You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શાહ: ગુજરાત કરતાં ત્રિપુરામાં પૂર્ણ બહુમતીની સરકારનો આનંદ વિશેષ
પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલૅન્ડમાં ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના શનિવારે પરિણામો જાહેર થયા.
ત્રિપુરામાં ભાજપ યુતિને 43 જ્યારે સીપીઆઈએમને 16 બેઠકો મળી છે. નાગાલૅન્ડમાં યુતિ સાથે એનડીએનો વિજય થયો છે.
મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ છે, અહીં સરકારના ગઠન માટે કોંગ્રેસ તથા ભાજપે નેતાઓને મોકલ્યા છે.
ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જ્યારે મેઘાલય અને નાગાલૅન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.
દરમિયાન ભાજપ પ્રમુખ અમિત શાહે ત્રિપુરાના કાર્યકર્તાઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત કરતા વધુ આનંદદાયક વિજય
'ગુજરાતમાં 25 વર્ષ જૂનું શાસન ટકાવી રાખવું અને ત્રિપુરામાં 25 વર્ષ જૂના શાસનને દૂર કરવું, તેમાંથી વધુ આનંદદાયક વિજય કયો?'
એવા મતલબના એક સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું,"દરેક વિજયના આગવા પરિમાણ હોય છે.
"છતાંય ત્રિપુરાનો વિજય એ તેમના તથા ભાજપના તમામ કાર્યકરો માટે અત્યંત આનંદનો વિષય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વિશેષ કરીને કેરળ તથા પશ્ચિમ બંગાળના ભાજપના કાર્યકરો માટે. તેમના આનંદની કોઈ સીમા નથી."
આ વિજય સાથે ભાજપ ખરા અર્થમાં 'અખિલ ભારતીય' પાર્ટી બની છે.
શાહે કહ્યું હતું કે આ વિજય 2019માં ભાજપના વિજયનું ટ્રેલર છે અને પૂર્વોત્તરનો વિકાસ એ ભાજપ સરકારની પ્રાથમિક્તા છે.
શાહે કહ્યું હતું કે કર્ણાટકમાં ભાજપનો વિજય થશે અને જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા તથા કેરળમાં ભાજપની સરકાર રચાશે ત્યારે ખરા અર્થમાં પાર્ટીનો 'સુવર્ણયુગ' હશે.
શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ત્રણેય રાજ્યોમાં નિશ્ચિતપણે ભાજપનો વિજય થશે.
ભાજપના નવનિર્મિત કાર્યાલયમાં આ પ્રથમ વિજયોત્સવ હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું.
મોદીના ભાષણના મુખ્ય મુદ્દા:
- ભાષણ સમયે અઝાન શરૂ થતાં મોદીએ બે મિનિટ મૌન રાખ્યું.
- ભાષણ દરમિયાન કથિત હિંસામાં મૃત્યુ પામેલા કાર્યકરોની સ્મૃતિમાં મૌન રખાવ્યું હતું.
- મોદીએ કહ્યું હતું કે ગરીબ અને નિરક્ષર લોકોએ મતદાન કરીને ભાજપના કાર્યકરોની શહીદીનો જવાબ આપ્યો હતો.
- આ 'વેન્ડેટા' (બદલો) નથી, 'મેન્ડેટા' (જનાદેશ) છે.
ત્રિપુરા
ત્રિપુરામાં 60 બેઠકો પર 292 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં 23 મહિલા ઉમેદવારો હતાં.
કુલ 60માંથી 59 બેઠકો પર મતદાન થયું હતું.
નાગાલૅન્ડ
નાગાલૅન્ડમાં 59 બેઠકો પર 193 ઉમેદવારો મેદાનમાં હતા.
મેઘાલય
મેઘાલયમાં 59 બેઠકો માટે 372 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.
બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ આ ત્રણેય રાજ્યોના પરિણામો વિશે વરિષ્ઠ પત્રકાર સંદીપ ફુકન સાથે વાત કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને ત્રિપુરામાં ભાજપની જીતના અભિનંદન ત્રિપુરા પ્રદેશ એકમને આપ્યા હતા.
