મોરબી પુલ દુર્ઘટના: કોણ છે જયસુખ પટેલ અને તેમણે કોર્ટમાં આત્મસમર્પણ કેમ કરવું પડ્યું?

ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે મોરબીના બ્રિજને ખુલ્લો મૂક્યો હતો

ઇમેજ સ્રોત, OREVA.COM

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસર્પણ કર્યું
  • બાદમાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા
  • 1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલનું મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે નામ આપવામાં આવ્યું હતું
  • તેમની ધરપકડ માટે વૉરંટ બહાર પાડવામાં કરવામાં આવ્યું હતું
  • તેમણે 16 જાન્યુઆરીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી
  • જયસુખ પટેલની ઓરેવા ગ્રૂપને મચ્છુ નદી પરના 100 વર્ષ જૂના સસ્પેન્શન બ્રિજના નવીનીકરણ, સંચાલન અને જાળવણીનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો
  • બ્રિજ ફરીથી ખુલ્લો મૂકાયો, એના ચાર દિવસ પછી 30 ઑક્ટોબરે તૂટી પડ્યો હતો
  • ઑક્ટોબર 2022માં નામોલ્લેખ વિના નોંધાયેલી ફરિયાદમાં લખ્યું હતું કે "અન્ય જવાબદાર લોકોનાં નામ તપાસ દરમિયાન બહાર આવી શકે છે."
  • અગાઉ પોલીસે ઓરેવા કંપનીના બે મૅનેજરો સહિત કુલ નવ લોકોની ધરપકડ કરી હતી
બીબીસી ગુજરાતી

ઓરેવા ગ્રૂપના માલિક અને મોરબીમાં પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસર્પણ કર્યું છે.

જ્યાં જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોનાં મોત થયાં હતાં, જેના લગભગ ત્રણ મહિના બાદ ઓરેવા ગ્રૂપના પ્રમોટર અને અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે નામ સામેલ કરવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ હતા અને ગયા અઠવાડિયે તેમની ધરપકડ માટે વૉરંટ બહાર પાડવામાં કરવામાં આવ્યું હતું. ધરપકડના ડરથી તેમણે 16 જાન્યુઆરીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલનું મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે નામ આપવામાં આવ્યું હતું.

અજંતા બ્રાન્ડ હેઠળ ઘડિયાળના ઉત્પાદન માટે જાણીતી કંપની ઓરેવા ગ્રૂપને મચ્છુ નદી પરના 100 વર્ષ જૂના સસ્પેન્શન બ્રિજના નવીનીકરણ, સંચાલન અને જાળવણીનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. બ્રિજ ફરીથી ખુલ્લો મૂકાયો, એના ચાર દિવસ પછી 30 ઑક્ટોબરે તૂટી પડ્યો હતો.

જયસુખ પટેલને અગાઉ ધકપકડ કરાયેલા નવ આરોપી સાથે 10મા આરોપી તરીકે ઉમેરવામાં આવ્યા હતા. જેમાં પેટા કૉન્ટ્રૅક્ટર, ટિકિટ ક્લાર્ક અને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા દૈનિક વેતન મજૂરોનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તપાસ ટીમનું માનવું છે કે, પટેલને એટલે આરોપી બનાવવામાં આવ્યા છે કારણ કે બ્રિજના સમારકામ, ઑપરેશન અને મૅનેજમેન્ટ સંબંધિત બધા પત્રવહેવાર અને સંવાદ સીધા તેમની પરિધિમાં આવતા હતા.

મોરબીમાં ઓરેવાના કૉમ્પલેક્સમાંથી મળેલા દસ્તાવેજોમાં તેમના હસ્તાક્ષર જોઈ શકાય છે. પોલીસે કહ્યું હતું કે ફાઇનલ ફૉરેન્સિક રિપોર્ટ હજુ આવવાનો બાકી છે એટલે તેને ચાર્જશીટ સાથે નથી જોડવામાં આવ્યો.

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 304 (હત્યા), 308 (હત્યાનો પ્રયાસ) અને 114 હેઠળ "જવાબદાર એજન્સીઓ" વિરુદ્ધ FIR નોંધી હતી. ઑક્ટોબર 2022માં કોઈના વિશેષ નામનો ઉલ્લેખ કર્યા વિના ફરિયાદ નોંધાઈ હતી, તેમાં એવું પણ નોંધાયું હતું કે "અન્ય જવાબદાર લોકોનાં નામ તપાસ દરમિયાન બહાર આવી શકે છે."

ત્યારબાદ, એએમપીએલના મૅનેજર દીપક પારેખ અને દિનેશભાઈ દવે, બે ટિકિટ બુકિંગ ક્લાર્ક, બ્રિજ પર હાજર ત્રણ સિક્યૉરિટી ગાર્ડ અને ગયા વર્ષે માર્ચ અને ઑક્ટોબર વચ્ચે બ્રિજનું સમારકામ અને જાળવણી કરતા બે ખાનગી કૉન્ટ્રેક્ટર સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પારેખ અને દવે અનુક્રમે મોરબી અને સામખિયાળી મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટનો હવાલો સંભાળતા હતા.

બીબીસી ગુજરાતી

ફરિયાદમાં શું છે?

આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને ઓરેવા કંપનીના બે મૅનેજરો સહિત કુલ નવ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસ ફરિયાદમાં ઝૂલતા પુલનું મેન્ટનન્સ અને મૅનેજમૅન્ટ કરનારી વ્યક્તિઓ અથવા તો એજન્સી પર પુલનું યોગ્ય રીતે મેન્ટનન્સ કે મૅનેજમૅન્ટ નહીં કરવાનો આરોપ લગાવાયો છે.

ફરિયાદમાં એવો પણ આરોપ છે કે પુલના મેન્ટનન્સ મામલે બેદરકારી અને નિષ્કાળજી રાખવાના કૃત્યને કારણે ઝૂલતા પુલ પર પ્રવાસન માટે આવેલા નાગરિકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

પુલ પર આવનારા પ્રવાસી નાગરિકોને શારીરિક હાનિ પહોંચાડવાની સંભાવનાની જાણકારી હોવાના પણ આરોપો મૂકવામાં આવ્યા છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ આરોપ મૂક્યો હતો કે 'નગરપાલિકાની જાણ બહાર આ પુલનું ઉદ્ધાટન કરી દેવામાં આવ્યું, જેને કારણે તેનું સેફ્ટી ઑડિટ થયું નહોતું.'

બીબીસી ગુજરાતી

મોરબી પુલ દુર્ઘટના બાદ

મોરબી

ઇમેજ સ્રોત, BBC/GEETA PANDEY

અંદાજે બે કરોડના ખર્ચે પુલનું સમારકામ પૂરું થયું હતું.

આ પુલના સમારકામ અને દેખરેખની જવાબદારી ઓરેવાની હોવા છતાં દુર્ઘટના બાદ જયસુખ પટેલ જાહેરમાં દેખાયા નથી અને એમના તરફથી આ અંગે કોઈ નિવેદન પણ અપાયું નહોતું.

બીજી તરફ ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પુલની મરામતમાં તેનાં તળિયાનાં પતરાં જ બદલવામાં આવ્યાં હતાં, જ્યારે પુલને ટેકો આપતા કેબલને બદલવામાં નહોતા આવ્યા.

પીટીઆઈના અહેવાલ અનુસાર જે કૉન્ટ્રાક્ટરે ઝૂલતા પુલનું રિપેરિંગ કર્યું હતું તેમની પાસે આ પ્રકારની કામગીરી કરવાની યોગ્ય લાયકાત નહોતી. ધરપકડ કરવામાં આવેલા નવ આરોપીઓને મંગળવારે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે સરકારી વકીલ દ્વારા આ વિગતો કોર્ટને આપવામાં આવી હતી.

પુલ પર જવા માટેની ટિકિટના મોટેરાઓ માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયા વસુલવામાં આવતા હતા.

દરમિયાન આ દુર્ઘટનામાં જો જયસુખ પટેલનું નામ ખૂલશે તો તેમનો કેસ નહીં લડવાનો નિર્ણય મોરબીના વકીલોએ કર્યો હતો.

બીબીસી ગુજરાતી

'પીડિત પરિવારોને વળતર અને અનાથ થયેલાં બાળકોની જવાબદારી લેવા તૈયાર'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ઓરેવા ગ્રૂપે ગયા વર્ષે 30 ઑક્ટોબરે તૂટી પડેલા મોરબી ફૂટબ્રિજની જાળવણી અને સંચાલન માટે કરાર કર્યો હતો, તેણે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની દેખરેખ હેઠળ "કંઈક ખોટું" થયું હતું, જેના કારણે 135 લોકોએ જીવ ગુમાવવો પડ્યો.

તેમણે પીડિતોના સંબંધીઓને વળતરની ઑફર કરી હતી, દુર્ઘટનામાં અનાથ થયેલાં સાત બાળકોની જવાબદારી ઉપાડવાની પણ તૈયારી બતાવી હતી.

ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ ફોજદારી કેસમાં આરોપી છે અને તેમની ધરપકડ માટે વૉરંટ જારી કરવામાં આવ્યું હતું. જે બાદ કંપનીએ બ્રિજની જાળવણીમાં થયેલી ભૂલનો સ્વીકાર કર્યો હતો. તપાસ કરનારી ટીમનો દાવો છે કે બ્રિજ તૂટ્યો, એ બાદ જયસુખ પટેલનો સંપર્ક થયો નથી.

ગુજરાત હાઈકોર્ટે કંપનીને સુઓમોટો પીઆઈએલ પર કંપનીને નોટિસ આપી હતી.

અદાલતે કહ્યું હતું કે પુરાવાના આધારે અને અજંતા ગ્રૂપને સસ્પેન્શન બ્રિજનું સંચાલન કેમ ચાલુ રાખવા દેવાયું, આ અંગે સ્પષ્ટતા કરવામાં મ્યુનિસિપાલિટીના નિષ્ફળ રહેવા પરથી "એ નિષ્કર્ષ કાઢી શકાય કે બંને વચ્ચે કંઈ સાઠગાંઠ હતી."

અગાઉ નગરપાલિકાએ બે ઍફિડેવિટ દાખલ કરી હતી, જેમાંથી એક પણ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ખંડપીઠને સંતોષકારક લાગી નહોતી.

બીબીસી ગુજરાતી

કોણ છે જયસુખ પટેલ?

જયસુખ પટેલ

ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA

જયસુખ પટેલના પિતા અને ભારતના "દીવાલ ઘડિયાળના પિતા" ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને 'ઓરેવા ગ્રૂપ'ની સ્થાપના કરી હતી.

આ કંપનીનું નામ તે વખતે 'અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર' હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી.

જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં 'અજંતા કંપની' ઓધવજીના નામે થઈ.

આ દાયકામાં ઓધવજીએ 'ક્વાટર્ઝ ઘડિયાળ' બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.

કંપનીનો કારોબાર 45 જેટલા દેશોમાં ફેલાયો. ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું 'ઓરેવા'.

બીબીસી ગુજરાતી

ઓરેવાનો કારોબાર

જયસુખ પટેલની કંપનીનું નામ ઓરેવા છે
ઇમેજ કૅપ્શન, જયસુખ પટેલની કંપનીનું નામ ઓરેવા છે

અમદાવાદસ્થિત ગ્રૂપ તેમની મોટી પેઢી અજંતા મૅન્યુફૅક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડના નામથી લાઇટિંગ પ્રોડક્ટ, બૅટરી ઑપરેટેડ બાઇકો, ઘરેલુ વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ ઍસેસરી, ટેલિફોન, કૅલક્યુલેટર, એલઈડી ટીવી અને અન્ય ઉત્પાદનો બનાવવામાં સક્રિય છે. ઓરેવા 55 હજાર ચેનલ પાર્ટનર થકી સમગ્ર દેશમાં ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપનીએ સસ્તું ઇ-બાઇક પણ લૉન્ચ કર્યું હતું. તેમણે સસ્તાં ટાઇલ્સ, રિસ્ટ વૉચ અને મોબાઇલ ફોન પણ બનાવ્યાં હતાં.

ગુજરાતમાં કચ્છના સામખિયાળીથી 200 એકર જમીનમાં આવેલા દેશના સૌથી મોટા પ્લાન્ટ પૈકી એકને તેઓ ઑપરેટ કરે છે.

લાઇટિંગ સેગમૅન્ટમાં આગળ વધી કંપની એલઈડી લાઇટિંગ પ્રોડક્ટના નિર્માણમાં સક્રિય થઈ છે અને એક સમયે દીવાલ ઘડિયાળ ક્ષેત્રે આગળ પડતું નામ એવી આ કંપની ડિજિટલ ઘડિયાળ ક્ષેત્રમાં પદાર્પણ કરી ચૂકી છે.

ઓરેવા ગ્રૂપમાં હાલ 7 હજાર કર્મચારીઓ કામ કરે છે જેમાં પાંચ હજારથી વધુ મહિલા કર્મચારીઓ છે.

ઓરેવા ગ્રૂપની વૅબસાઇટ પ્રમાણે હાલ ઓરેવા ગ્રૂપની 8 કંપની કાર્યરત

  • અજંતા મૅન્યુફૅક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ
  • અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરિંગ કંપની
  • અજંતા ઍનર્જી પ્રાઇવેટ લિમિટેડ
  • અજંતા ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ
  • ઓરેવા ઍનર્જી પ્રાઇવેટ લિમિટેડ
  • ઓરેવા સિરેમિક પ્રાઇવેટ લિમિટેડ
  • ઇન્ડ-ઇન્ફ્રા ડૅવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ
  • ગ્રીન-કૉ એનવિરો પ્રાઇવેટ લિમિટેડ
બીબીસી ગુજરાતી

જયસુખ પટેલનું રાજકીય જોડાણ

રાજકીય નેતાઓ સાથે જયસુખ પટેલ

ઇમેજ સ્રોત, OREVA.COM

ઓરેવા ગ્રૂપની વેબસાઇટ પ્રમાણે, ગુજરાતમાં ચેકડેમ માટે બે કરોડની સહાય આપનારા આ ગ્રૂપે સરકારની વૉટરશેડ યોજના હેઠળ સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે 21 હેક્ટર ખેતીને પિયતની સુવિધા પહોંચાડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા કહે છે કે, "જયસુખ પટેલના પિતા ઓધવજીભાઈનું પણ પટેલ સમાજમાં ભારે વર્ચસ્વ હતું. અને તેમના સમયથી જ કંપની દ્વારા વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે."

જયસુખ પટેલ લિખિત 'રણ સરોવર' નામના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, આ કંપનીએ મોરબી અને કચ્છમાં કંપનીના પરિસરમાં એક લાખથી વધારે વૃક્ષો વાવ્યાં છે. પર્યાવરણનું જતન કરવાના પ્રયાસરૂપે ઓરેવા ગ્રૂપને 2007માં 'ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર' પણ મળ્યો છે. જયસુખ પટેલના રાજકીય સંપર્કો ગુજરાતના બંને મુખ્ય પક્ષો- કૉંગ્રેસ અને ભાજપ સાથે રહ્યા છે.

મોરબી ખાતેના બીબીસીના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા પ્રમાણે, તેમના પિતા અને જયસુખભાઈ ભાજપના થોડા વધુ નજીક હતા. તેનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે લાંબા સમયથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. પણ છતાં તેમના કાર્યક્રમોમાં ભાજપ અને કૉંગ્રેસ એમ બંને પક્ષોના નેતાઓ આવતા રહ્યા છે.

તેમની કંપનીની વૅબસાઇટમાં તેમના ભાજપના નેતાઓ સાથેની તસવીરો પણ મળે છે, જેને કારણે તેઓ ભાજપના નજીકના હોવાના ઓરોપો પણ લાગે છે.

બીબીસી ગુજરાતી

હાઈકોર્ટનો સરકારને સવાલ

મોરબી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

મોરબી મામલે સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે કંપનીએ એ શરત મૂકીને મ્યુનિસિપાલિટી સામે પોતાનો હાથ ઊંચો રાખ્યો કે સરકારી તંત્ર દ્વારા કોઈ હસ્તક્ષેપ નહીં કરવામાં આવે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ચીફ જસ્ટિસ કુમારે કહ્યું હતું કે "તમે શક્તિશાળી સંસ્થા છો. તમે કહો છો કે તમે એક સમજદાર વ્યક્તિની જેમ પગલાં લીધા? તમે કેમ ચૂપ રહ્યા? અને હવે તમે સરકારને પગલાં ન લેવા કહી રહ્યા છો."

ગુજરાત હાઈકોર્ટ એવું પણ નોંધ્યું કે મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર અને કંપની વચ્ચે જે કરાર પર હસ્તાક્ષર થયા તે ક્યારેય જનરલ બૉડી સમક્ષ રજૂ કરવામાં આવ્યો નહોતો.

19મી ડિસેમ્બરના રોજ મોરબી મ્યુનિસિપાલિટીના 52માંથી 44 કાઉન્સિલરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો.

બીબીસી ગુજરાતી

શું હતો ઘટનાક્રમ

મોરબી પુલ

ઇમેજ સ્રોત, AFP

મોરબીનો ઝૂલતો પુલ માર્ચની શરૂઆતથી જ બંધ હતો અને 2008થી પુલ જાળવણી અને સંચાલન માટે ઓરેવા ગ્રૂપને સોંપી દેવાયો હતો. 26 ઑક્ટોબરના રોજ સમારકામ બાદ તેને ગુજરાતી નવા વર્ષના દિવસે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

30 ઑક્ટોબરે મોરબીનો જાણીતો ઝૂલતો પુલ તૂટ્યો હતો અને સરકારી આંક અનુસાર એમાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

મોરબી શહેરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, “56 બાળકો મૃત્યુ પામ્યાં હતાં, જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરનાં 40 બાળકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં, 32 મહિલાઓનાં મૃત્યુ થયાં હતાં.”

વરિષ્ઠ પત્રકાર અને છેલ્લાં કેટલાંક વર્ષોથી મોરબીમાં સ્થાયી થયેલા પ્રવીણ વ્યાસે કહ્યું હતું કે, “સામ્રાજ્યવાદી યુગના ઝૂલતા પુલ (હેંગિંગ બ્રિજ)ને રાજ્યની પ્રવાસન વેબસાઇટમાં "ટેકનૉલૉજિકલ અજાયબી" તરીકે વર્ણવવામાં આવ્યો છે. તે નગરજનોમાં ભારે લોકપ્રિય હતો અને એક મુખ્ય પ્રવાસી આકર્ષણ પણ હતો.”

પ્રવીણ વ્યાસે બીબીસીને કહ્યું હતું, "ઘણી ઊંચાઈએ આવેલા આ પુલ પરથી શહેરનું વિહંગાવલોકન કરી શકાતું હતું. બાળકો તેને વિશેષ પસંદ કરતાં હતાં કારણ કે તે ઝૂલતો હતો."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી