ગાઝા સિટી પર 'કબજો' કરવાની ઇઝરાયલની યોજના પર પાંચ મુસ્લિમ દેશોએ કઈ ચેતવણી આપી?

ઇમેજ સ્રોત, AFP
ઇઝરાયલની સુરક્ષા કૅબિનેટે ગાઝા શહેર પર 'કબજો' કરવાની યોજનાને મંજૂરી આપી છે, જે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં એક મોટું અને વિવાદાસ્પદ પગલું માનવામાં આવે છે.
ગાઝા પટ્ટીના ઉત્તર ભાગમાં આવેલું આ શહેર યુદ્ધ પહેલાં સૌથી વધુ વસ્તી ધરાવતું ક્ષેત્ર હતું અને લાખો પેલેસ્ટિનિયન લોકો અહીં રહેતા હતા.
સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે ઇઝરાયલનાં આ પગલાંથી 'મોટાપાયે બળજબરીથી વિસ્થાપન' અને 'વધુ હત્યાઓ' થઈ શકે છે, જ્યારે હમાસે 'ઉગ્ર પ્રતિકાર' કરવાની ચેતવણી આપી છે.
આ નિર્ણય પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે, ખાસ કરીને મુસ્લિમ દેશોએ તેને માનવીય સંકટને વધુ ગાઢ બનાવતું પગલું ગણાવ્યું છે.
સાઉદી અરેબિયા, પાકિસ્તાન, કતાર, કુવૈત અને ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન (OIC) સહિત ઘણા દેશોએ તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન, બે રાષ્ટ્રોના સમાધાનમાં અવરોધ અને પેલેસ્ટિનિયન લોકોના અધિકારો પર સીધો હુમલો ગણાવ્યો છે.
સાઉદી અરેબિયાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાએ ઇઝરાયલના નિર્ણયની સખત નિંદા કરી છે. તેણે કહ્યું છે કે ઇઝરાયલનાં આ પગલાંથી ગાઝામાં ભૂખમરો વધશે અને તે પેલેસ્ટિનિયન નાગરિકોના વંશીય સફાયાની નીતિનો એક ભાગ છે.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "જો આંતરરાષ્ટ્રીય સમુદાય અને સુરક્ષા પરિષદ તાત્કાલિક ઇઝરાયલી હુમલાઓ અને તેના દ્વારા થઈ રહેલાં ઉલ્લંઘનોને બંધ નહીં કરે, તો તે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને કાયદેસરતાના પાયાને નબળી પાડશે. તેનાથી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિને જોખમમાં મૂકશે અને એવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે કે જેનાથી નરસંહાર અને બળજબરીથી વિસ્થાપનને પ્રોત્સાહન મળી શકે છે."
સાઉદી અરેબિયાએ એમ પણ કહ્યું હતું કે "વિશ્વે ઇઝરાયલી ગુનાઓને રોકવા અને પેલેસ્ટિનિયન લોકો સામે આવી રહેલાં માનવતાવાદી સંકટનો અંત લાવવા માટે નક્કર, મજબૂત અને દૃઢ પગલાં લેવાં જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કતારે પણ કરી નિંદા

ઇમેજ સ્રોત, Getty Images
કતારે પણ ઇઝરાયલની આ યોજનાની નિંદા કરી છે.
કતારના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયલનો નિર્ણય માનવતાવાદી સંકટને વધુ ગંભીર બનાવી શકે છે અને યુદ્ધવિરામના પ્રયાસોને નબળાં પાડશે.
નિવેદનમાં જણાવાયું છે કે, "ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અને ઠરાવોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે છે, જેમાં યુદ્ધના હથિયાર તરીકે ખોરાકનો ઉપયોગ કરીને ઇરાદાપૂર્વક નાગરિક વસ્તીને ભૂખ્યા રાખવાનું પણ સામેલ છે."
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને દખલ કરવા કરી અપીલ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે આ નિર્ણય પેલેસ્ટિનિયન લોકો સામે ચાલી રહેલા યુદ્ધનો એક ભાગ છે જે માનવીય કટોકટીને વધુ ખરાબ કરશે અને શાંતિની કોઈપણ શક્યતાને સમાપ્ત કરશે.
તેમણે કહ્યું, "આપણે આ સ્થિતિનું વાસ્તવિક કારણ ભૂલવું ન જોઈએ. ઇઝરાયલનો પેલેસ્ટિનિયન ભૂમિ પર લાંબા સમયથી ગેરકાયદેસર કબજો છે. જ્યાં સુધી આ કબજો ચાલુ રહેશે ત્યાં સુધી શાંતિ એક સ્વપ્ન જ રહેશે."
શરીફ વધુમાં કહે છે, "અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ કે તેઓ ઇઝરાયલના બિનજરૂરી આક્રમણને રોકવા, નિર્દોષ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગાઝાના લોકોને ખૂબ જ જરૂરી માનવતાવાદી સહાયનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરે."
કુવૈતે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કુવૈતે ઇઝરાયલી યોજનાને આંતરરાષ્ટ્રીય અને માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
તેણે કહ્યું હતું કે એ બે-રાષ્ટ્રના ઉકેલની સંભાવનાને નબળી પાડે છે.
કુવૈતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ અમાનવીય કૃત્યોને રોકવા, ગાઝા પટ્ટી સુધી પૂરતી અને તાત્કાલિક સહાય પહોંચાડવા માટે સરહદી માર્ગો ખોલવા અને ઇઝરાયલની ભૂખમરો અને વંશીય સફાઇની નીતિનો અંત લાવવા માટે તેમની જવાબદારીઓ પૂર્ણ કરવી જોઈએ."
ઇસ્લામિક સહકાર સંગઠન (OIC)

ઇમેજ સ્રોત, NEW.OIC-OCI.ORG
ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશનએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટી પર ફરીથી કબજો કરવાની અને મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કરવાની યોજનાઓ હાલની માનવતાવાદી પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
નિવેદનમાં માંગ કરવામાં આવી હતી કે "સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કાયમી અને વ્યાપક યુદ્ધવિરામ લાગુ કરવા, ગાઝા પટ્ટીના દરેક ભાગમાં માનવતાવાદી સહાય અને આવશ્યક પુરવઠાનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા અને પેલેસ્ટિનિયન લોકો માટે અસરકારક આંતરરાષ્ટ્રીય સુરક્ષા પૂરી પાડવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા જોઈએ."
ઓઆઇસીએ કહ્યું, "આંતરરાષ્ટ્રીય સમુદાયે ઇઝરાયલી કબજાને સમાપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ જેથી પેલેસ્ટિનિયન લોકો 1967થી કબજે કરેલા પ્રદેશો પર એક સ્વતંત્ર રાજ્ય તરીકે સાર્વભૌમત્વ પાછું મેળવી શકે, જેની રાજધાની જેરુસલેમ હોય."
તુર્કીએ ઇઝરાયલ પર ઉઠાવ્યા સવાલ

ઇમેજ સ્રોત, Reuters
તુર્કીના વિદેશ મંત્રાલયે ઇઝરાયલના હેતુઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આ નિર્ણય પેલેસ્ટિનિયનોના અધિકારોની વિરુદ્ધ છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, "ઇઝરાયલનો ઉદ્દેશ્ય પેલેસ્ટિનિયનોને તેમની પોતાની ભૂમિ પરથી બળજબરીથી વિસ્થાપિત કરવાનો છે."
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર વડા વૉલ્કર ટર્કે ગાઝામાં યુદ્ધ તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે જો પરિસ્થિતિ વધુ વણસી તો તેનાં ગંભીર પરિણામો આવશે.
તેમણે કહ્યું, "જો આવું થાય, તો મોટાપાયે બળજબરીથી વિસ્થાપન, હત્યાઓ અને બિનજરૂરી વિનાશ થઈ શકે છે."
ઇઝરાયલની યોજના શું છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીસ (IDF) ગાઝા શહેરનું નિયંત્રણ લેવાની તૈયારી કરશે.
આ નિવેદનમાં યુદ્ધનો અંત લાવવા માટે પાંચ 'સિદ્ધાંતો' નક્કી કરવામાં આવ્યા છે.
કૅબિનેટ બેઠક પહેલા નેતન્યાહૂએ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ઇઝરાયલ સમગ્ર ગાઝા પર નિયંત્રણ રાખે, પરંતુ નવી યોજનામાં ફક્ત ગાઝા સિટીનો જ ઉલ્લેખ છે.
બીબીસી મધ્ય પૂર્વના સંવાદદાતા હ્યુગો બશેગા કહે છે કે ગાઝા શહેર પર નિયંત્રણ મેળવવું એ ગાઝા પટ્ટી પર સંપૂર્ણ કબ્જો મેળવવા તરફનું પ્રથમ પગલું છે.
હમાસે આ યોજનાને 'એક નવો યુદ્ધ અપરાધ' ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે 'આ ગુનાહિત પગલાંની તેને ભારે કિંમત ચૂકવશે અને આ યાત્રા સરળ રહેશે નહીં.'
આ દરમિયાન, ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય ટીકાને નકારી કાઢી છે. સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે ઇઝરાયલની નિંદા કરનારા અને પ્રતિબંધોની ધમકી આપનારા દેશો 'અમારા મનોબળને નબળું પાડી શકશે નહીં.'
તેમણે કહ્યું, "અમારા દુશ્મનો આપણને વધુ મજબૂત જોશે, જેનાથી તેમને ભારે ફટકો પહોંચશે."
ઇઝરાયલની આ યોજનાની મુસ્લિમ દેશો તેમજ બ્રિટન, ફ્રાન્સ અને કૅનેડા દ્વારા નિંદા કરવામાં આવી છે, જ્યારે જર્મનીએ ઇઝરાયલમાં લશ્કરી નિકાસ બંધ કરી દીધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












