળું ભેગું થયું હતું. અમારો વ્યૂહ એ હતો કે બને તેટલું જલ્દી અમે આસારામને લઈને આશ્રમની બહાર નીકળી જઈએ, કારણકે સવાર સુધી આશ્રમની બહાર ભીડ વધવાની ગણતરી હતી.''
''અમારી પાસે બે કલાકનો સમય હતો અને અમારે એ દરમ્યાન જ તમામ કામ કરવાના હતા, સવારે જો ભીડ વધી જાય તો અમારે માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય તેમ હતું.''
''અમે સાડા આઠ-નવ વાગ્યાની આસપાસ આશ્રમમાં દાખલ થયાં. ત્યારબાદ રાતના દોઢ-બે વાગ્યા સુધી અમે આસારામની ધરપકડ કરી શક્યા.''
આસારામથી ગુરમીત; ભ્રષ્ટ બાબાઓની સમગ્ર વાતો
ઇન્દોર એરપોર્ટ પર વીતી આસારામની રાત
૩૧ ઓગષ્ટે રોજ આસારામની એમના આશ્રમમાંથી ધરપકડ કર્યા બાદ પોલીસે એમને તરત જ ઇન્દોર એરપોર્ટ ખાતે રવાના કરી દીધા કારણકે એમને જોધપુર કોર્ટમાં રજુ કરવાના હતા.
આવામાં પોલીસ પાસે સમય ઓછો હતો અને ઇન્દોરથી જોધપુર વચ્ચેનું અંતર હતું 600 કિલોમીટર.
આવામાં એમને જોધપુર પહોંચતા કરવા માટે એરપોર્ટ લાવવામાં આવ્યા, પરંતુ જોધપુરની ટુકડીને પછીની ફ્લાઇટ માટે થોડા કલાકો રાહ જોવી પડી.
ચંચલ મિશ્રા જણાવે છે, “આસારામને લઇને અમે ઇન્દોર એરપોર્ટ પર ગયા ત્યાર બાદ અમારે ફ્લાઇટની રાહ જોવી પડી અને અમે બીજી સવારે લગભગ સાડા દસ વાગ્યે જોધપુર પહોંચ્યાં.”
ચંચલ મિશ્રા માટે એવા પણ અહેવાલ આવ્યા, જેમાં જણાવાયું હતું કે એમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, “કાર્તિક હળદરે ગુજરાત પોલીસને આપેલાં એક નિવેદનમાં જણાવ્યું છે કે તાપસ અધિકારી ચંચલ મિશ્રાને બૉમ્બથી ઉડાડી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને એટલા માટે જ ડાયનમાઇટ મુંબઈના માર્ગે મંગાવાયો હતો.''
પરંતુ જ્યારે બીબીસીએ ચંચલ મિશ્રા પાસેથી આ અંગે વિગતો જાણવા માંગી ત્યારે તેમણે કહ્યું કે, તેઓ નકારાત્મક બાબતો વિષે વાત કરવાનું પસંદ કરતાં નથી. કારણ કે જો નકારાત્મક વસ્તુઓ જાહેરમાં પ્રકાશિત કરવામાં આવશે તો લોકો એનાથી પ્રેરણા લેવાને બદલે ડરવા લાગશે.
એમને જણાવ્યું કે, “હું નકારાત્મક ને બદલે હકારાત્મક ચીજોને જણાવવાનું વધુ પસંદ કરીશ, જેથી લોકો એનાથી વધુ પ્રભાવિત થાય ગુજરાત પોલીસને રાજસ્થાન પોલીસ દ્વારા એક ઇનપુટ મળ્યો હતો. એની કાર્યવાહીની જરૂરી હતી જે અમારા વિભાગે કરી હતી.”
જોધપુરની ખાસ અદાલતે સગીર સાથે બળાત્કારના મુદ્દે આસારામને જે આજીવન કારાવાસની સજા સંભળાવી છે, એમાં ચંચલ મિશ્રાની મહત્ત્વની ભૂમિકા રહી છે અને ચંચલ મિશ્રાના મતે આજે એમને એમના કામને યોગ્ય રીતે પાર પાડવા બદલ સંતોષ પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો