You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિદેશી મંચો પર આક્રમકતાથી બોલતા જયશંકર ચીન મામલે ભારતની આક્રમકતા કેમ નથી દર્શાવી શકતા?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર વિદેશી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સવાલોને સ્પષ્ટ અને સીધો જવાબ આપવા બદલ હંમેશાં સમાચારોમાં છવાયેલા રહે છે.
જયશંકરના આ મિજાજની ટીકા કરતા સોમવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું હતું કે આટલું પાતળી ચામડીના હોવું એ ઠીક નથી. થરૂરે કહ્યું હતું કે જયશંકરને થોડા ‘કૂલ’ રહેવાની જરૂર છે.
પશ્ચિમ અને પાકિસ્તાનને જવાબ આપવાની કોઈ તક જયશંકર ચૂકતા નથી, પરંતુ ચીન મામલે તેમનું વલણ સાવ અલગ છે.
ચીને પાછલાં છ વર્ષોમાં ત્રણ વખત અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાનાં નામ બદલીને મેન્ડેરિનમાં કરી દીધાં છે.
ચીને ત્રીજી વખત આવું આ અઠવાડિયે સોમવારે કર્યું હતું. આ વખત તેણે 11 જગ્યાનાં નામ બદલ્યાં હતાં.
નોંધનીય છે કે આ ત્રણેય વખત મોદી સરકાર જ સત્તા પર હતી.
ચીનના આ નિર્ણયનો જવાબ ભારતના વિદેશમંત્રીએ ખૂબ જ સતર્કપણે આપ્યો.
તિબેટ પર ભારતે પોતાનું વલણ બદલવું જોઈએ?
ભારતે પોતાના જવાબમાં કહ્યું, “અમે આવા રિપોર્ટ્સ જોયા. ચીન આવી કોશિશ કરી હોય એવું પહેલી વખત નથી બની રહ્યું. અમે આને નકારીએ છીએ. અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે, હતો અને હંમેશાં રહેશે પણ ખરો. આવી કોશિશોથી હકીકત નહીં બદલાય.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના આ જવાબને ઘણા વિશેષજ્ઞો ઉદાર માની રહ્યા છે.
ભારતના જાણીતા રાજદ્વારી મામલાના વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ ભારતના જવાબને રિટ્વીટ કરતાં લખ્યું, “ચીને ભારતને ફરી એક વાર ઉશ્કેર્યું છે. ફરી એક વાર અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાનાં નામ બદલ્યાં છે.”
“અરુણાચલ પ્રદેશ તાઇવાન કરતાં લગભગ ત્રણ ગણું મોટું છે. ફરી એક વાર ભારતનું વિદેશમંત્રાલય યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. એક દિવસના ઇંતેજાર બાદ આવેલ ભારતનો જવાબ ખૂબ નરમીભર્યો હતો.”
“સોશિયલ મીડિયાના આવા સમયે જવાબ દેવો એ મહત્ત્વપૂર્ણ બની જાય છે. કારણ કે નૅરેટિવ સેટ થવામાં ઝાઝો સમય નથી લાગતો. ચીનના સૂચના યુદ્ધની સરખામણીએ બારત સરકાર હજુ પણ ધીમી છે.”
પોતાના એક ટ્વીટમાં બ્રહ્મા ચેલાનીએ લખ્યું છે કે ભારત આટલું થવા છતાં તિબેટને ચીનનું અભિન્ન અંગ માને છે. ચેલાનીએ લખ્યું છે કે આનાથી વધુ પોતાની જાતને નુકસાન પહોંચાડનારું શું હોઈ શકે?
ભારતનું વલણ
ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં સ્ટડી ઍન્ડ ફોરેન પૉલિસીના ઉપપ્રમુખ પ્રોફેસર હર્ષ વી પંત એવું નથી માનતા કે આ મામલે ભારતનો જવાબ અપર્યાપ્ત છે.
“મુશ્કેલી લદ્દાખમાં છે કારણ કે ચીન ત્યાં જમીન પર ઘણું બધું કરી રહ્યું છે. ભારતે ત્યાં જવાબ આપવો જોઈએ. ભારત પણ બૉર્ડર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. ચીન પણ ઓછું બોલે છે અને કામ ઝાઝું કરી રહ્યું છે. ચીનનો સામનો બોલવાથી નહીં, તૈયારી કરવાથી થઈ શકશે.”
પ્રોફેસર પંત કહે છે કે, “આગામી ચાર દાયકા પહેલાં ચીન બાબતે તૈયારી થઈ હોત તો ભારત પણ જડબાતોડ જવાબ આપી શક્યું હોત. તમારી પ્રતિક્રિયા તમારી ક્ષમતા પર આધારિત હોય છે. ચીન 30 વર્ષ પહેલાં જે પ્રતિક્રિયા આપતું હતું, તેવું આજે નથી કરતું. તેની ક્ષમતા વધી તો તેમનો જવાબ પણ વધુ આક્રમક થયો છે.”
“ભારત પણ પોતાની ક્ષમતા વધારવા મામલે ધ્યાન આપી રહ્યું છે. આવનારા સમયમાં ભારતનો પણ જવાબ બદલાઈ શકે છે. આપણને સમસ્યાને જટિલ બનાવવાથી કંઈ હાંસલ નહીં થાય. ઘણા લોકો કહે છે કે ભારત તિબેટને ચીનનો ભાગ માનવાનું બંધ કરી દે. વન ચાઇના પૉલિસીને માનવાનો ઇનકાર કરી દે. આવું તો અમેરિકા પણ નથી કરી શકી રહ્યું તો આપણે આવું બધું કરીને શું હાંસલ કરી લઈશું?”
“આપણે ભૂતકાળમાં ઘણી ભૂલો કરી છે. ચીનની આક્રમકતાના પુરાવા સતત મળી રહ્યા હતા. પરંતુ આપણે આપણી નીતિ નથી બદલી. જો અગાઉ ધ્યાન આપ્યું હોત તો સ્થિતિ અલગ હોત.”
મોદી સરકારના નરમ વલણનો અર્થ
પાછલા એક દાયકામાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ચીન એક મોટો પડકાર બનીને સામે આવ્યું છે.
ત્રણ વર્ષ પહેલાં પૂર્વ લદ્દાખના ગલવાનમાં બંને દેશોના સૈનિકો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર હિંસક ઘર્ષણ થયું હતું.
જેમાં બંને દેશોના 24 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. તણાવ હજુ પણ ચાલુ છે અને તેનું કોઈ સમાધાન નીકળતું નથી દેખાઈ રહ્યું.
ભારતીય જનતા પાર્ટીની સરકારનું કહેવું છે કે તેમણે ચીનનો સામનો કરવા માટે બૉર્ડર પર ભારે સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા છે તેમજ સૈન્ય નિર્માણનાં કાર્યો પણ ચાલી રહ્યાં છે.
ઘણા આવા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે ભારતે 2020માં બૉર્ડર પર ઘર્ષણ બાદ ચીનના હાથે જમીન ગુમાવી છે.
ભારતના વડા પ્રધાન ચીન વિશે બોલવાથી બચતા રહે છે. મોદી સરકારનું મૌન ચીન વિરુદ્ધ વ્યૂહરચનાનો ભાગ છે કે મજબૂરી?
નવી દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ પૉલિટિક્સમાં ઍસોસિએટ પ્રોફેસર હૈપીમોન જેકબે અમેરિકન પત્રિકા ફોરેને પૉલિસીમાં બે એપ્રિલના રોજ એક લેખ લખ્યો હતો.
આ લેખમાં જેકબે લખ્યું છે, “ભારત તરફથી ચીનની આક્રમકતાનો જવાબ આપવો એ માત્ર એક સૈન્ય સવાલ નથી. આ રાજકીય અને કારોબારી હિતોના કારણે ઘણું જટિલ બની જાય છે. આવી સ્થિતિમાં ભારત માટે એ વિચારવું ઘણું મહત્ત્વપૂર્ણ બની જાય છે કે જો ભારત ચીનને જવાબ આપવાનો નિર્ણય કરે, તો ક્યારે અને કેવી રીતે આપશે.”
2022માં ચીનની જીડીપી 18 ટ્રિલિયન ડૉલરની નજીક હતી અને ભારત 3.5 ટ્રિલિયન ડૉલર કરતાં પણ ઓછી હતી.
ગત વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ 230 અબજ ડૉલર હતું. જે ભારતના સંરક્ષણ બજેટ કરતાં ત્રણ ગણું વધુ હતું. ચીન અને ભારત વચ્ચે આ ફરક જ ભારત પર ચીનને સરસાઈ અપાવે છે.
હૈપીમોન જેકબે ફોરેને પૉલિસીમાં લખ્યું છે કે, “હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અમેરિકા કે અન્ય મોટી શક્તિઓ સાથે ભારતની વ્યૂહરચનાત્મક ભાગીદારી શું એટલી હદ સુધી છે કે ચીન સાથે સંઘર્ષની સ્થિતિમાં ભારતના પક્ષમાં ખૂલીને આવશે. ભારતને આવું કોઈ આશ્વાસન નથી મળ્યું કે ચીન સાથે સંઘર્ષની સ્થિતિમાં તેના સાથીદારો ખૂલીને સામે આવશે.”
“ચીન પર ભારતની કારોબારી નિર્ભરતા છે અને વિશ્વના કોઈ પણ દેશ સાથે ભારતનો પારસ્પરિક ડિફેન્સ કરાર નથી. સૈન્ય સંકટ સમયે ભારત સહિત જાપાન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકાના સભ્યપદવાળા જૂથ ક્વૉડની સૈન્ય મદદની કલ્પના કરવું ઉતાવળભર્યું હશે. ચીન સાથે સંઘર્ષની સ્થિતિમાં બહારના કોઈ દેશ પાસેથી સૈન્ય મદદની આશા કરવી હાલ મુશ્કેલ છે.”
“સંઘર્ષની સ્થિતિમાં ભારત પાછું પડે તો શું કરશે. ભારત કરતાં ચીન વધુ તાકતવર છે અને તે ભારત માટે એક દ્વંદ્વની સ્થિતિ સર્જી શકે છે. ભારત જીતના આશ્વાસન સાથે યુદ્ધમાં ન જઈ શકે અને હાર વગરના યુદ્ધની આશંકા ઘટતી નથી. ભારત છ દાયકા પહેલાં ચીન સાથે થયેલા એક યુદ્ધમાં મોટો પરાજય જોઈ ચૂક્યું છે.”
જેકબનું કહેવું છે કે ચીન ભારતને આર્થિક રીતે ઘણી ગંભીર ઈજા કરી શકે છે.
તેમણે લખ્યું, “ભારત વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર છે, તો તેમાં ચીનનાં સસ્તાં ઉત્પાદનોનું પણ યોગદાન છે. સરહદે ચીનની આક્રમકતા વિરુદ્ધ તેના પર વેપારી પાબંદી લાદવી ભારત પર જ ભારે પડી શકે છે. હાલમાં જ અરવિંદ પનગઢિયાએ પણ આ વાતને રેખાંકિત કરી હતી.”
- ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પશ્ચિમના દેશોના શાબ્દિક પ્રહારને લઈને વળતો જવાબ આપવા માટે જાણીતા છે
- પરંતુ તેમનું આ વલણ ચીન સામે અમુક હદે નરમ પડેલું જણાય છે
- તાજેતરમાં ચીને જ્યારે અરુણાચલ પ્રદેશનાં સ્થળોનાં નામ બદલ્યાં ત્યારે ભારતની પ્રતિક્રિયાને કેટલાક નિષ્ણાતોએ ‘નબળી’ ગણાવી હતી
- જોકે, કેટલાક જાણકારોના મતે ભારતે આ મુદ્દાને લઈને યોગ્ય જવાબ આપ્યો હતો
- પરંતુ અહીં સવાલ એ થાય છે કે ચીનની આક્રમકતા સામે ભારત આક્રમક વલણ અખત્યાર કરવાની સ્થિતિમાં છે ખરું?
- શું ભારત સાથે ચીનના આક્રમક વલણ અંગે અવારનવાર નિવેદનો આપતી વિશ્વની કહેવાતી મહાશક્તિઓ ભારત-ચીન વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં ભારતનો ખૂલીને સાથ આપશે ખરી?
તિબેટ અંગે કોની ભૂલ, નહેરુ કે વાજપેયીની?
2017માં ભારતના ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી મુલાયમસિંહે કહ્યું હતું કે ભારતે તિબેટને ચીનનો ભાગ માનીને મોટી ભૂલ કરી હતી.
ભાજપના નારાજ નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ અવારનવાર તિબેટ પર નહેરુ અને અટલ બિહારી વાજપેયીને ઘેરતા રહે છે.
શું ભારતે તિબેટને ચીનનો ભાગ માનીને ખરેખર ભૂલ કરી છે?
પ્રોફેસર હર્ષ પંત કહે છે કે, “ભૂતકાળમાં આપણે ચીનને સમજવામાં ભૂલ તો કરી છે. આ ભૂલોનાં પરિણામ આપણી સામે છે. ચીનને સમજવામાં આપણે મોડું કર્યું.”
2003માં અટલ બિહારી વાજપેયીની સરકારે તિબેટને ચીનનો ભાગ માન્યું હતું અને ચીને સિક્કિમને ભારતનો ભાગ માનેલું.
આરએસએસની પત્રિકા ઑર્ગેનાઇઝરના ભૂતપૂર્વ સંપાદક શેષાદ્રી ચારીએ બીબીસી સાથેની વાતચીતમાં 2017માં કહ્યું હતું કે, “એ આપણી વ્યૂહરચનાત્મક ભૂલ હતી અને આપણે ઉતાવળે પગલું ભરેલું. આપણે તિબેટને હાથમાંથી જવા નહોતું દેવું જોઈતું. શરૂઆતથી જ આપણે એક સ્ટેન્ડ પર કાયમ રહેવું જોઈતું હતું. આપણે બિલકુલ સ્પષ્ટ કહેવું જોઈતું હતું કે ચીને તિબેટ પર ગેરકાયદેસર કબજો કર્યો છે અને તે સ્વીકાર્ય નથી.”
ચારી પ્રમાણે, “આ બાદ જ નાથૂલાની સરહદે વેપારની મંજૂરી અપાઈ. નાથૂલામાં એટલો બધો વેપાર નથી થતો કે આપણે તેની આટલી મોટી કિંમત ચૂકવવી જોઈતી હતી. એ સમયે એવું લાગી રહ્યું હતું કે આ એક અસ્થાયી નિર્ણય છે અને બાદમા સ્થિતિ બદલાશે. ત્યારે ભારતે દલાઈ લામા સાથે પણ વાતચીત કરી હતી અને તેમણે આ અંગે મંજૂરી આપી હતી.”
જેએનયુમાં સેન્ટર ફૉર ચાઇનીઝ ઍન્ડ સાઉથ ઇસ્ટ એશિયા સ્ટડીઝના પ્રોફેસર બી. આર. દીપકનું માનવું છે કે, “તિબેટ મામલે ભારતની નીતિ કમજોર રહી છે. વર્ષ 1914માં શિમલા સમજૂતી અંતર્ગત મૅકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સીમા માનવામાં આવી, પરંતુ 1954માં નહેરુએ તિબેટને એક સમજૂતી અંતર્ગત ચીનનો ભાગ માની લીધું.”
પ્રોફેસર બી. આર. દીપક કહે છે કે, “વાજપેયી અને નહેરુમાં ફરક હતો. નહેરુએ આઠ વર્ષ માટે તિબેટને ચીનનો ભાગ માન્યો હતો, પરંતુ વાજપેયીએ કોઈ સીમા નક્કી નહોતી કરી.”
તેઓ કહે છે કે, “માર્ચ 1962માં નહેરુ ચીન સાથે તિબેટને લગતો કરાર ખતમ થઈ ગયો હતો અને વર્ષ 2003 સુધી યથાસ્થિતિ જળવાઈ રહી. 2003માંં જ્યારે વાજપેયી ચીનની મુલાકાતે ગયા, ત્યારે તેમણે તિબેટ અંગે સમજૂતી કરી લીધી. ભારતની નીતિ ચીન અને તિબેટ અંગે વિરોધાભાસી રહી છે. એક તરફ ભારત મૅકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સીમા માને છે અને તિબેટને ચીનનો ભાગ. બંને વાતો એક સાથે હોઈ શકે. ભારતનું તિબેટને લઈને વલણ એકસમાન હોત, તો એ વધુ સારું હોત.”
બી. આર. દીપક માને છે કે ભારત તિબેટ મામલે પોતાનું વલણ ગમે ત્યારે બદલી પણ શકે છે. જેમ કે વડા પ્રધાન મોદી હવે દલાઈ લામાને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવે છે અને તેમને અરુણાચલ પ્રદેશ જવાની પરવાનગી પણ હોય છે.
ભારતીય વિસ્તારોમાં અતિક્રમણની શરૂઆત ચીને 1950ના દાયકાના મધ્યકાળ દરમિયાન શરૂ કરી દીધી હતી.
1957માં ચીને અક્સાઈ ચીનના રસ્તે પશ્ચિમમાં 179 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો હતો. એ જ વર્ષે 21 ઑક્ટોબરના રોજ લદ્દાખના કોંગકામાં ગોળીબાર થયો હતો. એમાં 17 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં અને ચીને આને આત્મરક્ષણમાં કરાયેલી કાર્યવાહી ગણાવી હતી.
કહેવાય છે કે 1962માં ચીને ભારત પર હુમલો કર્યો તો તે માત્ર હિમાલયના કોઈ વિસ્તાર પર નિયંત્રણ કે સરહદને બદલવા માટે નહોતું બલકે સભ્યતાનો જંગ હતો.