લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ત્રણ વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 49.20 ટકા મતદાન થયું છે.
સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 70.19 ટકા અને સૌથી ઓછું મતદાન ઉત્તર પ્રદેશમાં 43.95 ટકા થયું છે.
ચૂંટણીપંચના વોટર ટર્નઆઉટ ઍપ અનુસાર, બિહારમાં 45.21 ટકા, હરિયાણામાં 46.26 ટકા, જમ્મુ કાશ્મીરમાં 44.41 ટકા, ઝારખંડમાં 54.34 ટકા, દિલ્હીમાં 44.58 ટકા અને ઓરિસ્સામાં 48.44 ટકા મતદાન થયું છે.
મતદાન વચ્ચે મમતા બેનરજીએ આરોપ લગાવ્યો છે કે ઈવીએમમાં ભાજપનો ટેગ લાગેલો જોવા મળ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસે તેનો ફોટો પણ શેર કર્યો છે.
રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી સાથે મતદાન કર્યું, સેલ્ફી પોસ્ટ કર્યા બાદ શું કહ્યું?

ઇમેજ સ્રોત, x/Rahul Gandhi
લોકસભા ચૂંટણી માટે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં મતદાન કર્યા બાદ માતા અને કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની સેલ્ફી શૅર કરી.
તેમણે લખ્યું, "માએ અને મેં લોકતંત્રના આ મહાપર્વમાં મત આપીને અમારું યોગદાન આપ્યું."
રાહુલ ગાંધીએ આ ટ્વીટમાં દાવો કર્યો હતો કે પ્રથમ પાંચ તબક્કાના મતદાનમાં મતદારોએ ખોટ, નફરત અને દુષ્પ્રચારને નકારીને જીવનજરૂરિયાતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું, "આજે છઠ્ઠા તબક્કાનું મતદાન છે અને તમારો દરેક મત સુનિશ્ચિત કરશે કે :
- યુવાઓ માટે 30 લાખ ખાલી સરકારી પદો પર ભરતી અને 1 લાખ રૂપિયા વર્ષની પાક્કી નોકરી યોજના શરૂ થાય
-ગરીબ પરિવારની મહિલાઓનાં ખાતાંમાં 8,500 રૂપિયા મહિના આવા લાગે.
- ખેડૂત દેવામુક્ત થાય અને તેમને પાક પર યોગ્ય એમએસપી મળે
- શ્રમીકોને 400 રૂપિયાનું દૈનિક વેતન મળે
- તમારો મત તમારા જીવનને બહેતર બનાવવા ઉપરાંત લોકતંત્ર અને બંધારણની રક્ષા પણ કરશે. તમે સૌ મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળો, પોતાના અધિકારી અને પરિવારના ભવિષ્ય માટે મતદાન કરો."
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે મતદાન કર્યા બાદ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ આજે લોકસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું.
ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, “મારા પિતા, પત્ની અને બંને બાળકોએ મતદાન કર્યું છે. મારા માતાની તબિયત અતિશય ખરાબ હોવાથી તેઓ મતદાન કરવા આવી શક્યા નથી.”
કેજરીવાલે કહ્યું, “મને લાગે છે કે લોકો ભારે સંખ્યામાં તાનાશાહી, મોંઘવારી અને બેરોજગારી સામે મતદાન કરી રહ્યા છે.”
અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હીના કથિત શરાબનીતિ ગોટાળાને લઇને તેઓ જેલમાં હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે.
તે દરમિયાન ઉત્તર-પૂર્વી દિલ્હીથી કૉંગ્રેસના ઉમેદવાર કનૈયાકુમારે દિલ્હીમાં મતદાન ધીમું થઈ રહ્યું હોવાની ફરિયાદ કરી છે. તેમના કહ્યા અનુસાર અનેક બૂથો પર ઇવીએમ ધીમા ચાલી રહ્યા છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ ગઠબંધન કર્યું છે જે અંતર્ગત કૉંગ્રેસ ત્રણ બેઠકો અને આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
છઠ્ઠા તબક્કામાં કઈ બેઠકો પર મતદાન?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પહેલા પાંચ તબક્કામાં વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે થયેલા મતદાનની સરખામણીમાં સરેરાશ ઓછું મતદાન થયું છે.
કુલ 58 બેઠકો માટે 889 ઉમેદવારો મેદાનમાં છે. ચોથી જૂનના રોજ ચૂંટણીનાં પરિણામો જાહેર થશે.
બિહારની કુલ આઠ બેઠકો વાલ્મીકિનગર, પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, શિઓહર, વૈશાલી, ગોપાલગંજ, સિવાન અને મહારાજગંજ પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.
હરિયાણાની તમામ 10 બેઠકો પર આ તબક્કામાં એકીસાથે જ મતદાન થશે. તેમાં અંબાલા, કુરુક્ષેત્ર, સિરસા, હિસાર, કરનાલ, સોનીપત, રોહતક, ભિવાની-મહેન્દ્રગઢ, ગુરુગ્રામ, ફરીદાબાદનો સમાવેશ થાય છે.
દિલ્હીની સાતેય બેઠકો ચાંદનીચોક, નવી દિલ્હી, નોર્થ-ઇસ્ટ દિલ્હી, ઇસ્ટ દિલ્હી, નોર્થ-વેસ્ટ દિલ્હી, વેસ્ટ દિલ્હી અને સાઉથ દિલ્હી પર પણ આજે મતદાન થઈ રહ્યું છે.
ઝારખંડની ચાર બેઠકો પર પણ છઠ્ઠા તબક્કામાં મતદાન શરૂ છે. તેમાં ગિરિડીહ, રાંચી, જમશેદપુર અને ધનબાદનો સમાવેશ થાય છે.
ઓડિશાની સંબલપુર, કિઓનઝર, ધેનકનાલ, પુરી, ભુવનેશ્વર અને કટક એમ છ બેઠકો પર આજે મતદાન છે.
ઉત્તર પ્રદેશ માટે પણ આ તબક્કો ઘણો મહત્ત્વપૂર્ણ છે. છઠ્ઠા તબક્કામાં અહીંની 14 બેઠકો પર મતદાન થશે. તેમાં સુલતાનપુર, પ્રતાપગઢ, ફુલપુર, અલાહાબાદ, આંબેડકરનગર, ડુમરિયાગંજ, સંત કબીરનગર, લાલગંજ, આઝમગઢ, જૌનપુર, મછલીશહર, ભદોહી, શ્રાવસ્તી અને બસ્તી સમાવિષ્ટ છે.
પશ્ચિમ બંગાળની આઠ બેઠકો તામલુક, કાંથી, ઘટાલ, ઝારગ્રામ, મેદિનીપુર, પુરુલિયા, બાંકુરા અને બિષ્ણુપુરમાં પણ આજે મતદાન છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે.
ક્યા મોટા ચહેરાઓ પર રહેશે નજર?

ઇમેજ સ્રોત, Getty Images
મેનકા ગાંધી
ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા મેનકા ગાંધી ચૂંટણીમેદાને છે. તેઓ 2019માં પણ અહીંથી માત્ર 14526 મતે વિજયી બન્યાં હતાં. ભાજપે તેમને ફરી એક વાર ટિકિટ આપી છે. 2014માં તેઓ પીલીભીત બેઠકથી ચૂંટણી લડ્યાં હતાં.
આ વખતે મેનકા ગાંધીનો મુકાબલો સમાજવાદી પાર્ટીના રામભુઅલ નિષાદ સામે છે. ચૂંટણીપ્રચારના અંતિમ દિવસોમાં મેનકા ગાંધી માટે તેમના પુત્ર વરૂણ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો.
મનોહરલાલ ખટ્ટર
હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરને ભાજપે કરનાલ લોકસભા બેઠકથી ટિકિટ આપી છે. તેમની સામે કૉંગ્રેસના સતપાલ બ્રહ્મચારી ચૂંટણી લડી રહ્યા છે.
કરનાલ બેઠક પર ભાજપનો 2014થી કબજો રહ્યો છે. ભાજપે 2019માં આ બેઠક 6.56 લાખ માર્જિનથી જીતી હતી.
મનોહરલાલ ખટ્ટર કરનાલ વિધાનસભાથી ચૂંટાતા આવ્યા છે. તેઓ હરિયાણાની વિધાનસભાની ચૂંટણી દરમિયાન બે વખત અહીંથી ધારાસભ્ય બન્યા હતા. હરિયાણામાં ખેડૂત આંદોલનને કારણે આ વખતે ભાજપના ઉમેદવારો ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
કનૈયાકુમાર
ઉત્તર-પૂર્વી દિલ્હીથી કૉંગ્રેસના ઉમેદવાર કનૈયાકુમાર પર સૌની નજર મંડાયેલી છે. તેમનો મુકાબલો બે-ટર્મથી સાંસદ એવા મનોજ તિવારી સામે છે. દિલ્હીમાં મનોજ તિવારી એકમાત્ર એવા સાંસદ છે કે જેમની ટિકિટ ભાજપે કાપી નથી.
મનોજ તિવારી અને કનૈયાકુમાર બંને મૂળ બિહારના છે અને તેમની નજર આ બેઠકના પૂર્વાંચલી મતદારો પર છે.
આ પહેલાં કનૈયાકુમાર બિહારના બેગૂસરાયથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમની હાર થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે તેમના માટે લાંબો રોડ-શો અને સભાઓ ગજવી હતી.

ઇમેજ સ્રોત, ANI
બાંસુરી સ્વરાજ
દિવંગત વિદેશ મંત્રી સુષમા સ્વરાજનાં પુત્રી બાંસુરી સ્વરાજને ભાજપે નવી દિલ્હી લોકસભાથી ટિકિટ આપી છે. હાઇ પ્રોફાઇલ ગણાતી આ બેઠક પર તેમનો મુકાબલો આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી સામે છે. સોમનાથ ભારતી માલવિય નગરથી ત્રણ વારના ચૂંટાયેલા ધારાસભ્ય છે.
નવી દિલ્હી બેઠક પરથી ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, રાજેશ ખન્ના, અજય માકન વગેરે નેતાઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા.
મહેબૂબા મુફ્તી
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી જમ્મુ કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો મુકાબલો નેશનલ કૉન્ફરન્સના મિલન અલ્તાફ અહેમદ સામે છે. આ બેઠક પર ભાજપ કે કૉંગ્રેસના કોઈ ઉમેદવાર લડી રહ્યા નથી.
આ બેઠક હેઠળ શોપિયાં, અનંતનાગ, કુલગામ, રાજૌરી અને પૂંછ જેવા વિધાનસભા વિસ્તારો આવે છે.

ઇમેજ સ્રોત, ANI
અભિજિત ગંગોપાધ્યાય
પશ્ચિમ બંગાળની તામલુક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કલકત્તા હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાય સતત ચર્ચામાં છે. તેઓ રાજીનામું આપ્યા બાદ તરત જ ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ટિકિટ આપી હતી.
તેમનો મુકાબલો તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર દેબાન્ગ્શુ ભટ્ટાચાર્ય સામે છે. 2019માં આ બેઠક તૃણમૂલ કૉંગ્રેસના ફાળે ગઈ હતી.
રાજ બબ્બર
હરિયાણાની ગુરુગ્રામ બેઠક પરથી કૉંગ્રેસે અભિનેતા રાજ બબ્બરને ટિકિટ આપી છે. રાજ બબ્બર 1989થી રાજકારણમાં છે. તેઓ ભૂતકાળમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ જનતાદળ અને સમાજવાદી પાર્ટી સાથે ભૂતકાળમાં જોડાયેલા હતા.
ગુરુગ્રામમાં તેમનો મુકાબલો ત્રણ વખતના સાંસદ રાવ ઇન્દ્રજિતસિંહ સામે છે. 2019માં આ બેઠક ભાજપને ફાળે ગઈ હતી.