ભાજપના પૂર્વોત્તરના પ્રવક્તા રામ માધવે આ જીતને ક્રાંતિકારી જણાવી હતી. તેમણે પરિણામો પીએમ મોદી અને કાર્યકર્તાઓની સખત મહેનતનું ફળ હોવાનું કહ્યું હતું.
જેવા વલણો આવવાના શરૂ થયા અને ભાજપ આગળ વધી રહ્યો હતો, ત્રિપુરામાં ભાજપ કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી હતી.
ત્રિપુરા
ત્રિપુરા રાજ્યની 60 બેઠકોવાળી વિધાનસભા બેઠકોમાંથી 59 પર મતગણતરી થઈ હતી. ચારીલામ બેઠક પરથી માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીના ઉમેદવાર રામેન્દ્ર નારાયણ દેબર્માના નિધનને કારણે આ બેઠક પર 12 માર્ચે મતદાન થશે.
ત્રિપુરામાં 1993થી જ માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળા ડાબેરી મોરચાની સરકાર રહી છે.
જોકે, શરૂઆતી વલણથી જ ભાજપ માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીને ટક્કર આપતો જોવા મળ્યો હતો.
વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રિપુરામાં 50 ઉમેદવારને ટિકિટ આપી હતી. જેમાંથી 49ની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી.
ત્યારે ભાજપને અહીં માત્ર 1.87 ટકા મત મળ્યા હતા. વળી તે એક પણ બેઠક નહોતો જીતો શક્યો.
બીજી તરફ માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીને 49 બેઠકો મળી હતી. જ્યારે કૉંગ્રેસને 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
ત્રણ રાજ્યોમાં સૌથી વધુ નજર ત્રિપુરા પર હતી. કેરળ સિવાય ડાબેરીઓની સરકાર ફક્ત હવે આ જ રાજ્યમાં હતી.
ત્રિપુરામાં વામપંથીઓની હાર થતાં તેમના માટે અહીં એક યુગનો અંત થઈ ગયો.
નાગાલૅન્ડ
નાગાલૅન્ડમાં ભાજપે આ વખતે નવા રચાયેલા નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી(એનડીપીપી) સાથે જોડાણ કરી ચૂંટણી લડી હતી. ભાજપે 20 જ્યારે એનડીપીપીએ 40 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા.
વિલિયમનગર બેઠક પર રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જોનાથન સંગમાનું 18 ફેબ્રુઆરીના રોજ ઇસ્ટ ગારો હિલ્સ જિલ્લામાં આઈઈડી વિસ્ફોટમાં મૃત્યુ થયું હતું.
આથી આ બેઠકનું મતદાન રદ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ અહીં એક દાયકાથી શાસન કરી રહી છે. પાર્ટીએ અહીં આ વખતે તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા.
કોંગ્રેસે 2013ની વિધાનસભા ચૂંટણીમાં 29 બેઠકો પર વિજય મેળવ્યો હતો. વળી રાજ્યના મુખ્યમંત્રી મુકુલ સંગમા આ વખતે અમપાતી અને સોંગસક એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા હતા.
મેઘાલય
મેઘાલયમાં આ વખતે 84 ટકા મતદાન થયું હતું. સત્તારૂઢ કૉંગ્રેસ સિવાય ભાજપ, નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી) અને નવા રચાયેલ પીપલ્સ ડેમોક્રેટિક ફ્રંટ વચ્ચે ટક્કર હતી.
વર્ષ 2013ની ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં 13 ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જોકે એક પણ બેઠક પર વિજય નહોતો મળ્યો. એનપીપીને 32માંથી માત્ર બે જ બેઠકો મળી હતી.
ચૂંટણી પૂર્વે ભાજપના પૂર્વોત્તર મામલાના પ્રભારી રામ માધવે બીબીસી સાથેની વાતચીતમાં ત્રિપુરાની ચૂંટણીને લઈને કહ્યું હતું કે ભાજપ સૌના હિતમાં કામ કરી રહી છે અને દાવો કર્યો હતો કે જનતા આ વાતથી સહમત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો