શા માટે શુક્રવારે શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો?

શુક્રવારે સેન્સેક્સમાં 839 પોઇન્ટનો જ્યારે નિફ્ટીમાં 256 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ 35,066 જ્યારે નિફ્ટી 10,760 પર બંધ આવ્યા હતા.

ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સના કહેવા પ્રમાણે, લૉંગ ટર્મ ટેક્સને કારણે લોકોમાં શેરબજાર પ્રત્યેનું આકર્ષણ ઘટશે.

નાણા પ્રધાન અરુણ જેટલીએ તેમના અંતિમ પૂર્ણ બજેટમાં લૉંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખ્યો હતો, જેની અસર શેરબજાર પર જોવા મળી હતી.

એક વર્ષથી લાંબા સમયના રોકાણમાંથી મળતી આવક પર દસ ટકા અને એથી ઓછા સમયમાં થતી આવક પર પંદર ટકા ટેક્સ લાગશે.

આ માટે રૂ. એક લાખની ટોચમર્યાદા રહેશે.

તમને આ પણ વાંચવું ગમશે

લૉંગ ટર્મ કેપિટલ ગેઇનની અસર

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સૌથી મોટી સંસ્થા ICAIના કહેવા પ્રમાણે, લૉંગ ટર્મ કેપિટલ ગેઇનને કારણે શેરબજારમાં રોકાણ પ્રત્યેનું આકર્ષણ ઘટશે.

"લૉંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં શેરોના ખરીદ-વેચાણની છૂટને રદ કરવામાં આવી છે. આથી, હવે તેના પ્રત્યેનું આકર્ષક નહીં રહે."

ટેક્સ એક્સપર્ટ કૃષ્ણ મલ્હોત્રાના કહેવા પ્રમાણે, "આમ પણ લોકો શેર બજાર અને મ્યૂચ્યૂઅલ ફંડ્સને જોખમી માને છે.

"ગત ત્રણ-ચાર વર્ષ શેરબજાર માટે સારા રહ્યા હતા, અનેક શેરોમાં સારું વળતર મળ્યું હતું. લાંબાગાળે તેની અસર ન જોવા મળે."

આર્થિક બાતોના જાણકાર ડૉ. ભરત ઝુનઝુનવાલાના કહેવા પ્રમાણે,"નાણાંપ્રધાનના હાથ બંધાયેલા હતા.

"તેમણે નાણાખાધ પર કાબુ મેળવવાનો હતો એટલે તેઓ વધુ રાહત આપી શકે તેમ ન હતા."

બીબીસી ગુજરાતી સાથે ફેસબુક લાઇવ દરમિયાન આર્થિક બાબતોના નિષ્ણાત બકુલભાઈ ધોળકિયાએ કહ્યું,

"એવો ભય છે કે સરકારની ગાડી આર્થિક સુદ્રઢતાના પાટા પરથી નીચે ઉતરી છે અને હવે ભવિષ્યમાં અનિશ્ચિતતા રહેલી છે.

"જો સરકાર આર્થિક સુધારની દિશામાં આગળ ન વધે તો આંતરરાષ્ટ્રીય રેટિંગ સંસ્થાઓ ભારતનું રેટિંગ ન સુધારે. ઉપરાંત લૉંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પણ કારણભૂત રહ્યા."

ધોળકિયાએ ઉમેર્યું, વિદેશી રોકાણકારો માત્ર નાણાખાધને આધાર બનાવીને રોકાણ કરતા હોય છે, જોકે એ પણ ખોટું છે.

જેટલીએ કરી હતી જાહેરાત

ગુરુવારે જાહેરાત કરતી વખતે નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું, "શેરોના ખરીદ-વેચાણ કે મ્યૂચ્યૂઅલ ફંડ્સમાંથી મળતી રકમ કરમુક્ત છે.

"અત્યારસુધી શેરબજારો માટે સરકારે અનેક પગલા લીધા છે.

"ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો શેર તથા મ્યૂચ્યૂઅલ ફંડ્સ પર કેપિટલ ગેઇનની રકમ રૂ. 3.67 લાખ છે."

બજેટના ભાષણમાં જેટલીએ કહ્યું હતું કે, આ રીતે સરકારની તિજોરીમાં રૂ. 20 હજાર કરોડની આવક થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો