જુદા જુદા ચાર્જિસ અને પેનલ્ટીમાંથી તમારી બૅન્ક કેટલા કરોડની કમાણી કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં બૅન્કિંગ સેક્ટરમાં સુધારા થયા પછી બૅન્કમાં ખાતું ખોલાવવાનું અને લોન લેવાનું કામ ઘણું સરળ અને ઝડપી બની ગયું છે. પરંતુ સાથે સાથે બૅન્કોની જુદી જુદી સર્વિસના ચાર્જિસ પણ વધી ગયા છે.
તમે બચત ખાતામાં દર મહિને સરેરાશ મિનિમમ બેલેન્સ ન જાળવો તો પેનલ્ટી ભરવી પડે, એક લિમિટથી વધુ વખત એટીએમનો ઉપયોગ કરવા પર ચાર્જ લાગે, ઓનલાઈન સર્વિસમાં પણ રકમ મુજબ અલગ અલગ ચાર્જ લાગે છે.
સરકારે તાજેતરમાં લોકસભામાં કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી માલિકીની બૅન્કોએ ઑનલાઇન સર્વિસિસ આપીને 2300 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે.
એટલું જ નહીં, દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઈએ એટીએમમાંથી રોકડ ઉપાડવાની સર્વિસ પર છેલ્લાં પાંચ વર્ષમાં 2043 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
મિનિમમ બૅલેન્સ ન જાળવવા એસબીઆઈ કેટલી પેનલ્ટી લગાવે છે તે વિશે સંસદમાં સવાલ પણ પૂછવામાં આવ્યો હતો.
તેના જવાબમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે "આરબીઆઈના નિયમ પ્રમાણે બૅન્ક પોતાની બોર્ડ દ્વારા એપ્રૂવ્ડ પૉલિસી મુજબ મિનિમમ બૅલેન્સ ન જાળવવા માટે ચાર્જ નક્કી કરી શકે છે." સરકારી માલિકીની બૅન્કોએ આવા ચાર્જિસ દ્વારા પાંચ વર્ષમાં 8495 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.
બૅન્ક સેવા માટે ઢગલાબંધ પ્રકારના ચાર્જિસ

ઇમેજ સ્રોત, Getty Images
બૅન્કો ગ્રાહક પાસેથી ચેક બૂકની ફી, ડેબિટ કાર્ડની વાર્ષિક ફી, ઍકાઉન્ટ સ્ટેટમેન્ટની ફિઝિકલ કૉપી, ફોન બૅન્કિંગ, ડુપ્લિકેટ પાસબૂક ઇશ્યૂ, ચેક કેન્સલેશન સહિત ઢગલાબંધ સર્વિસ માટે બૅન્ક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે.
તેવી જ રીતે ગ્રાહકો પોતાના ડેબિટ કાર્ડનું પિન નવેસરથી જનરેટ કરે તો પણ બૅન્કો તેના પર ચાર્જ વસૂલે છે. અપૂરતું બૅલેન્સ હોવાના કારણે અન્ય બૅન્કના એટીએમમાં ટ્રાન્ઝેક્શન નકારવામાં આવે તેનો પણ ચાર્જ લાગે. એનઈએફટી ટ્રાન્ઝેક્શન માટે દરેક લાખ રૂપિયા દીઠ ચાર્જ લાગુ પડે છે. સિગ્નેચર ઍટેસ્ટેશન, કાર્ડલેસ કેશ વિડ્રૉઅલ, ઈસીએસ (ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસિ) રિટર્ન, ચેક રિટર્ન, ઍકાઉન્ટ ક્લોઝર, ફોટો ઍટેસ્ટેશન સહિત દરેક સેવાઓ માટે બૅન્કો ચાર્જ વસૂલ કરે છે જેને ગ્રાહકોએ જીએસટી સાથે ચૂકવવો પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદાહરણ તરીકે દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન એટીએમ વિડ્રૉઅલ ફી તરીકે 331 કરોડની કમાણી કરી હતી, જ્યારે બાકીની 11 સરકારી માલિકીની બૅન્કોએ આ ગાળામાં 925 કરોડનું નુકસાન સહન કર્યું હતું એમ સરકારે લોકસભામાં જણાવ્યું હતું.
માર્ચ 2025ના આંકડા પ્રમાણે દેશમાં કુલ એટીએમ વિડ્રૉઅલમાં એકલી એસબીઆઈનો 31 ટકા હિસ્સો છે.
મિનિમમ બૅલેન્સની ચર્ચા અને RBIનો જવાબ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તમામ ખાનગી બૅન્કો અને અમુક સરકારી બૅન્કો મિનિમમ બૅલેન્સના નિયમનું પાલન કરાવે છે. ખાતામાં લઘુતમ બૅલેન્સ જાળવવામાં ન આવે તો તે ગ્રાહકો પર પેનલ્ટી લગાવે છે.
તાજેતરમાં પ્રાઇવેટ સેક્ટરની આઈસીઆઈસીઆઈ બૅન્કે મેટ્રો અને નૉન મેટ્રો શહેરો માટે મિનિમમ બૅલેન્સની જરૂરિયાત 10 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર કરી નાખતા હલચલ મચી ગઈ હતી. જોકે બાદમાં મિનિમમ બૅલેન્સની મર્યાદા 50 હજાર રૂપિયાથી ઘટાડીને 15 હજાર રૂપિયા કરી દીધી હતી.
બૅન્કની જાહેરાત પ્રમાણે પહેલી ઑગસ્ટથી ખોલવામાં આવેલા નવા સેવિંગ્સ ઍકાઉન્ટ પર આ ચાર્જ લાગુ પડશે.
સેમી અર્બન એરિયામાં આવેલી શાખાઓ માટે મિનિમમ બૅલેન્સની રકમ વધારીને 25 હજાર કરવામાં આવી છે જે અગાઉ 5000 હતી. ગ્રામીણ વિસ્તારોમાં હવે પાંચ હજારના બદલે 10 હજાર રૂપિયાની મિનિમમ બૅલેન્સ રાખવી પડશે.
જોકે, રિઝર્વ બૅન્કના ગવર્નરે કહ્યું કે ખાનગી બૅન્કો પોતાની રીતે મિનિમમ બૅલેન્સની રકમ નક્કી કરવા માટે સ્વતંત્ર છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે "મિનિમમ બૅલેન્સની રકમ નક્કી કરવાનું કામ આરબીઆઈએ બૅન્કો પર છોડ્યું છે. કેટલીક બૅન્કોમાં આ રકમ 10 હજાર છે તો કેટલીક બૅન્કોમાં માત્ર બે હજાર રૂપિયા છે. આ બાબત રેગ્યુલેટરી ક્ષેત્રમાં નથી આવતી."
મિનિમમ બૅલેન્સનાં અલગ અલગ ધોરણ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં અલગ અલગ બૅન્કોના મિનિમમ બૅલેન્સના ધોરણો પણ અલગ અલગ છે. ઉદાહરણ તરીકે ખાનગી સેક્ટરની એચડીએફસી બૅન્કોમાં અર્બન બ્રાન્ચ માટે માસિક 10 હજાર રૂપિયાનું મિનિમમ બૅલેન્સ અથવા કમસે કમ એક વર્ષ અને એક દિવસ માટે એક લાખ રૂપિયાની એફડીનો આગ્રહ રાખવામાં આવે છે.
ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બૅન્કમાં સેવિંગ્સ ઍકાઉન્ટ માટે મિનિમમ 10 હજાર રૂપિયાથી 20 હજાર રૂપિયાનું બૅલેન્સ રાખવું પડે છે. જો મિનિમમ બૅલેન્સ કરતા ઓછી રકમ હોય તો જેટલી રકમની ઘટ પડે તેના પર 6 ટકા ચાર્જ લાગે છે.
એક્સિસ બૅન્કમાં શહેરી કે ગ્રામીણ કોઈ પણ વિસ્તારની બ્રાન્ચ માટે 10 હજાર રૂપિયાની મિનિમમ બૅલેન્સ રાખવી પડે છે અથવા એક વર્ષ કે વધુ સમય માટે કમસે કમ 50 હજાર રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ રાખવી પડે છે.
સરકારી માલિકીની બૅન્ક ઑફ બરોડાની વેબસાઇટ પ્રમાણે ચેક ફેસિલિટી માટે મેટ્રો બ્રાન્ચમાં ત્રિમાસિક એવરેજ બૅલેન્સ 2000 રૂપિયા હોવું જોઈએ જ્યારે સેમી અર્બન બ્રાન્ચ માટે 1000 રૂપિયા બૅલેન્સ જરૂરી છે.
પંજાબ નૅશનલ બૅન્કે મિનિમમ બૅલેન્સ રાખવાની જરૂરિયાત દૂર કરી છે જ્યારે યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયામાં મેટ્રો શહેરોમાં બચત ખાતા માટે ત્રિમાસિક 1000 રૂપિયાનું સરેરાશ બૅલેન્સ જરૂરી છે.
સરકારી માલિકીની કેનરા બૅન્કમાં કોઈ મિનિમમ બૅલેન્સની જરૂર નથી.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ)માં પણ માસિક કે ત્રિમાસિક ધોરણે મિનિમમ બૅલેન્સ રાખવું ફરજિયાત નથી. જ્યારે ઇન્ડિયન બૅન્કમાં ચેક ફેસિલિટી જોઈતી હોય તો મેટ્રો અને અર્બન બ્રાન્ચમાં 2500નું લઘુતમ બૅલેન્સ રાખવું પડે છે, ચેક બૂક વગર 1000 રૂપિયાનું બૅલેન્સ પૂરતું રહેશે.
દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઈ એક સમયે મિનિમમ બૅલેન્સનો આગ્રહ કરતી હતી અને તેમાંથી જંગી કમાણી પણ થતી હતી. એપ્રિલથી નવેમ્બર 2017 દરમિયાન એસબીઆઈએ ગ્રાહકો પાસેથી મિનિમમ બૅલેન્સ ન જાળવવાની પેનલ્ટી રૂપે 1771 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા, જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર 2017ના ક્વાર્ટરમાં કંપનીનો નફો 1581 કરોડ હતો.
એટલે કે કંપનીના ત્રિમાસિક ચોખ્ખા નફા કરતા પણ એવરેજ મિનિમમ બૅલેન્સ ન જાળવનારા ગ્રાહકો પાસેથી વધારે રકમ મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 2020થી એસબીઆઈએ મિનિમમ બૅલેન્સની જરૂરિયાત દૂર કરી હતી.
બૅન્કો શા માટે મિનિમમ બૅલેન્સ ચાર્જ વસૂલે છે?

ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે બૅન્ક ખાતા જાળવવામાં અને તેની સર્વિસ આપવા માટે જે ખર્ચ થાય તેને ધ્યાનમાં રાખીને બૅન્કો મિનિમમ બૅલેન્સ રખાવતી હોય છે. ગ્રાહકો તેમના બચત ખાતામાં લઘુતમ રકમ ન રાખે તો બૅન્કો તેના પર ચાર્જ વસૂલ કરે છે. જોકે, આરબીઆઈએ સેવિંગ્સ ખાતાના મિનિમમ બૅલેન્સ અંગે કોઈ ગાઇડલાઇન આપેલી નથી.
એસબીઆઈ, બૅન્ક ઑફ ઈન્ડિયા, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને બીજી અમુક સરકારી બૅન્કોમાં મિનિમમ બૅલેન્સ ન જાળવવાનો કોઈ ચાર્જ નથી. જોકે, ચેક ફેસિલિટી માટે અમુક બૅન્કો મિનિમમ બૅલેન્સનો આગ્રહ કરે છે.
મિનિમમ બૅલેન્સ ન જળવાય તો પેનલ્ટી

ઇમેજ સ્રોત, Getty Images
દર મહિને સરેરાશ મિનિમમ બૅલેન્સ ન જાળવવા બદલ ગ્રાહકોએ તગડો દંડ ભરવો પડે છે. જેમ કે એચડીએફસી બૅન્કના બચત ખાતામાં મિનિમમ બૅલેન્સ ન જળવાય તો 300થી 600 રૂપિયા સુધી પેનલ્ટી લાગે છે, જ્યારે ઍક્સિસ બૅન્કમાં 50થી 600 રૂપિયા સુધી પેનલ્ટી લાગી શકે. મિનિમમ બૅલેન્સમાં કેટલા રૂપિયાની ઘટ પડે છે તેની ટકાવારીમાં પણ ચાર્જ વસુલાય છે.
કોટક બૅન્કમાં એવરેજ મિનિમમ બૅલેન્સમાં જે રકમ ઘટતી હોય તેના 6 ટકા ચાર્જ લાગે છે. આઈડીએફસી ફર્સ્ટ બૅન્કમાં પણ તે 6 ટકા અથવા 500 રૂપિયા છે. પંજાબ નૅશનલ બૅન્ક 25 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધીની પેનલ્ટી અથવા ચાર્જ લગાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












