ઇઝરાયલે ઈરાનના તેલભંડારોને નિશાન બનાવ્યા તો દુનિયા પર શું અસર થશે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, ચંદન જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તાજેતરના સંઘર્ષની સૌથી વધુ અસર ક્રૂડ ઑઇલ માર્કેટ પર થવાની શક્યતા છે. આ કારણે સમગ્ર વિશ્વમાં તેલની કિંમતમાં વધારો થઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના નિવેદન બાદ આ શકયતા વધી છે.
બાઇડને કહ્યું છે કે ઇઝરાયલ ઈરાના તેલના જે ભંડાર છે તેને નિશાન બનાવી શકે છે અને આ સંભવિત હુમલાની અમેરિકામાં ચર્ચા થઈ છે. બાઇડનને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ઈરાનના તેલભંડારો પર ઇઝરાયલના હુમલાનું સમર્થન કરશે?
એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "અમે તે વિશે ચર્ચા કરી રહ્યા છીએ."
બાઇડનના આ નિવેદન પછી ક્રૂડ ઑઇલની કિંમતમાં પાંચ ટકાનો વધારો થયો છે.
ઇઝરાયલ - ઈરાન સંઘર્ષની હાલની સ્થિતિ શું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઈરાને મંગળવારે મોડી રાત્રે ઇઝરાયલ તરફ સેંકડો મિસાઇલો છોડી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે તીર ખેંચયેલા છે.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈરાને ઇઝરાયલ પર 181 બૅલેસ્ટિક મિસાઇલ છોડી છે અને તેમાં પેલેસ્ટાઇનના એક નાગરિકનું મોત થયું છે.
પાંચ મહિના પહેલાં એપ્રિલમાં ઈરાને ઇઝરાયલ પર લગભગ 110 બૅલેસ્ટિક મિસાઇલો અને 30 ક્રૂઝ મિસાઇલોથી હુમલો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાનના તાજેતરના મિસાઇલ હુમલા પછી ઇઝરાયલની સુરક્ષા કૅબિનેટની બેઠક બંકરમાં યોજાઈ હતી, જેમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, ઈરાને આજે એક મોટી ભૂલ કરી છે અને તેને તેની કિંમત ચૂકવવી પડશે.
જુલાઈમાં હમાસની રાજકીય પાંખના વડા ઇસ્માઇલ હાનિયાની તેહરાનમાં હત્યા કરવામાં આવી હતી.
ઈરાન આ માટે ઇઝરાયલને જવાબદાર માને છે. જોકે, આ હત્યા બાદ ઈરાને તરત જ ઇઝરાયલ વિરુદ્ધ કોઈ આક્રમક પગલું ભર્યું ન હતું.
જે પછી આ વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ લેબનોનમાં ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા.
આ બંને નેતાઓ ઈરાનના સમર્થક ગણાતા હતા. એવું માનવામાં આવે છે કે તેની હત્યા બાદ ઈરાન પર તેના જ દેશની અંદરથી પણ વળતો જવાબ આપવાનું દબાણ હતું.
ઈરાનનું કહેવું છે કે તેણે આ બે હત્યાઓનો બદલો લેવા માટે જ ઇઝરાયલ પર મિસાઇલ છોડી છે.
બુધવારે ઇઝરાયલના મીડિયામાં છપાયેલા સમાચાર અનુસાર, ઇઝરાયલ થોડા દિવસોમાં ઈરાનના કેટલાંક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવશે. આ હુમલાઓમાં ઈરાનના તેલનાભંડાર પર હુમલાની પણ અટકળ છે.
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના નેલ્સન મંડેલા સેન્ટર ફૉર પીસ ઍન્ડ કૉન્ફ્લિક્ટ રિઝૉલ્યુશનના ફૅકલ્ટી મેમ્બર રેશ્મી કાઝી કહે છે કે, "મધ્ય પૂર્વમાં જે પ્રકારની સંઘર્ષની સ્થિતિ છે એવામાં જો ઈરાનના તેલના કૂવા અને ભંડાર પર હુમલો થશે તો તેની અસર મોટા પાયે થશે."
રેશ્મા કાઝીના કહેવા પ્રમાણે, "આનાથી માત્ર તેલના વિતરણ પર જ અસર નહીં પડે પરંતુ વ્યૂહાત્મક રીતે ઘણા મહત્ત્વપૂર્ણ રસ્તાઓ બંધ થઈ શકે છે. આને કારણે, અન્ય વસ્તુઓના પરિવહન માટે લાંબું અંતર કાપવું પડશે, જેનાથી ખર્ચ અને મોંઘવારી વધશે."
રેશ્મા કાઝી માને છે કે એકંદરે તેની સીધી અસર ભારત સહિત વિશ્વભરના સામાન્ય લોકો પર પડશે.
દુનિયાના તેલ બજારોમાં ઈરાનનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઈરાન વિશ્વનો સાતમો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. તે પોતાના કુલ તેલ ઉત્પાદનનું અડધોઅડધ નિકાસ કરે છે. તેના મુખ્ય બજારોમાં ચીનનો સમાવેશ થાય છે.
જોકે, આ વર્ષે ચીનમાં તેલની ઓછી માંગ તેમજ સાઉદી અરેબિયામાંથી તેલના પૂરતા પુરવઠાને કારણે આ વખતે તેલના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો નથી. ઈરાન પાસે વિશ્વમાં ચોથા નંબરનો સૌથી મોટો તેલભંડાર છે અને ઈરાન પાસે વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ગેસ ભંડાર છે.
ઑર્ગનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ ઍક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)માં ઈરાન ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને દરરોજ લગભગ 30 લાખ બેરલ તેલનું ઉત્પાદન કરે છે. જે કુલ વૈશ્વિક ઉત્પાદનના લગભગ ત્રણ ટકા જેટલું છે.
એવી આશંકા છે કે જો ઇઝરાયલ ઈરાનના તેલભંડારને નિશાન બનાવીને નષ્ટ કરશે તો તેની અસર તેલ વિતરણ પર પડશે અને વિશ્વભરમાં તેલના ભાવમાં ખૂબ વધારો થઈ શકે છે.
સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદી કહે છે, "જો ઇઝરાયલ ઈરાનના તેલના કૂવા પર હુમલો કરશે તો દેખીતી રીતે જ વિશ્વભરના તેલ બજાર પર તેની અસર પડશે."
રાહુલ બેદીનું માનવું છે કે આર્થિક પ્રતિબંધોને કારણે ચીન હાલમાં ઈરાન પાસેથી સૌથી વધુ તેલ ખરીદે છે, જ્યારે ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઑઇલ ખરીદી રહ્યું છે.
પરંતુ જો ઈરાન પાસેથી તેલ નહીં મળે તો અન્ય ચીનમાં દેશો પાસેથી તેલની માંગ વધશે અને તેની અસર તેલના ભાવ પર પડશે.
ભારત પર કેટલી અસર થશે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઈરાને ઇઝરાયલ પર કરેલા હુમલા પછી મધ્ય પૂર્વમાં સંઘર્ષની શક્યતા વધી ગઈ છે. જેની સીધી અસર તેલની કિંમતો પર જોવા મળી રહી છે.
આ અસર એ હકીકત પરથી પણ સમજી શકાય છે કે હસન નસરાલ્લાહની હત્યા બાદ જ્યારે ઈરાનના મિસાઇલ હુમલાનો ભય હતો, તે જ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો લગભગ ત્રણ ટકા વધી ગઈ હતી.
એવામાં જો ઇઝરાયલ, ઈરાનના તેલભંડારોને નિશાન બનાવે છે, તો તેની આંતરરાષ્ટ્રીય તેલ બજાર પર વ્યાપક અસર પડી શકે છે.
'બ્રેન્ટ ક્રૂડ' એ તેલની કિંમત માટે આંતરરાષ્ટ્રીય બૅન્ચમાર્ક છે. તેમના મત મુજબ ઈરાનના તેલભંડારો વિશે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના નિવેદન પછી ક્રૂડ ઑઇલની કિંમતોમાં પાંચ ટકાનો વધારો થયો હતો.
'બ્રેન્ટ ક્રૂડ' અનુસાર, સોમવારે ઇઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલા પછી ક્રૂડ ઑઇલની કિંમતોમાં અત્યાર સુધીમાં 10 ટકાનો વધારો થયો છે અને તે બેરલ દીઠ 77 ડૉલરની આસપાસ પહોંચી ગયો છે. જો કે એ વધારો આ વર્ષની મહત્તમ કિંમત કરતાં હજુ પણ ઓછો છે.
રાહુલ બેદી કહે છે, "એક વાત જે ભારતની તરફેણમાં હોઈ શકે છે તે એ છે કે જો ઈરાનથી વિતરણ ઘટશે તો ભારત રશિયા પાસેથી ખરીદેલું તેલ અન્ય દેશોને ઊંચા ભાવે વેચી શકે છે. પરંતુ ભારત પર તેનું ભૂ-રાજકીય દબાણ કેવું હશે તે અત્યારે કહી શકાય નહીં.
રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો કર્યો હતો. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. તેનાથી રાહત મેળવવા માટે રશિયાએ ભારત સહિત વિશ્વના ઘણા દેશોને આંતરરાષ્ટ્રીય બજાર કરતા ઓછા ભાવે ક્રૂડ ઑઇલ વેચવાની ઑફર કરી હતી.
ગયા વર્ષે મે મહિનામાં યુરોપિય સંઘના વિદેશ નીતિના વડા જોસેપ બ્યુરેલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ જાણતા હતા કે ભારત મોટા પાયે રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદી રહ્યું છે અને તેનું પ્રોસેસિંગ કરીને યુરોપમાં નિકાસ કરી રહ્યું છે.
તેમણે તેને પ્રતિબંધોનું ઊલ્લંઘન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે સભ્ય દેશોએ તેને રોકવા માટે પગલાં લેવાની જરૂર છે.
સમાચાર સંસ્થા રૉઇટર્સના એક અહેવાલ અનુસાર, ભારતીય વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, વર્ષ 2022માં યુરોપમાં ભારતની તેલ ઉત્પાદનોની નિકાસમાં 70 ટકાનો વધારો થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












