હિંડનબર્ગની કહાણી, જેણે ગૌતમ અદાણીના સામ્રાજ્યનાં મૂળિયાં હલાવી નાખ્યાં હતાં

ગૌતમ અદાણી અને નેટ એન્ડરસન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી અને નેટ એન્ડરસન
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અમેરિકાના શૉર્ટ સેલર ફંડ હિંડનબર્ગ રિસર્ચે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે સેબીનાં ચૅરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની "અદાણી મની સાઇફનિંગ ગોટાળા" માટે ઉપયોગ કરવામાં આવેલા ઑફશોર ફંડમાં ભાગીદારી છે.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેબીનાં ચૅરપર્સનની એ ઑફશોર કંપનીઓમાં ભાગીદારી હતી જે કંપનીઓનો ઉપયોગ અદાણી ગ્રૂપની કથિત નાણાકીય ગેરરીતિમાં થયો હતો.

જોકે, હિંડનબર્ગ તરફથી જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટને વિશે સેબીનાં ચૅરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે નિવેદન જાહેર કરીને પોતાનો પક્ષ રાખ્યો હતો અને આરોપોને ફગાવ્યા હતા.

બંનેએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું, "આ આરોપોમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને નાણાકીય લેવડ-દેવડ જગજાહેર છે."

આ પહેલાં વર્ષ 2023માં હિંડનબર્ગે પોતાના એક રિપોર્ટમાં અદાણી જૂથ અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા.

ગૌતમ અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023ના રોજ 'અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડ્સ થર્ડ રિચેસ્ટ મૅન ઇઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કૉન ઇન કૉર્પોરેટ હિસ્ટ્રી' શીર્ષક હેઠળ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

અહેવાલને પાયાવિહોણા ગણાવતા અદાણી ગ્રૂપે કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા છે, પરંતુ તેમ છતાં રોકાણકારોમાં ગભરાટનું વાતાવરણ છે.

આ તારીખ મહત્ત્વની છે કારણ કે તેના બે દિવસ પછી એટલે કે 27 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની કંપની શૅરબજારમાં સેકન્ડરી શૅર ઇશ્યુ કરવાની હતી. આ કોઈ નાનોસૂનો ઇશ્યુ નહોતો, પરંતુ રૂ. 20 હજાર કરોડનો અત્યાર સુધીનો સૌથી મોટો એફપીઓ હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના સંસ્થાપક ગૌતમ અદાણી દુનિયાના દસ સૌથી વધુ અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા. એટલું જ નહીં અદાણી ગ્રૂપે ગણતરીના દિવસોમાં કુલ 5.6 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાના અહેવાલ હતા.

તેનું કારણ તેમના રિપોર્ટમાં સામેલ 88 પ્રશ્નો છે, જે તેમણે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી જૂથને પૂછ્યા હતા. આમાં ઘણા પ્રશ્નો ખૂબ ગંભીર હતા અને સીધા અદાણી ગ્રૂપના કૉર્પોરેટ ગવર્નન્સને નિશાન બનાવતા હતા.

જો કે આ 88 પ્રશ્નોના જવાબમાં હિંડનબર્ગને પણ બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવે છે - પહેલો, કંપની પોતાને 'ઍક્ટિવિસ્ટ શોર્ટ સેલિંગ' કહે છે તે અબજો રૂપિયાનો નફો કરવા માટે તો આવું નથી કરી રહી અને બીજો પ્રશ્ન અહેવાલ છે.

અહેવાલ જાહેર થતાં જ અદાણી ગ્રૂપના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો. ગ્રૂપના શૅરો પર વેચવાલીએ એટલું જોર પકડ્યું કે જોતજોતામાં અદાણી ગ્રૂપના રોકાણકારો અને પ્રમોટરોની લાખ કરોડની માર્કેટ મૂડી સ્વાહા થઈ ગઈ.

અગાઉ ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થમાં 18 ટકાનો ઘટાડો થયો અને ફોર્બ્સ મૅગેઝિનની વિશ્વના અબજોપતિઓની રીયલ-ટાઇમ યાદી અનુસાર, તેઓ અમીરોની યાદીમાં ચોથા સ્થાનેથી સાતમા સ્થાને જતા રહ્યા હતા.

વાત અમેરિકાની ફાઇનાન્શિયલ ફોરેન્સિક રિસર્ચ કંપની હિંડનબર્ગની થઈ રહી છે, જે ભારતીય મીડિયામાં સતત હેડલાઈનોમાં છે.

આ સ્થિતિમાં સવાલ એ પણ ઊભો થાય છે કે ફાઈનાન્સિયલ ફોરેન્સિક રિસર્ચ કંપની હિંડનબર્ગ કોણ છે?

કંપની દાવો કર્યો હતો કે તેમની પાસે રોકાણને લઈને દાયકાઓનો અનુભવ છે. જોકે ફાઇનાન્સિયલ રિસર્ચવાળી દરેક કંપની આવો દાવો કર્યો હતો, પરંતુ આ કંપનીમાં એવું શું વિશેષ છે?

(આ અહેવાલ સૌપ્રથમ 31 જાન્યુઆપી 2024ના પ્રકાશિત થયો હતો)

રેડ લાઇન
  • હિંડનબર્ગ રિસર્ચની સ્થાપના 2017માં નાથન એન્ડરસને કરી હતી
  • એન્ડરસનનો જન્મ અમેરિકાના ન્યૂ ઇંગ્લૅન્ડના કનેક્ટિકટમાં થયો હતો
  • નાથન એન્ડરસન કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ડિગ્રી સાથે સ્નાતક થયા હતા
  • તેમણે ઇઝરાયલમાં હિબ્રુ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થોડો સમય ઍમ્બુલન્સ ડ્રાઇવર તરીકે પણ કામ કર્યું હતું
  • તેમણે 2020માં વૉલ સ્ટ્રીટ જર્નલને તેમના આદર્શ તરીકે હેરી માર્કોપોલોસ (અમેરિકાના નાણાકીય ગોટાળાના તપાસકર્તા)ને ગણાવ્યા હતા
રેડ લાઇન

અકસ્માત પરથી હિંડનબર્ગ નામ કેમ રાખ્યું?

હિંડનબર્ગ

ઇમેજ સ્રોત, hindenburgresearch.com

આ કંપનીના નામની પાછળ પણ એક ખાસ કહાણી છે. આ કંપનીનું નામ હિંડનબર્ગ એક અકસ્માતની ઘટના પરથી રાખવામાં આવ્યું છે. 1937માં થયેલા હિંડનબર્ગ અકસ્માતમાં 35 લોકો મૃત્યુ પામ્યા હતા.

હિંડનબર્ગ એ જર્મન ઍર સ્પેસશિપ હતું. આગ લાગવાથી તે બળીને ખાખ થઈ ગયું હતું. રિસર્ચ કંપનીનું તારણ હતું કે હાઇડ્રોજન બલૂનમાં અગાઉ પણ અકસ્માતો થયા હોવાથી આ અકસ્માત ટાળી શકાયો હોત.

ઍરલાઈને આ સ્પેસશિપમાં 100 લોકોને પરાણે બેસાડી દીધા હતા. કંપનીનો દાવો છે કે હિંડનબર્ગ અકસ્માતની જેમ તેઓ શૅરબજારમાં થઈ રહેલાં ગોટાળા અને ગરબડો પર નજર રાખે છે. તેમને ખુલ્લા પાડવાનો અને સામે લાવવાનો અમારો હેતુ છે.

કોણ છે હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક?

હિંડનબર્ગ રિસર્ચની સ્થાપના 2017માં નાથન એન્ડરસને કરી હતી. વેબસાઈટમાં તેમની ઓળખ ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ ઍનાલિસ્ટ(સીએફએ) અને ચાર્ટર્ડ ઑલ્ટરનેટિવ ઇન્વૅસ્ટમેન્ટ ઍનાલિસ્ટ (સીએઆઈએ) તરીકે આપવામાં આવી છે.

એન્ડરસનનો જન્મ અમેરિકાના ન્યૂ ઇંગ્લૅન્ડના કનેક્ટિકટમાં થયો હતો.

રૉયટર્સ અનુસાર, નાથન એન્ડરસન કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ડિગ્રી સાથે સ્નાતક થયા હતા, તેમણે ડેટા કંપની ફૅક્ટસેટ રિસર્ચ સિસ્ટમ્સ ઇન્કમાં ફાઇનાન્સમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તેમણે ઇન્વૅસ્ટમેન્ટ મૅનેજમૅન્ટ કંપનીઓ સાથે કામ કર્યું હતું. તેમણે ઇઝરાયલમાં હિબ્રુ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન થોડો સમય ઍમ્બુલન્સ ડ્રાઈવર તરીકે પણ કામ કર્યું હતું. તેમના લિંક્ડઇન પૅજ પર લખ્યું છે કે તેનાથી આત્યંતિક દબાણ હેઠળ વિચારવાનો અને કામ કરવાનો અનુભવ મળ્યો.

તેમણે 2020માં વૉલ સ્ટ્રીટ જર્નલને તેમના આદર્શ તરીકે હેરી માર્કોપોલોસ (અમેરિકાના નાણાકીય ગોટાળાના તપાસકર્તા)ને ગણાવ્યા હતા. હેરી માર્કોપોલોસે ઍનાલિસ્ટ તરીકે પહેલી બર્ની મૅડોફની ફ્રૉડ સ્કીમને ઉજાગર કરી હતી. નાસ્ડૅકના પૂર્વ ચૅરમૅન બર્ની મૅડોફ અમેરિકાના ઈતિહાસના સૌથી મોટા કૌભાંડીની યાદીમાં આવે છે.

સીએનએનના અહેવાલ અનુસાર, તપાસકર્તાઓએ 14.4 અબજ ડૉલર રિકવર કર્યા હતા.

હિંડનબર્ગનો ટ્રૅક રેકૉર્ડ

હિંડનબર્ગ

ઇમેજ સ્રોત, SUJIT JAISWAL/AFP VIA GETTY IMAGES

કંપનીની વેબસાઈટે દાવો કર્યો છે કે હિંડનબર્ગ રિસર્ચ કંપનીએ તેના અહેવાલો અને અન્ય પ્રકારની કાર્યવાહીથી આ પહેલાં પણ ઘણી કંપનીઓના શૅરને ગબડાવી ચૂકી છે.

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, હિંડનબર્ગે વર્ષ 2020થી અત્યાર સુધીમાં 30 કંપનીઓના સંશોધન અહેવાલો બહાર પાડ્યા છે અને અહેવાલ જાહેર થયાના બીજા જ દિવસે તે કંપનીના શૅર સરેરાશ 15% જેટલા તૂટ્યા હતા.

એટલું જ નહીં તે પછીના છ મહિનામાં એ કંપનીઓના શૅરમાં સરેરાશ 26 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

જો અદાણી ગ્રૂપની જ વાત કરીએ તો રિપોર્ટ આવ્યા બાદ બે ટ્રેડિંગ સેશનમાં કંપનીના શૅર 25 ટકાથી વધુ તૂટ્યા છે.

જોકે, એક રિસર્ચ કંપનીના વિશ્લેષક આસિફ ઈકબાલ કહે છે કે હિંડનબર્ગે પોતે સ્વીકાર્યું છે કે અદાણી ગ્રૂપના શૅરોમાં તેમની ‘શૉર્ટ પોઝિશન’ છે, એટલે કોઈ પણ વ્યક્તિ માટે આ સંશોધન અહેવાલ પાછળ 'એક એજન્ડા' છે એવું પણ કહેવાયું છે .

88 પ્રશ્નો પૂછતી હિંડનબર્ગને પણ બે મહત્ત્વના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે - એક, પોતાને 'ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલિંગ' ગણાવતી કંપની અબજો રૂપિયાનો નફો રળવા માટે તો આમ નથી કરતી અને બીજો પ્રશ્ન અહેવાલના ટાઈમિંગનો છે.

હિંડનબર્ગનો સૌથી હાઇ-પ્રોફાઇલ દાવ શું છે?

અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

હિંડનબર્ગ સપ્ટેમ્બર 2020માં તેમણે ઇલેક્ટ્રિક ટ્રક મિટર નિકોલ કૉર્પ (NKLA.O) સામે જે સફળતા હાંસલ કરી હતી તેના માટે સૌથી ખ્યાત છે. એન્ડરસને WSJ કહ્યું હતું કે આના કારણે હિંડનબર્ગની ‘મોટી જીત’ થઈ હતી, પરંતુ તેમણે રકમ અંગે ખુલાસો કરવાનો ઇનકાર કર્યો હતો.

હિંડનબર્ગે દાવો કર્યો હતો કે નિકોલાએ તેના રોકાણકારો સાથે ટેકનૉલૉજિકલ ડેવલપમૅન્ટ અંગે દગો કર્યો છે.

એન્ડરસને નિકોલની ઇલેક્ટ્રિક ટ્રક પૂરપાટ ઝડપે જતી બતાવતા એક વીડિયોને પડકાર્યો હતો – ખરેખર એ ટ્રક ટેકરી પરથી નીચે જઈ રહી હતી.

અમેરિકાની જ્યૂરીએ નિકોલાના સ્થાપક ટ્રેવર મિલ્ટનને દોષી ઠેરવ્યા, તેમના પર રોકાણકારોને જૂઠું બોલ્યાનો આરોપ હતો.

વર્ષ 2021માં કંપની અમેરિકાના સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચેન્જ કમિશનને આ મામલાની પતાવટ માટે 125 મિલિયન ડૉલર આપવા રાજી થઈ હતી.

નિકોલાએ જૂન 2020માં લિસ્ટેડ કંપની તરીકે શરૂઆત કરી હતી અને તેની કુલ વેલ્યુએશન અમુક દિવસોમાં 34 બિલિયન ડૉલરને પાર કરી ગઈ હતી, જે એ સમયે ફોર્ડ મૉટર્સને પણ વટાવી ગઈ હતી.

જોકે, હાલ તેની સંપત્તિ 1.34 બિલિયન ડૉલરની જ રહી ગઈ છે. હિંડનબર્ગે દાવો કર્યો હતો કે કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓએ જ આ તપાસમાં તેમની મદદ કરી હતી.

શૉર્ટ સેલિંગ શું છે?

અદાણી

ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE

‘શૉર્ટ સેલિંગ’ માટે ઘણા લોકો હિંડનબર્ગના ઈરાદા પર શંકા કરી રહ્યા છે.

વાસ્તવમાં તેને શૉર્ટ સેલર કહેવામાં આવે છે, જે પોતાની પાસે શૅર ન હોવા છતાં તેને વેચે છે. (તમે વિચારતા હશો કે આવું કઈ રીતે બને?)

આને અલગ રીતે સમજીએ... જો એક શૉર્ટ સેલરને આશા હોય કે રૂ. 100નો શૅર ઘટીને રૂ. 60ના સ્તર સુધી તૂટી શકે છે તો તે બ્રોકર પાસેથી શૅર ઉધાર લઈને તેને રૂ. 100માં ખરીદવા તૈયાર અન્ય રોકાણકારોને વેચી દેશે. જ્યારે આ શૅર ટૂટીને 60ના સ્તર સુધી આવી જાય ત્યારે શૉર્ટ સેલર તેને ખરીદીને બ્રોકરને પાછા આપી દેશે. આ રીતે શૉર્ટ સેલર દરેક શૅર પર રૂ. 40 નો નફો કમાઈ શકે છે.

એક રિસર્ચ કંપનીમાં વિશ્લેષક આસિફ ઇકબાલ કહે છે, "આ રિપોર્ટથી હિંડનબર્ગને સીધેસીધો આર્થિક લાભ થવાનો છે, એટલે તેની પાછળ કોઈ એજન્ડા હોઈ શકે છે એ સંભાવનાને નકારી શકાય નહીં, પરંતુ રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપો, જેમાં જંગી લોન, ઉચ્ચ મૂલ્યાંકન, ઘણા રોકાણકારોની વાત કરવામાં આવી છે. તેના વિશે રોકાણકારો લાંબા સમયથી વાતો કરી રહ્યા છે."

શૅરબજારના વિશ્લેષક અરુણ કેજરીવાલ પણ હિંડનબર્ગના ઇરાદા પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ કહે છે, "જો શૅરધારક ઍક્ટિવિસ્ટ હોય તો તેમનો ઉદ્દેશ પૈસા કમાવવાનો હોતો નથી. શૅરને શૉર્ટ કરીને પછી પૂછવું કે અમારા સવાલોના જવાબ આપો. આ તો ઉઘાડું બ્લૅકમેલિંગ છે. તેના માટે રેગ્યુલેટર છે, તેમને લખવું જોઈએ. આ 88 પ્રશ્નો સેબીને પૂછવા જોઈતા હતા અને સેબીએ જ તેના જવાબો શોધવા જોઈતા હતા."

અહેવાલના ટાઈમિંગને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝના રૂ. 20,000 કરોડનો એફપીઓ આવવાનો હતો ત્યારે જ આ અહેવાલ શું ઇરાદાપૂર્વક બહાર પાડવામાં આવ્યો હતો?

રિપોર્ટ કેવી રીતે બન્યો?

હિંડનબર્ગનો દાવો છે કે તેમનો રિપોર્ટ બે વર્ષના સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને આ માટે અદાણી ગ્રૂપમાં કામ કરી ચૂકેલા ભૂતપૂર્વ અધિકારીઓની સાથે અન્ય ઘણા લોકો સાથે પણ વાત કરવામાં આવી છે અને ઘણા દસ્તાવેજોને આધાર બનાવવામાં આવ્યા છે.

કંપનીએ તેમની વેબસાઈટ પર લખ્યું છે કે તે માત્ર રોકાણ માટે નિર્ણયો આપવા માટે તે વિશ્લેષણને તો આધાર બનાવે જ છે, સાથે તે ઈન્વેસ્ટિગેટિવ રિસર્ચ અને સૂત્રો પાસેથી મળતી ગુપ્ત માહિતી પર પણ રિસર્ચ કરે છે. જેને શોધી કાઢવું ઘણું મુશ્કેલ હોય છે.

(બીબીસી સંવાદદાતા દિનેશ ઉપ્રેતીના અહેવાલના આધારે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.