મદરેસાની કન્યાઓએ જાતીય સતામણીની વાત પોલીસ સુધી પહોંચાડી

લખનઉના એક મદરેસા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઉપર લાંબા સમયથી વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી અને શોષણનો આરોપ છે.

વિદ્યાર્થિનીઓની ફરિયાદ પછી પોલીસે શુક્રવારે અડધી રાત્રે છાપો મારીને 51 વિદ્યાર્થિનીઓને છોડાવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

લખનઉના પોલીસ અધિકારી વિકાસ ચંદ ત્રિપાઠીએ બીબીસીને કહ્યું, પીડિત વિદ્યાર્થિનીઓએ મદરેસાના સંચાલક કારી તૈય્યબ જિયા વિરુદ્ધ પત્ર લખીને ફરિયાદ કરી હતી. આરોપી કારી તૈય્યબ વિદ્યાર્થિનીઓને મોં ખોલ્યું તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

કન્યા છાત્રાલય મહિલા વૉર્ડન થી

પોલીસે તૈય્યબ પર પોક્સો (પ્રોટેક્ટશન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) એક્ટ સહિત વિભિન્ન આરોપોમાં ગુનો નોંધી તેમને જેલમાં મોકલી દીધા છે.

પોલીસ અધિકારી ત્રિપાઠીના જણાવ્યા મુજબ વિદ્યાર્થિનીઓના નિવેદન લઈ તેમને નારી નિકેતન મોકલી દેવામાં આવી છે. કેટલીક વિદ્યાર્થિનીઓને તેમનાં માતા-પિતા ઘરે લઈ ગયાં છે.

તેમણે આગળ જણાવ્યું, "મદરેસામાં 125 વિદ્યાર્થિનીઓ ભણતી હતી, પરંતુ હાલમાં 51 જ હાજર હતી, બાકી તેમનાં ઘરે જતી રહી હતી. મદરેસામાં કન્યાઓ માટે એક છાત્રાલય પણ છે. પરંતુ ત્યાં કોઈ નિયમોનું પાલન થતું નથી. એટલે સુધી કે કન્યા છાત્રાલયની દેખરેખ માટે ત્યાં મહિલા વૉર્ડન પણ નિયુક્ત કરવામાં આવી નહોતી."

લખનૌના સઆદતગંજ વિસ્તારમાં આવેલાં આ મદરેસાના સ્થાપક ઇંદિરાનગરના રહેવાસી સૈયદ મોહમ્મદ જિલાની અશરફ છે.

ચિઠ્ઠી લખી ધાબેથી ફેંક્યો

પોલીસના જણાવ્યા મુજબ મદરેસાના સંચાલનની જવાબદારી જિલાનીએ તૈયબને આપી હતી. જિલાનીએ મીડિયાને કહ્યું, વિદ્યાર્થિનીઓએ એક કાગળમાં તેમની આપવીતી લખી અને મદરેસાના ધાબા પરથી તેને નીચે ફેંકી દીધી. આ કાગળ મહોલ્લાના લોકોએ અશરફને આપ્યો અને અશરફે પોલીસને ફરિયાદ કરી.

પોલીસને અલગથી કન્યાઓના પત્ર પણ મળ્યા હતા. અશરફે પણ ફરિયાદ કરી હતી. બન્નેની ફરિયાદ બાદ પોલીસે છાપો માર્યો હતો.

કાગળમાં વિદ્યાર્થિનીઓએ લખ્યું હતું કે તૈયબ જિયા અને એમના કેટલાક સાથીઓ એમનું જાતીય શોષણ કરે છે. વિરોધ કરતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. મદરેસાના સંસ્થાપક જિલાનીએ આ વિશે પોલીસને સૂચના આપી.

પોલીસની ભૂમિકા પર સવાલ

જોકે કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે મદરેસાની અંદર શું ચાલે છે એ ખબર નથી પરંતુ આની પાછળ એક કારણ સંપત્તિ વિવાદ હોઈ શકે છે.

એક સ્થાનિક રહીશે નામ છુપાવવાની શર્તે કહ્યું, પોલીસને ભલે પત્ર મળ્યા હોય, પરંતુ તેમને લખનારી છોકરીઓ એક-બે જ છે અને તેમની પાસે જાણી જોઈને આ કાગળ લખાવવામાં આવ્યા છે.

આ પત્રો અને પીડિત કન્યાઓના નામ સાર્વજનિક કરવા બદલ પોલીસની કામગીરી વિશે સવાલ ઊઠી રહ્યા છે. જ્યારે કે એક પણ વિદ્યાર્થીનીઓ આ વિશે વાત કરવા તૈયાર નહોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો