સ્કૂલના વિદ્યાર્થીઓને 1.25 લાખની શિષ્યવૃત્તિ યોજના, અરજીની છેલ્લી તારીખ કઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એ.કિશોર બાબુ
- પદ, બીબીસી માટે
કેન્દ્ર સરકાર આર્થિક ધોરણે પછાત જાતિઓ (ઇબીસી) અને અન્ય પછાત જાતિઓ (ઓબીસી)માં આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ યોજના ચલાવી રહી છે.
આ યોજના દેશભરની તમામ શાળાઓમાં ધોરણ 9થી 11માં અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓ માટે લાગુ થયેલી છે.
આ યોજના દ્વારા 75 હજારથી 1.25 લાખ રૂપિયા સુધીની સ્કૉલરશિપ આપવામાં આવે છે. આ યોજનાનું નામ ‘પીએમ યશસ્વી યોજના’ છે.
આ યોજના માટે કઈ રીતે પસંદ થવું? તેની પ્રક્રિયા શું છે? અરજી કરવાની પ્રક્રિયા શું છે? એક વિદ્યાર્થીને સ્કૉલરશિપ મેળવવા માટે શું કરવું જોઇએ? વિદ્યાર્થીઓની પસંદગી ક્યા આધારે થાય છે? આવો મેળવીએ વધુ જાણકારી.
યશસ્વી યોજના શું છે?

પીએમ યશસ્વી યોજના આર્થિકરૂપે પછાત એવા પરિવારોના વિદ્યાર્થીઓમાં શિક્ષણને પ્રોત્સાહિત કરવાના ઇરાદાથી શરૂ કરવામાં આવેલી યોજના છે.
આ યોજનાનું પૂરું નામ ‘પ્રાઇમ મિનિસ્ટર-યંગ અચિવર્સ સ્કૉલરશિપ ઍવૉર્ડ સ્કીમ ફૉર વાઇબ્રન્ટ ઇન્ડિયા’ છે.
આ યોજના અન્ય પછાત જાતિઓ (ઓબીસી), આર્થિકરૂપે પછાત જાતિઓ (ઇબીસી), ડી-નૉટિફાઇડ (જનજાતિઓ), વિચરતી અને વિમુક્ત જનજાતિઓના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આ યોજનાને લાગુ કરશે અને તેના પર નજર રાખશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આ યોજના માટે કોણ લાયક છે?

ઇમેજ સ્રોત, Getty Images
ધોરણ 9થી 11માં અભ્યાસ કરનારા દરેક વિદ્યાર્થીઓ આ યોજના માટે લાયક છે.
નવમા ધોરણના વિદ્યાર્થીઓને દર વર્ષે 75 હજાર રૂપિયા અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને 1.25 લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
વિદ્યાર્થીની વાર્ષિક પારિવારિક આવક અઢી લાખથી વધુ ન હોવી જોઇએ.
કેન્દ્ર સરકારે દેશના તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાંથી આ પ્રકારના લોકોની પસંદગી કરવાનો નિર્ણય કર્યો છે.
સ્કૉલરશિપ સીધી જ જે-તે વિદ્યાર્થીના બૅન્ક ખાતામાં જ જમા કરવામાં આવશે.

કઈ રીતે પસંદગી થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
એક પ્રવેશ પરીક્ષાનું આયોજન NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા કરવામાં આવે છે જેના દ્વારા યોગ્યતાને આધારે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે.
પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી બહુવિકલ્પી પ્રશ્નો દ્વારા જ લેવામાં આવે છે. પરીક્ષાનો સમય 3 કલાક છે.
વિષય કયા છે?
ગણિત: 30 પ્રશ્ન- 120 ગુણ
વિજ્ઞાન: 20 પ્રશ્ન- 80 ગુણ
સામાજિક વિજ્ઞાન : 25 પ્રશ્ન- 100 ગુણ
સામાન્ય જ્ઞાન: 25 પ્રશ્ન- 100 ગુણ
પરીક્ષા અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવામાં આવશે.

કઈ રીતે અરજી કરવી?

ઇમેજ સ્રોત, Getty Images
આ સ્કૉલરશિપ માટે વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે ઑનલાઇન આવેદન https://yet.nta.ac.in/frontend/web/site/login પર કરવાનું રહેશે.
અરજી કેવી રીતે કરવી?
* વિદ્યાર્થીઓએ સૌથી પહેલા ઉપર જણાવેલ વેબસાઇટ પર જવું.
* વેબસાઇટ પર Registration લિંક પર ક્લિક કરો.
* પછી તમારે તમારું નામ, ઈ-મેલ, જન્મતારીખ અને પાસવર્ડ ટાઈપ કરીને એક લોગઈન આઈડી બનાવવાનું રહેશે.
* તે પછી અરજીપત્ર ભરો અને તેનું પ્રિન્ટઆઉટ લઈ લો.
અરજી કરવાની અંતિમ તારીખ ક્યારે છે?
આ મહિને 10 ઑગસ્ટ પહેલાં અરજી કરો.
આ વેબસાઇટ તે દિવસે રાત્રે 11.50 વાગ્યા સુધી અરજી કરવા માટે ઉપલબ્ધ છે. ત્યાર પછી ઑનલાઇન અરજી કરવી શક્ય નથી.
હું શું અરજીમાં થયેલી ભૂલોને સુધારી શકું?
અરજી કરવાની અંતિમ તારીખ પછી અરજીમાં સુધારો કરવા માટે અમુક સમય આપવામાં આવશે.
તમે તમારી અરજીમાં સુધારો કરી શકો છો અને તે 12થી 16 ઑગસ્ટ વચ્ચે થઈ શકે છે.

પરીક્ષાની ફી કેટલી છે?
વિદ્યાર્થી સંપૂર્ણરીતે નિ:શુલ્ક અરજી કરી શકે છે અને પરીક્ષા આપી શકે છે.
પરીક્ષા શુક્રવાર, 29 સપ્ટેમ્બરના રોજ આયોજિત થશે.
વિદ્યાર્થીઓને અરજી કરવા માટે શું જમા કરવું પડશે?
-9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે 8મા ધોરણનું ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર
-11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે 10મા ધોરણનું ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર
-વિદ્યાર્થીનો મોબાઇલ નંબર
-વિદ્યાર્થીનો આધાર નંબર
-પારિવારિક આવકનો દાખલો
-જાતિ પ્રમાણપત્ર
-વિદ્યાર્થીના આધાર સાથે જોડાયેલ બૅન્ક એકાઉન્ટની વિગતો
-પાસપૉર્ટ સાઇઝની તસવીરો
-વિદ્યાર્થીની સહી
વેબસાઇટ https://yet.nta.ac.in/frontend/web/schoollists/index પરથી તમારા શહેરમાં કેન્દ્ર છે કે નહીં એ માહિતી પણ મળી રહેશે.
વિગતો માટે કોનો સંપર્ક કરવો?
સરકાર દ્વારા વિદ્યાર્થીઓની શંકા દૂર કરવા અને આ પરીક્ષા માટે અરજીમાં મદદ કરવા માટે એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
* રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી હેલ્પલાઇન નંબર: 011-40759000, 011-69227700
* ઇ-મેઇલ: [email protected]
*વેબસાઇટ: www.nta.ac.in, yet.nta.ac.in, socialjustice.gov.in














