You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપનો અટલ-અડવાણી યુગ કેવી રીતે મોદીનો યુગ બન્યો?
- લેેખક, પ્રદીપ સિંહ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'અંધારું દૂર થશે, સૂર્યનો ઉદય થશે, કમળ ખીલશે' આજથી 38 વર્ષ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે અધિવેશનને સંબોધિત કરતા અટલ બિહારી વાજપેયીના સંબોધનના આ અંતિમ શબ્દો હતા.
કમળ તો ખીલી ગયું પણ તેને ખીલવનારા લોકોનું રાજકીય જીવન હવે સૂર્યાસ્ત તરફ ઢળી રહ્યું છે.
એક નવું નેતૃત્વ પાર્ટીને ચૂંટણીઓમાં સતત વિજય અપાવી રહ્યું છે.
શારીરિક રીતે અશક્ત અને 2005થી સક્રિય રાજનીતિથી દૂર રહેવા છતાં અટલ બિહારી વાજપેયી બન્ને પેઢી વચ્ચેના સેતુ છે. અશક્ત વાજપેયી જૂની પેઢીનું સૌથી સશક્ત વ્યક્તિત્વ છે.
જનતા પાર્ટીથી છેડો ફાડીને ભાજપની રચના કરનારા વાજપેયીએ પાર્ટીની વિચારધારા બદલવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાજી કરી લીધો હતો.
આથી નવા રચાયેલા ભાજપે ગાંધીવાદી સમાજવાદને પોતાની વિચારધારાના રૂપમાં સ્વાકાર કરી લીધો હતો.
અટલ બિહારી વાજપેયીએ તત્કાલીન સર સંઘસંચાલક બાળાસાહેબ દેવરસ સમક્ષ એક વધુ માંગ રજૂ કરી હતી.
તમને આ વાંચવું પણ ગમશે:
તેમની માગણી હતી કે સંઘની જગ્યાએ ભારતીય શબ્દનો પ્રયોગ કરવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની માગણી અંગે દેવરસે કહ્યું કે ભારતીય શબ્દ ઘણો સારો છે પણ હિંદુ બોલવામાં હીનતાનો બોધ કેમ છે.
જનસંઘથી અલગ જનતા પાર્ટી બનેલી ભાજપે પ્રથમ વખત કાયિક(ઓર્ગેનિક) વિકાસની સાથે અજૈવિક(ઇન-ઓર્ગેનિક) વિકાસનો માર્ગ સ્વીકાર કર્યો.
પરિણામ સ્વરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ નહીં ધરાવતા એમસી ચાગલા, શાંતિ ભૂષણ, રામ જેઠમલાણી, સિકંદર બખ્ત, સુષ્મા સ્વરાજ અને જસવંત સિંહ જેવા ઘણા નેતાઓ પાર્ટીમાં સામેલ થયા.
પણ પાર્ટીને ચાર વર્ષમાં જ એવો ફટકો પડ્યો કે બધું બદલાઈ ગયું.
તત્કાલીન વડાપ્રધાનની હત્યા થઈ ગઈ. ત્યારબાદ ડિસેમ્બર 1984માં લોકસભા ચૂંટણી યોજાઈ.
આ વખતે સંઘ સમક્ષ એક દુવિધા હતી. દુવિધા એ હતી કે ભાજપને પંસદ કરવો કે હિંદુત્વને? પણ તેમણે હિંદુત્વને પસંદ કર્યું.
જ્યારે વાજપેયીને અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા
ભાજપને બે બેઠકો મળી. ભાજપે લોકસભા ચૂંટણીના બે વર્ષ બાદ મધ્યમાર્ગ છોડીને ફરીથી દક્ષિણ માર્ગી બનવાનો માર્ગ અપનાવ્યો.
1986માં પાર્ટીએ તેમના સૌથી લોકપ્રિય નેતા અટલ બિહારી વાજપેયીને અધ્યક્ષ પદેથી હટાવી દીધા.
પાર્ટીએ એકાત્મ માનવતાવાદને ફરીથી અપનાવી લીધો. અને તેનું નેતૃત્વ લાલકૃષ્ણ અડવાણીએ લીધું. પણ લાલકૃષ્ણ અડવાણીએ જનનેતા નહોતા.
હિમાચલના પાલમપુરમાં 1988માં અયોધ્યા આંદોલનમાં સામેલ થવાનો નિર્ણય અને પછી સોમનાથથી અયોધ્યા રથયાત્રાના કાર્યક્રમ દરમિયાન મળેલી લોકપ્રિયતાએ તેમને પાર્ટી સંઘની નજરમાં અટલજી કરતા વધુ અગ્ર હરોળમાં મૂકી દીધા.
વાજપેયી પાર્ટીમાં એકલા પડી ગયા
અને સાથે જ વાજપેયીના સહાયક રહેલા અડવાણી તેમના પ્રતિસ્પર્ધી બનવાનો સિલસિલો શરૂ થઈ ગયો.
વાજપેયી પાર્ટીમાં અલગ થલગ પડી ગયા. વળી 6 ડિસેમ્બરે અયોધ્યામાં વિવાદીત માળખું ધ્વસ્ત કરાયા બાદ પાર્ટી અને સંઘ પરિવારને વાજપેયીની યાદ આવી.
પણ આ બદલાવ અસ્થાયી રહ્યો. અડવાણી વડાપ્રધાન પદની સ્પર્ધામાં આવી ગયા.
મને યાદ છે કે 1997માં એક અનૌપચારિક ઇન્ટર્વ્યૂમાં તેમણે અડવાણીનો ઉલ્લેખ કરતા મને કહ્યું હતું કે વડાપ્રધાન બનવા માટે વ્યૂહરચના ગોઠવવામાં આવી રહી છે.
પણ કિસ્મતે અડવાણીને સાથ ન આપ્યો. તેમનું નામ જૈન હવાલા ડાયરીમાં આવી ગયું. તેમણે લોકસભા સાંસદપદેથી રાજીનામુ આપી દીધું અને કહ્યું કે તેમાંથી મુક્ત થઈને જ સંસદમાં આવશે.
તેમને ખબર હતી કે વર્ષ 1996ની ચૂંટણી તેઓ નહીં લડી શકે. આથી નવેમ્બર-1995માં મુંબઈમાં યોજાયેલા અધિવેશનમાં તેમણે વાજપેયીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા.
એ દિવસ અને આજનો દિવસ વડાપ્રધાન પદ અડવાણી માટે મૃગજળ સમાન જ સાબિત થયું.
જ્યારે સંઘ પરિવારની નજરમાંથી અડવાણી ઊતરી ગયા
વડાપ્રધાનનું પદ તો તેમને ન મળ્યું પણ 1995માં પાકિસ્તાનના પ્રવાસ સમયે ઝીણાની મજાર પર જઈને તેમણે જે કંઈ કહ્યું હતું તેનાથી સંઘ પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓની નજરમાં તેઓ ઊતરી ગયા હતા.
ત્યાર બાદ પાર્ટી તેમને નિભાવતી રહી. કેમકે બીજો કોઈ વિકલ્પ ન હતો. અડવાણી આ વાસ્તવિકતાને સ્વીકાર ન કરી શક્યા.
કેન્દ્રમાં નેતૃત્વના અભાવને નરેન્દ્ર મોદીએ જાણી લીધો. વર્ષ 2009માં તેમણે અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા દીધા.
2012માં ગુજરાતમાં સદભાવના યાત્રા દ્વારા નરેન્દ્ર મોદીનું દિલ્હી અભિયાન શરૂ થઈ ગયું હતું.
અડવાણી તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તો શું પણ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવા પણ તૈયાર નહોતા.
જોકે, ભાજપના એક સમયના સૌથી મોટા રણનીતિકાર અડવાણી બદલાતા સમયની આહટ નહીં સમજી શક્યા.
પાર્ટીમાં આંતરિક રીતે નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક મજબૂત વર્ગ તૈયાર થઈ ગયો હતો.
આમ અડવાણી તેમના આખરી યુદ્ધમાં એક સમયે તેમના સારથી રહેલા નરેન્દ્ર મોદી સામે જ માત ખાઈ ગયા.
વાજપેયી, અડવાણી, મુરલી મનોહરના યુગનો અંત
નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને અમિત શાહ પાર્ટીના અધ્યક્ષ બનતા જ ભાજપના ત્રણ ધરોહર અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી. મુરલી મનોહર જોષીના યુગનો અંત આવી ગયો.
હવે આ ભાજપનો મોદી યુગ છે. પાર્ટીના નેતા જ નહીં સંગઠન, ચૂંટણી લડવાની રીત, સરકાર ચલાવવાનો અભિગમ, નિર્ણયો લેવાથી લઈને તેને ભારપૂર્વક લાગુ કરવાનું તાપ્તર્ય પાર્ટીની નવી ઓળખ બની ગઈ છે.
હવે જો તમે મોદી વિરોધી છો, તો કહી શકો છો કે, અડવાણી અને મુરલી મનોહર જોષીને બળજબરીથી વાનપ્રસ્થી બનાવી દેવામાં આવ્યા છે.
નહીં તો તમે પ્રકૃતિના એ સિદ્ધાંતને પણ માની શકો છો કે દરેક સારી વસ્તુનો ક્યારેક તો અંત આવે જ છે.
સમયસર નિવૃત્ત થઈ ગયેલા અટલ બિહારી વાજપેયી પાર્ટી માટે આજે પણ નાયક છે.
તેમની સરખામણી તમે ક્રિકેટના સુનીલ ગાવસ્કર સાથે કરી શકો છો.
અડવાણી અને જોષીને તમે કપિલ દેવ માની શકો છો જેમને નિવૃત્ત કરવા પડ્યા.
મોદી અને શાહનો ભાજપ
વર્ષ 2014 બાદનો ભાજપ મોદી અને શાહનો ભાજપ છે. જેમાં નિર્ણયો પાર્ટી નહીં પણ નેતા લે છે અને પાર્ટી તેને લાગુ કરે છે.
આ બાબતને તમે સત્તાનું કેન્દ્રીયકરણ પણ કહી શકો છો. પણ જ્યાં સુધી સફળતા મળી રહી છે ત્યાં સુધી કોઈની અવાજ ઉઠાવવાની હિંમત નથી.
બધાને ખબર છે કે મત એક જ વ્યક્તિના નામે મળી રહ્યા છે. અને એ વ્યક્તિ નરેન્દ્ર મોદી છે.
અહીં વિરોધીઓ માટે કઈ પણ પ્રકારની માયા-મમતા નથી દાખવવામાં આવતી.
આ જોડી પુરોગામી નેતાઓની જેમ ધીમે ધીમે ચાલવામાં નહીં પણ દોડવામાં માને છે.
ભાજપે ચાર વર્ષોમાં છ રાજ્યથી એકવીસ રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ગઠબંધન અથવા પૂર્ણ બહુમત સાથે સત્તા મેળવી છે.
આજે ભાજપ એટલી ઊંચાઈએ છે કે તેના સંસ્થાપકોએ તેનું સ્વપ્ન પણ નહીં જોયું હોય.
વળી શિખર પર પહોંચવું જેટલું કઠિન હોય છે એટલું જ મુશ્કેલ ત્યાં ટકી રહેવું હોય છે.
વર્ષ 2019માં આ જ શિખર પર ટકી રહેવાનો પડકાર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો