સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં કેવી રીતે ફસાઈ ગયાં છે

ઇમેજ સ્રોત, Getty Images/EPA
ભારતીય મૂળનાં અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ના અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં સંશોધન કરવા માટે ગયાં છે પરંતુ તેઓ પાછા આવવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે.
5મી જૂનના રોજ બૉઇંગની નવી સ્ટારલાઇનર અવકાશયાનમાં સુનીતા વિલિયમ્સ અને બચ વિલમોર અંતરિક્ષમાં ગયાં હતાં. બંને અવકાશયાત્રીઓ આઠ દિવસમાં સંશોધન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત આવવાના હતા પરંતુ આટલા દિવસો બાદ પણ તેઓ પરત ફરી શક્યા નથી. સ્ટારલાઇનર અવકાશયાનમાં ટૅક્નિકલ ખામી સર્જાવાને કારણે આમ થયું છે.
નાસાએ જણાવ્યું છે કે સ્ટારલાઇનર અવકાશયાનમાં જે ટૅક્નિકલ ખામી સર્જાઈ છે તેને રિપેર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
18મી ઑગષ્ટના રોજ ‘ક્રુ નાઇન’ પ્રોજેક્ટ અંતર્ગત નાસા ચાર સભ્યોની એક ટીમ ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં મોકલશે. આ પ્રોજેક્ટ માટે નાસાએ ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે જોડાણ કર્યું છે.
શું સ્ટારલાઇનર અવકાશયાનમાં સર્જાયલી ખામીના કારણે 'ક્રુ નાઇન પ્રોજેક્ટ'માં વિલંબ થઈ શકે છે? સુનીતા વિલિયમ્સ સામે પૃથ્વી પરત આવવામાં કયા પડકારો છે?

સ્ટારલાઇનરની સમસ્યા

ઇમેજ સ્રોત, NASA/Boeing
ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં અવકાશયાત્રીઓને મોકલવા માટે નાસા સંસ્થા બે ખાનગી કંપનીઓ સાથે કામ કરી રહી છે. એક કંપની છે સ્પેસ એક્સ અને બીજી કંપની છે બૉઈંગ.
પોતાનું અવકાશયાન બનાવવાની અને ઑપરેટ કરવાની જગ્યાએ નાસા ખાનગી કંપનીઓની મદદ લઈ રહી છે. નાસા સંસ્થા અનુસાર અવકાશયાત્રાનો ખર્ચ ઘટાડવા માટે અને કૉમર્શિયલ સ્પેસ ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે તે આમ કરી રહી છે.
અત્રે નોંધનીય છે કે 2015માં સ્ટારલાઇનર પોતાની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ પર જવાનું હતું પરંતુ સૉફ્ટવેરમાં તકનીકી ખામીના કારણે 2019 સુધી ટેસ્ટ ફ્લાઇટ શક્ય બની નહોતી. અંતે આ પ્રોજેક્ટને અટકાવી દેવો પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑગસ્ટ 2021માં ફરીથી સ્ટારલાઇનરને અવકાશયાત્રાએ મોકલવાનું નક્કી થયું હતું. પરંતુ મે 2022 સુધી પ્રોજેક્ટ ફળીભૂત થયો નહોતો. ત્યારે નાસાએ કારણ આપ્યું હતું કે સ્ટારલાઇનરની થ્રસ્ટ સિસ્ટમમાં ખામી હોવાના કારણે ટેસ્ટ ફ્લાઇટ શક્ય બની નથી.
આ બધી ખામીઓ ઉપરાંત સ્ટારલાઇનરની વાઇરીંગ અને પૅરાશૂટમાં પણ ખામી સર્જાતા અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં લઈ જવાની યોજનામાં સતત વિલંબ થતો ગયો.
બાદમાં નાસાએ દાવો કર્યો કે સ્ટારલાઇનરની દરેક ખામી સુધારી લેવામાં આવી છે. જાહેર કરવામાં આવ્યું કે 7મી મેના રોજ અવકાશયાન પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ માટે ટેકઑફ કરશે. પરંતુ લૉન્ચ થવાના 90 મિનિટ પહેલાં જાહેરાત થઈ કે ટૅક્નિકલ સમસ્યાના કારણે લૉન્ચ રદ કરવામાં આવ્યું હતું.
સુનીતા વિલિયમ્સ અને બચ વિલમોર સ્ટારલાઇનરમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી જતાં યાત્રા રદ કરવામાં આવી હતી.
સ્ટારલાઇનરની પ્રથમ ઉડાન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિવિધ પ્રકારના ટેસ્ટ બાદ 5મી જૂનના રોજ સ્ટારલાઇનર અવકાશયાનને સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું.
જોકે, લૉન્ચ બાદ ખબર પડી હતી કે અવકાશયાનમાંથી ઓછી માત્રામાં હિલિયમ ગૅસ લીક થઈ રહ્યો છે. લીકેજ નાનું હોવાથી એંજિનિયરનું અનુમાન હતું કે તેનાથી અવકાશયાત્રાને કોઈ અસર થઈ નહીં થાય.
હિલિયમ ગૅસ થ્રસ્ટર ઍંજિન જરૂરી બળ આપે છે જેના બળ વડે અવકાશયાન અંતરિક્ષથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતી વખતે અવકાશયાનની ગતિ ઓછી થઈ જાય છે.
અવકાશયાત્રા શરૂ થયાં બાદ સ્ટારલાઇનરમાં બીજા ચાર લીકેજ સામે આવ્યાં હતાં. ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશન પહોંચવા પહેલાં જ અવકાશયાનના 28માંથી પાંચ થ્રસ્ટર ખરાબ થઈ ગયાં. જોકે, બાદમાં પાંચમાંથી ચાર થ્રસ્ટરનું સફળતાપૂર્વક રિપેરીંગ કરવામાં આવ્યું છે અને હાલ તેઓ કાર્ય કરી રહ્યાં છે.
સુનીતા વિલિયમ્સ અને બચ વિલમોર આઠ દિવસ માટે ગયાં હતા પરંતુ ટૅક્નિકલ ખામીઓનાં કારણે તેમનાં પરત આવવાની તારીખ લંબાતી ગઈ.
નાસાએ જાહેરાત કરી હતી કે સ્ટારલાઇનર 26 જૂનના રોજ રાત્રે 10 વાગ્યે પૃથ્વી પર પરત ફરશે પરંતુ ટૅક્નિકલ ખામીઓના કારણે આમ થઈ શક્યું નહીં.
સુનીલા વિલિયમ્સ અને બચ વિલમોરને ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશન પહોંચીને 60 દિવસ થઈ ગયાં છે અને નાસા વિવિધ ટેસ્ટ કરી રહી છે જેથી ટૅક્નિકલ ખામીઓ દૂર કરી શકાય અને બંને અવકાશયાત્રીઓને પરત લાવી શકાય.
બૉઇંગ ઉપર દબાણ

3જી ઑગષ્ટના રોજ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર બૉઇંગે લખ્યું કે, ‘‘અમારી ટીમ દ્વારા કરવામાં આવેલાં અસંખ્ય ટેસ્ટ બાદ અમને સ્ટારલાઇનર ક્રાર્યક્રમ અને અવકાશયાનની ક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ છે. અવકાશયાન સુરક્ષિત રીતે લૅન્ડ થાય તે માટે અમે નાસા સાથે કામ કરી રહ્યા છીએ.’’
એવું માનવામાં આવે છે કે બૉઇંગ માટે આ પ્રોજેક્ટ બહુ મહત્ત્વનો છે. 100 વર્ષ જૂની આ કંપની પ્રથમ વિશ્વયુદ્ધના સમયથી વિમાનોનું ઉત્પાદન કરી રહી છે અને છેલ્લાં થોડાં વર્ષોથી કંપની ખોટા કારણોસર સમાચારમાં છે. કેટલાક સમયથી કંપનીએ બનાવેલાં વિમાનો ક્રેશ થવાની ઘટનામાં વધારો થયો છે.
2020માં કંપનીએ પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 2011થી લઈને 2020 સુધી બૉઇંગ કંપનીએ બનાવેલાં 320 વિમાનો ક્રેશ થયાં છે. વિમાન ક્રેશ થવાની ઘટનાઓમાં 1752 લોકોનાં મૃત્યુ થયાં છે. 2020માં 17 બૉઇંગ વિમાનો ક્રેશ થયાં હતાં જેમાં 121 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
સતત ક્રેશ થતાં વિમાનોને કારણે બૉઇંગ કંપનીની શાખ ખરડાઈ હતી અને સ્ટારલાઇનર પ્રોજેક્ટ થકી કંપની પોતાની છબી સુધારવા માગે છે.
શું સુનીતા વિલિયમ્સ પાછા આવી શકશે?

નાસા વારંવાર કહે છે કે તેઓ સુનીતા વિલિયમ્સ અને બેરી વિલમોર સુરક્ષિત છે. પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે નાસા કેમ ટૅક્નિકલ ખામીઓ દૂર કરી શકતી નથી.
ડૉ. ટી. વી. વેકેંટેશ્વરન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍજ્યુકેશન રિસર્ચમાં પ્રોફેસર છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ''નાસા સ્ટારલાઇનરનું ટેસ્ટ કરી રહી છે અને એટલે એમ ન કહી શકાય કે તેઓ અંતરિક્ષમાં ફસાઈ ગયા છે. એ વાત સાચી છે કે બૉઇંગની ઘણી ટીકા થઈ છે પરંતુ આ એક પ્રકારનું પરીક્ષણ છે. નાસા અને બૉઇંગને અનઅપેક્ષિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જેમાં હિલિયમ ગૅસ લીક અને થ્રસ્ટરની સમસ્યા મુખ્ય છે. આ બંને સમસ્યા દૂર કરી શકાય છે. બંને અવકાશયાત્રીઓ સુરક્ષિત છે.''
ક્રુ નાઇન પ્રોગ્રામ વિશે તેઓ કહે છે કે આ હાલની ઘટનાથી પ્રોગ્રામ પર કોઈ અસર નહીં થાય. જો સ્ટારલાઇનર સુનીતા વિલિયમ્સ અને બેરી વિલમોરને પરત નહીં લાવી શકે તો નાસા પાસે બીજો પ્લાન હશે.
તેઓ વધુમાં કહે છે કે, ''સ્પેસ એક્સના અવકાશયાનનો ઉપયોગ કરીને બંને અવકાશયાત્રીઓને પરત લાવી શકાય છે પરંતુ જો આમ થશે તો બૉઇંગ માટે ઝાટકા સમાન હશે. નાસાએ અવકાશ ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભૂમિકા વિશે ફરીથી વિચાર કરવો જોઈએ.''












