You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લૉગઃ શું પહેલી વખત રાહુલ ગાંધીથી ભાજપને લાગ્યો ડર?
- લેેખક, ઝુબેર અહેમદ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
મે 2019ની લોકસભા ચૂંટણી પહેલા 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ 11 રાજ્યોમાંથી છ રાજ્યો મહત્વપૂર્ણ છે. અહીં BJP અને કોંગ્રેસની સીધી ટક્કર જોવા મળશે.
છ રાજ્યોમાંથી બે એટલે કે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં છે.
તો બાકી ચાર રાજ્યો - ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાનમાં ભાજપની સરકાર છે.
આ સિવાય નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ અને સિક્કિમમાં પણ ચૂંટણીઓ યોજાશે.
પરંતુ ભાજપ અને કોંગ્રેસની નજર ઉપર જણાવવામાં આવેલા છ રાજ્યો પર ટકેલી રહેશે.
તમને આ પણ વાંચવું ગમશે
કેમ કે રાજકીય દૃષ્ટીએ આ રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ રાજ્યોમાં લોકસભાની કુલ 123 અને વિધાનસભાની 994 બેઠકો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકસભાની ચૂંટણી પહેલા જુદાજુદા રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ કોઈ મેચના સેમીફાઇનલ જેવી છે.
વર્ષના અંત પહેલા હિમાચલ પ્રદેશમાં નવમી નવેમ્બરના ચૂંટણીઓ યોજાશે.
આ તરફ ગુજરાતમાં હજુ ચૂંટણીની તારીખો અંગે કોઈ જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ચૂંટણી ડિસેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે.
કોંગ્રેસ સામે પડકાર
નિષ્ણાતો માને છે કે આ છ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની લોકસભા ચૂંટણી પર ભારે અસર પડશે.
કોંગ્રેસ પાર્ટીની સામે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં સત્તામાં પરત ફરવું, તે એક મોટો પડકાર હશે.
જો કોંગ્રેસ આ બે રાજ્યોમાં ચૂંટણી હારી જાય, તો પણ છમાંથી ત્રણ રાજ્યોમાં ચૂંટણી જીતી લે, તો લોકસભા ચૂંટણીમાં તેની અંદર વધુ આત્મવિશ્વાસ જોવા મળશે.
બીજી તરફ, આ રાજ્યો સિવાય રાજસ્થાનમાં કોંગ્રેસ જીત મેળવે, અને ગુજરાતમાં હાર છતાં ગત ચૂંટણીની સરખામણીએ પોતાની બેઠકો વધારવામાં સફળ રહે તો?
તો તે સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ માટે ખરાબ સમાચાર સાબિત થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભાજપ વર્ષ 1995થી સત્તામાં છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહના કેન્દ્રમાં આવ્યા બાદ ગુજરાત વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે.
ગુજરાત પ્રતિષ્ઠાનો સવાલ
ગત સાડા ત્રણ વર્ષ દરમિયાન આ બન્ને નેતાઓ તેમના ગૃહ રાજ્યને નથી ભૂલ્યા.
તેઓ ઘણી વખત ગુજરાતની મુલાકાત પણ લઈ ચૂક્યા છે.
ઑક્ટોબર મહિનામાં જ ગૌરવયાત્રા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વખત ગુજરાતની મુલાકાત લીધી છે.
23 ઑક્ટોબરના રોજ પણ પીએમ મોદીએ ગુજરાતની મુલાકાત લીધી.
વારંવારના પ્રવાસ દરમિયાન તેઓ પાર્ટીના હજારો કાર્યકર્તાઓને મળ્યા અને ચૂંટણીની તૈયારીઓ અંગે નિરીક્ષણ કર્યું હતું.
એવું લાગે છે કે પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ગુજરાતની ચૂંટણી વડાપ્રધાન અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
તમને આ પણ વાંચવું ગમશે
થોડા સમય પહેલા બીબીસી સાથે વાત કરતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે વર્ષ 2013માં તેમની હારના કારણ ગણાવ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે ત્રણ વખત સતત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ લોકો તેમની સરકારથી કંટાળી ગયાં હતાં.
અને તે જ કારણ છે કે દિલ્હીવાસીઓએ તેમની સરકારનો બહિષ્કાર કરી દીધો હતો.
પરંતુ ગુજરાત એ દિલ્હી નથી, મોદી લહેર હજુ પણ અનુભવી શકાય છે.
અહીં મોટા ભાગના લોકો મોદીને પસંદ કરે છે. ભાજપની જીત પર કદાચ જ કોઈને શંકા હોય.
કોંગ્રેસની બેઠકો વધશે
પરંતુ એ સંભાવનાને પણ ઓછા જ લોકો નકારી શકે છે કે ભાજપની બેઠકો ઓછી થઈ શકે છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને વિધાનસભાની 182 બેઠકોમાંથી 116 બેઠક મળી હતી અને કોંગ્રેસને 60 બેઠક.
જો કોંગ્રેસ 80 બેઠકો પર જીતે તો પણ તે મોદી- શાહની જોડી માટે તે હાર સમાન હશે.
કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક અઠવાડીયાથી જુસ્સામાં જોવા મળે છે.
ગત સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી સંપૂર્ણપણે પરાસ્ત થઈ ગઈ હતી, અને ત્યારથી જ મોદી-શાહે 'કોંગ્રેસ મુક્ત' ભારતનું સૂત્ર આપ્યું હતું.
થોડા સમય સુધી તો લાગ્યું કે તેમનું આ સૂત્ર સાચું પડી રહ્યું છે.
પરંતુ પંજાબ વિધાનસભામાં કોંગ્રેસને હાલ મળેલી જીત બાદ આ સૂત્ર સાંભળવા નથી મળી રહ્યું.
થોડા સમયથી એવા સંકેત મળી રહ્યા છે કે કોંગ્રેસમાં ફરી જીવ આવી રહ્યો છે.
પંજાબના ગુરૂદાસપુર લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસની જીત, મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં પ્રદર્શન સારું રહ્યું.
ઉપરાંત રાહુલ ગાંધીના સોશિઅલ મીડિયા પર મોદી વિરૂદ્ધ ટોન્ટ્સ અને તેને મળતી પ્રતિક્રિયાઓ આ બાબત તરફ સૂચન કરે છે.
આ બધાની સાથે તેમની ગુજરાત યાત્રા દરમિયાન લોકોનો ઉત્સાહ એ વાત તરફ સંકેત આપે છે કે ફરી એક વખત કોંગ્રેસનું વર્ચસ્વ સ્થપાય રહ્યું છે.
બીજેપી માટે જોખમ?
રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા દરમિયાન મંદિરોમાં જવાથી ભાજપના નેતાઓ ડરી ગયા હોય તેમ લાગે છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું, 'આ એક ઢોંગ છે.'
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું, 'રાહુલ બાબાએ ક્યારેય પૂજાની થાળી નથી ઉપાડી અને હવે તેઓ તિલક લગાવી માળા પહેરી રહ્યા છે.'
નિષ્ણાતોનું માનવું છે કે જો ભાજપ 'હાર્ડ હિન્દુત્વ'ને આગળ વધી રહ્યો છે તો કોંગ્રેસ 'સોફ્ટ હિન્દુત્વ'ને લઈને આગળ વધી રહી છે.
શીલા દીક્ષિતે પણ કહ્યું કે 'દેશની મોટા ભાગની જનસંખ્યા હિંદુ છે. કોંગ્રેસની નીતિ પણ આ વાત દર્શાવે છે. પરંતુ તે લઘુમતીઓનો હક છીનવવાની હિમાયત નથી કરતી.'
ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીનું એક સાધારણ હિંદુ જેમ મંદિરમાં જવું અને પૂજા પાઠમાં ભાગ લેવો, એ કોંગ્રેસની નીતિઓઓની એક કડી તરીકે જોવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો