You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં ભયાનક વાવાઝોડું - '50 કિલોથી ઓછા વજનવાળા લોકોને પવન ઉડાડી શકે છે'
ચીનની રાજધાની બેઇજિંગ ઉપર ગત અડધી સદીનું સૌથી ભયાનક વાવાઝોડું ત્રાટક્યું છે. અહીં 150 કિમીની ઝડપે પવન ફૂંકાયો.
વાવાઝોડાએ ન કેવળ બેઇજિંગ પણ સમગ્ર ઉત્તર ચીનના અનેક ભાગોને અસર કરી છે, તેની અસર શનિવારે જોવા મળી હતી અને રવિવારે પણ ચાલુ રહેશે.
લાખો લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. અમુક સરકારી મીડિયા સંસ્થાઓએ ચેતવણી આપી હતી કે 50 કિલોગ્રામથી ઓછું વજન હોય તેવા લોકોએ બહાર ન નીકળવું, અન્યથા "સહેલાઈથી ઊડી જશો."
સાવચેતીનાં પગલાંરુપે અનેક ઐતિહાસિક સ્થાનો, પાર્ક તથા પર્યટકો માટેનાં આકર્ષણસ્થળોને બંધ કરી દેવામાં આવ્યાં છે. કેટલાંક જૂના વૃક્ષોને મજબૂત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, તો કેટલાંક વૃક્ષોના અમુક ભાગોને કાપી નાખવામાં આવ્યા છે, જેથી કરીને વાવાઝોડા સામે ટકી શકે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ,બેઇજિંગનાં બે મુખ્ય ઍરપૉર્ટ પરથી રવાના થતી આઠસોથી વધુ ફ્લાઇટોને રદ કરી દેવામાં આવી છે.
આ સિવાય ઍરપૉર્ટથી દોડતી ઍક્સપ્રેસ સબ-વે લાઇન તથા કેટલીક હાઈ-સ્પીડ ટ્રેનોને પણ રદ કરી દેવામાં આવી છે.
વેપાર અર્થે એક શહેરમાંથી બીજા શહેરમાં મુસાફરી કરતા અનેક વેપારીઓ અને કર્મચારીઓ ઉડ્ડાણો રદ થવાને કારણે અટવાઈ ગયા છે.
બેઇજિંગમાં 300થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. બેઇજિંગમાં અનેક ગાડીઓને નુકસાન થયું છે, પરંતુ કોઈ ઘાયલ થયું હોવાના અહેવાલ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેઇજિંગમાં લગભગ બે કરોડ 20 લાખ લોકો રહે છે. જેઓ સત્તાધીશો દ્વારા આપવામાં આવેલી સૂચનાનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે અને બિનજરૂરી મુસાફરી ટાળી રહ્યા છે. અહીંના એક રહીશે ન્યૂઝ એજન્સી રૉયટર્સને કહ્યું, "બેઇજિંગના લોકો ખૂબ જ નર્વસ હતા. આજે જ્વલ્લે જ કોઈ રસ્તા ઉપર જોવા મળ્યું હતું. છતાં, મેં ધાર્યું હતું, એટલું ભયાનક (વાવાઝોડું) ન હતું."
લોકોને વન્ય કે દુર્ગમ વિસ્તારોની મુસાફરી ન કરવાની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ ઘરની બહાર આગ ન પ્રગટાવવા પણ કહેવાયું છે, જેથી કરીને તે વન્યવિસ્તારોમાં દાવાનળનું સ્વરૂપ ધારણ ન કરી લે.
સામાન્ય રીતે વસંતઋતુ દરમિયાન ચીનના પાડોશી દેશ મંગોલિયામાંથી વંટોળ ઊઠે છે અને રેતીનું વંટોળ ચીન ઉપર આવે છે, પરંતુ જળવાયુ પરિવર્તનને કારણે આ વાવાઝોડાં વધુ શક્તિશાળી અને ઘાતક બની રહ્યાં છે.
હાલનું વાવાઝોડું પણ મંગોલિયામાં ઊભી થયેલી સિસ્ટમને કારણે આવ્યું છે અને વિકઍન્ડ દરમિયાન ચાલુ રહેશે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન