You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આધાશીશી સ્ત્રીઓને સૌથી વધુ અસર કેમ કરે છે? છ મુદ્દામાં સમજો લક્ષણો, કારણો અને સારવાર
- લેેખક, આનંદ મણિ ત્રિપાઠી
- પદ, બીબીસી સંવાદદાતા
માઇગ્રેન એટલે તીવ્ર માથાનો દુખાવો. જે ગુજરાતીમાં આધાશીશી પણ કહેવાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, વિશ્વમાં લગભગ એક અબજ લોકો તેનાથી પીડાય છે.
આ એક એવો રોગ છે જેમાં માથાનો દુખાવો એટલો તીવ્ર હોય છે કે રોજિંદાં કામ કરવામાં પણ મુશ્કેલી પડે છે.
અમેરિકાના સ્કૉટ્સડેલમાં આવેલા માયો ક્લિનિકના ન્યુરોલૉજિસ્ટ ડૉ. અમલ સ્ટાર્લિંગ કહે છે કે માઇગ્રેન એ માત્ર માથાનો દુખાવો નથી, પરંતુ તે મગજની કામ કરવાની બધી રીતોને અસર કરે છે.
તેઓ કહે છે, "જે વ્યક્તિને માઇગ્રેનનો હુમલો આવે છે, તેનો ઇલાજ ફક્ત એસ્પિરિન લેવાથી થઈ શકતો નથી. હુમલા દરમિયાન દુખાવો એટલો વધી જાય છે કે મગજની કાર્ય કરવાની ક્ષમતા પર અસર પડે છે."
માઇગ્રેન કેમ થાય છે અને મહિલાઓમાં તેનું પ્રમાણ વધુ કેમ જોવા મળે છે? તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો? માઇગ્રેન વિશેની અગત્યની વાતો જાણીએ આ અહેવાલમાં.
પુરુષો કરતાં મહિલાઓને આની અસર વધુ થાય છે. ચારમાંથી ત્રણ દર્દીઓ મહિલાઓ હોય છે.
જયપુરની સવાઈ માનસિંહ હૉસ્પિટલના સિનિયર પ્રોફેસર અને ન્યુરોલૉજી વિભાગનાં વડાં ડૉ. ભાવના શર્મા કહે છે, "હોર્મોનલ ફેરફારો માઇગ્રેન પર ઊંડી અસર કરે છે. આ ફેરફારો સૌથી વધુ મહિલાઓમાં જોવા મળે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "આનું એક કારણ એ છે કે મહિલાઓ બેવડી ભૂમિકા ભજવી રહી છે. તેમને ઘર અને ઑફિસ વચ્ચે ઓછો આરામનો સમય મળી રહ્યો છે. આના કારણે તેમને પૂરતી ઊંઘ નથી મળી રહી અને તેનાથી ઉદ્ભવતા તણાવથી પણ માઇગ્રેન થઈ રહ્યું છે."
તેઓ કહે છે કે ઊંઘની અછત અને તણાવને કારણે સતત માઇગ્રેન થઈ શકે છે. આના કારણે, દર્દીની કામ કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે.
ડૉ. શર્મા સમજાવે છે કે, "ઍટેકના છેલ્લા તબક્કામાં, મન ઝાંખું લાગે છે અને ખૂબ થાક લાગે છે. આ સ્થિતિ એટલી પીડાદાયક છે કે દર્દી હંમેશાં ચિંતિત રહે છે કે આગામી ઍટેક ગમે ત્યારે થઈ શકે છે."
આ ડરને કારણે તેઓ બીજા દિવસે કે થોડા દિવસો પછી કેવી રીતે કામ કરશે અથવા બહાર જશે તેનું આયોજન કરી શકતાં નથી.
માઇગ્રેનના હુમલાનાં લક્ષણો અનેક તબક્કામાં દેખાય છે.
ડૉ. અમલ સ્ટાર્લિંગે કહ્યું, "માઇગ્રેનના હુમલાના પહેલા તબક્કામાં, કંઈક ખાવાની ઇચ્છા થાય છે અથવા ચીડિયાપણું આવે છે. વધુ પડતો થાક લાગે છે, બગાસાં આવે છે અને ગરદનમાં દુખાવો શરૂ થાય છે."
"પહેલા તબક્કાના થોડા કલાકો પછી તીવ્ર માથાનો દુખાવો શરૂ થાય છે. તીવ્ર એ દરમિયાન પ્રકાશ વધુ તેજસ્વી દેખાઈ શકે છે, શરીરમાં ઝણઝણાટી શરૂ થઈ શકે છે અને ગંધની ઇન્દ્રિય પ્રભાવિત થઈ શકે છે. ઊબકા આવી શકે છે."
સ્ટાર્લિંગ કહે છે કે બધા દર્દીઓમાં આ બધાં લક્ષણો હોય એ જરૂરી નથી.
કેટલાક લોકોમાં આમાંથી ફક્ત કેટલાંક લક્ષણો જ દેખાય છે.
માઇગ્રેનનાં લક્ષણો વિશે બીજી ઘણી ગેરમાન્યતાઓ છે. ઘણી વખત લોકો ગરદન અથવા સાઇનસના કારણે થતા માથાના દુખાવા અને માઇગ્રેન વચ્ચે તફાવત કરી શકતા નથી.
ડૉ. અમલ સ્ટાર્લિંગના મતે , "ઘણી વખત દર્દીઓમાં માઇગ્રેનનાં લક્ષણો સ્પષ્ટ અને તીવ્ર હોતાં નથી. પરંતુ ચક્કર આવવા એ માઇગ્રેનનું કાયમી અને મુખ્ય લક્ષણ છે. સામાન્ય રીતે કેટલાક લોકો માને છે કે કાનમાં કોઈ સમસ્યાને કારણે આવું થઈ રહ્યું છે. પરંતુ કાનની તપાસ કર્યા પછી જાણવા મળે છે કે તેમાં કોઈ સમસ્યા નથી."
"ખરેખર સમસ્યા એ છે કે જ્યારે કાન મગજને સંકેતો મોકલે છે, ત્યારે માઇગ્રેનથી પ્રભાવિત મગજ તેની સામે યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં અસમર્થ હોય છે, જેના કારણે શરીરના સંતુલનમાં અસ્થિરતા અથવા ચક્કર આવે છે."
"જો સમયસર માઇગ્રેન ઓળખવામાં ન આવે અને તેની સારવાર ન કરવામાં આવે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને માઇગ્રેન ક્રોનિક માઇગ્રેનમાં ફેરવાઈ શકે છે. બીજું, દરેક દર્દીને અલગ અલગ પ્રકારનાં માઇગ્રેન થઈ શકે છે."
ડૉ. ભાવના શર્મા સમજાવે છે કે માઇગ્રેન દરમિયાન મગજ અને ગરદનમાંથી આવતાં સિગ્નલોમાં ખલેલ પહોંચે છે.
આ કારણે મગજમાંથી ચોક્કસ પ્રકારનાં રસાયણો નીકળે છે જે માથાના જ્ઞાનતંતુઓને અસર કરે છે.
આમાંનું એક મહત્ત્વપૂર્ણ રસાયણ CGRP છે, જે ચેતાઓને અસર કરે છે અને અહીંથી દુખાવો શરૂ થાય છે.
જેમ જેમ સ્થિતિ વણસે છે તેમ તેમ ઊબકા આવવા લાગે છે અને પ્રકાશ અને અવાજ પ્રત્યે ચીડિયાપણું વધે છે.
માઇગ્રેનની સમસ્યા કલ્પના કરતાં પણ મોટી છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ મુજબ વિશ્વભરમાં લગભગ એક અબજ લોકો માઇગ્રેનથી પીડાય છે.
આ સંસ્થા માઇગ્રેનને વિશ્વના સાતમા સૌથી વધુ વિકલાંગ કરનારી બીમારી તરીકે સ્થાન આપે છે.
સારી ઊંઘ એ માઇગ્રેન ઘટાડવાનો કુદરતી રસ્તો છે. આ ઉપરાંત દવાઓ, બોટોક્સ અથવા નર્વ બ્લોક જેવી તબીબી પદ્ધતિઓ પણ આમાં મદદ કરે છે.
ડૉ. ભાવના શર્મા કહે છે કે સ્ત્રીઓ માટે તડકામાં બહાર નીકળતી વખતે સનગ્લાસનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે.
તેમના મતે, માઇગ્રેનનો સામનો કરવા માટે રોજિંદી દિનચર્યામાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરવો અને તણાવ ઓછો રાખવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ક્યારેક અમુક ખોરાક કે પરિસ્થિતિઓ પણ માઇગ્રેનને ઉત્તેજિત કરે છે.
ડૉ. શર્મા કહે છે કે ચીઝ, કેળાં, ટામેટાં, ચૉકલેટ, ચા અને કૉફી એવાં તત્વો છે જે ઘણા લોકોમાં દુખાવો વધારી શકે છે.
જેમને આનાથી અસ્વસ્થતા લાગે છે તેમણે તરત જ આ બધાથી અંતર જાળવવાનું શરૂ કરી દેવું જોઈએ.
તેઓ કહે છે કે સૌથી મહત્ત્વની બાબત નાસ્તો કરવાની છે. તે ફક્ત શરીરને પોષણ જ નહીં આપે પણ માઇગ્રેનની સ્થિતિનો સામનો કરવામાં પણ મદદ કરે છે.
માઇગ્રેનને હવે જિનેટિક્સ અને જિનોમિક્સ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. પ્રારંભિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે તે વારસાગત કારણોથી પણ સંબંધિત હોઈ શકે છે.
ચૉકલેટથી માંડીને પિત્ઝા સુધી, તમે જે કંઈ ખાઓ છો અને પીઓ છો તેના વિશે તબીબી નિષ્ણાતોનાં પોતાનાં મંતવ્યો છે.
જયપુરની સવાઈ માનસિંહ હૉસ્પિટલના ગૅસ્ટ્રો-ઍન્ટેરોલૉજી વિભાગના પ્રોફેસર ડૉ. સુધીર મહર્ષિ સમજાવે છે કે માઇગ્રેન મૂળભૂત રીતે ચેતા સંબંધિત સમસ્યા છે, પરંતુ કેટલાક ખોરાક તેની અસર વધારી શકે છે.
તેઓ કહે છે, "ચૉકલેટ, આલ્કોહૉલ, બીયર, ખાંડ-મુક્ત ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ, જૂનું ચીઝ, પનીર, કૉફી, ચા અને અન્ય કેફીનયુક્ત પદાર્થો માઇગ્રેનનો દુખાવો વધારી શકે છે. જોકે, ચા અને કોફી પણ ઘણા લોકોને પીડામાં રાહત આપે છે."
તેમના મતે, "ખોરાકની અસર અલગ અલગ હોઈ શકે છે. પરંતુ નિયમિતપણે સમયસર ન ખાવાથી કે ભોજન છોડી દેવાથી પણ માઇગ્રેન થઈ શકે છે."
ડૉ. મહર્ષિ સમજાવે છે, "ખરાબ આહાર અને જીવનશૈલી તેનાં ઉત્તેજક બની શકે છે. તેથી, સંતુલિત આહાર લેવો મહત્ત્વપૂર્ણ છે અને ખોરાક શક્ય તેટલો ઘરે રાંધેલો હોવો જોઈએ. આ માઇગ્રેનના દુખાવામાં મદદ કરી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન