'હ્યુમન રાઇટ્સ વૉચે' મોદી સરકાર પર કેમ સવાલ ઉઠાવ્યા?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

"વર્ષ 2017માં ધાર્મિક દ્રષ્ટીએ લઘુમતી સમુદાય પર થયેલા હુમલાઓની વિશ્વસનીય તપાસ કરાવવામાં કે તેને અટકાવવામાં ભારત સરકાર નિષ્ફળ રહી છે."

2018નો 'વર્લ્ડ રિપોર્ટ' બહાર પાડતા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા 'હ્યુમન રાઇટ્સ વૉચ'એ ગુરુવારે રિપોર્ટ બહાર પાડતી વખતે ઉપરોક્ત દાવો કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

'હ્યુમન રાઇટ્સ વૉચ'નો આરોપ છે કે, "સત્તારૂઢ ભાજપના અનેક નેતાઓએ તમામ ભારતીયોના મૂળભૂત અધિકારોના ભોગે હિંદુ શ્રેષ્ઠથા તથા કટ્ટર રાષ્ટ્રવાદને ઉત્તેજન આપ્યું."

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું, "લઘુમતી સમુદાયના લોકો બીફ માટે ગાયોનું ખરીદ-વેચાણ કરે છે કે તેમનાં કત્લ કરે છે.

"એવી અફવાઓને આધારે સત્તારૂઢ ભાજપ કે તેની સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતાં કટ્ટરવાદી હિંદુ સંગઠનોએ મુસ્લિમો તથા અન્ય લઘુમતી સમુદાયો સામે અનેક હુમલા કર્યા."

line

ગંભીર પ્રયાસોની જરૂર

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રિપોર્ટ મુજબ, "હુમલાખોરોની સામે તત્કાળ કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે પોલીસે પીડિતો પર ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતા કાયદા હેઠળ પીડિતો સામે જ ફરિયાદ દાખલ કરી.

"2017માં આ પ્રકારના કમ સે કમ 38 હુમલા થયા, જેમાં 10 લોકોના મોત થયા."

'હ્યુમન રાઇટ્સ વૉચ' ના દક્ષિણ એશિયાના ડાયરેક્ટર મીનાક્ષી ગાંગુલીના કહેવા પ્રમાણે:

"ભારતમાં અધિકારીઓએ ખુદ જ સાબિત કર્યું કે ધાર્મિક રીતે લઘુમતીઓ તથા ભયના ઓથાર હેઠળ જીવતા અન્ય સમુદાયો પર થઈ રહેલા હુમલાઓને અટકાવવા માંગતા નથી.

"ભવિષ્યમાં આ પ્રકારના હુમલાઓને અટકાવવા ગંભીર પ્રયાસો કરાવાની જરૂર છે. આ માટે હિંસા માટે જવાબદાર લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવાની જરૂર છે."

643 પન્નાના 'વર્લ્ડ રિપોર્ટ'ની 28મી આવૃતિમાં 'હ્યુમન રાઇટ્સ વૉચ'એ વિશ્વના 90થી વધુ દેશોમાં માનવાધિકારની સ્થિતિની સમીક્ષા કરી હતી.

line

ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવી

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રિપોર્ટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'ના મૂળભૂત અધિકારનો મુદ્દો ઉઠાવ્યો છે.

રિપોર્ટ મુજબ, "ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે 'રાઇટ ટુ પ્રાઇવસી'ને બંધારણ હેઠળ મૂળભૂત અધિકારનો દરજ્જો આપ્યો હતો.

"સુપ્રીમ કોર્ટે અભિવ્યક્તિની સ્વતંત્રતા, સુશાસન તથા સત્તારૂઢોના બેફામ વર્તન સામે ગેરંટી પર ભાર મૂક્યો હતો.

"આમ છતાંય સરકારી નીતિઓ કે તેની પ્રવૃત્તિઓ સામે ચળવળ હાથ ધરનારા એક્ટિવિસ્ટ્સ, સાહિત્ય જગતના લોકો તથા પત્રકારો સામે ફોજદારી માનહાનિ તથા રાજદ્રોહના કેસ દાખલ કર્યા છે.

"રાજ્ય સરકારોએ હિંસા કે સામાજિક તણાવને અટકાવવાના નામે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી હોય તેવા 60 કિસ્સા નવેમ્બર મહિના સુધીમાં નોંધાયા હતા.

"જેમાંથી 27 વખત જમ્મુ અને કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ ઠપ કરી દેવામાં આવી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો