ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ અંગે વિવાદ, સોશિયલ મીડિયા પર પહલગામ હુમલાની ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વચ્ચે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ એશિયા કપ 2025નો કાર્યક્રમ જાહેર કર્યો છે.
ભારતની મેજબાનીમાં એશિયા કપનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં થઈ રહ્યું છે. આ વખત એશિયા કપ ટી20 ફૉર્મેટમાં રમાશે અને ટુર્નામેન્ટની શરૂઆત 9 સપ્ટેમ્બરે થશે. એશિયા કપ 2025ની ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે.
ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યાં છે. બંને ટીમ 14 સપ્ટેમ્બરમાં એકબીજા વિરુદ્ધ રમશે. ભારત અને પાકિસ્તાન જો ફાઇનલ સુધી પહોંચ્યાં તો બંને ટીમો વચ્ચે વધુ બે મુકાબલા રમાશે.
મે માસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ બંને ટીમો પહેલી વાર સામસામે હશે. કૉંગ્રેસ-શિવસેના સિવાય ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે ભારત-પાકિસ્તાન મૅચ પર સવાલ ઉઠાવ્યા છે.
યૂથ કૉંગ્રેસે ઍક્સ પર પોસ્ટ કર્યું, "એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મૅચની જાહેરાત કરી દેવાઈ છે. તો પછી પહલગામ હુમલામાં જે લોકોનાં મૃત્યુ થયાં તેમનું શું?"
એશિયા કપ 2025ની મેજબાનીનો અધિકાર ભારત પાસે છે. પરંતુ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ ટુર્નામેન્ટની 17મી સિઝનનું આયોજન અનિશ્ચિત બની ગયું હતું.
શનિવારે એસીસી અધ્યક્ષ અને પીસીબી ચૅરમૅન મોહસિન નકવીએ હૅશટૅગ 'ક્રિકેટવિન્સ'નો ઉપયોગ કરીને એશિયા કપની 17મી સિઝનની તારીખોની જાહેરાત કરી. પરંતુ બીસીસીઆઇએ અત્યાર સુધી કાર્યક્રમ અંગે કોઈ ટિપ્પણી નથી કરી.
એશિયા કપમાં ભાગ લેશે આઠ ટીમો

ઇમેજ સ્રોત, Getty Images
એસીસી તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે એશિયા કપની 17મી સિઝનમાં આઠ ટીમો ભાગ લેશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પાંચ પૂર્ણ સભ્યો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા સિવાય સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અને હૉંગકૉંગ પણ આ ટુર્નામેન્ટનો ભાગ હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાન અને ભારત સિવાય ગ્રૂપ એમાં ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત પણ સામેલ છે. તેમજ ગ્રૂપ બીમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હૉંગકૉંગ સામેલ છે.
9 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ અને હૉંગકૉંગ વચ્ચેની મૅચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે.
બંને ગ્રૂપમાં ટૉપ પર રહેનારી બબ્બે ટીમો આગામી તબક્કા માટે ક્વૉલિફાય કરશે. આગામી તબક્કામાં ટોચ પર રહેનારી બં ટીમો 28 સપ્ટેમ્બરે ફાઇનલમાં એકબીજાની સામે હશે.
ગુરુવારે ઢાકામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક સામાન્ય બેઠક થઈ. આ બેઠક બાદ મોહસિન નકવીએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી. પરંતુ ત્યારે તેમણે ટુર્નામેન્ટની તારીખો કે સ્થળની આધિકારિક પુષ્ટિ નહોતી કરી.
શનિવારે 26 જુલાઈના રોજ તેમણે એશિયા કપની 17મી સિઝનના કાર્યક્રમની જાહેરાત કરી.
આ વર્ષની શરૂઆતમાં જ પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન થયું હતું. પરંતુ ભારતની મૅચો દુબઈમાં રમાઈ હતી.
ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) વચ્ચે એક સમાધાન થયું હતું. આ સમાધાન પ્રમાણે આગામી ત્રણ વર્ષો સુધી ભારત કે પાકિસ્તાનમાં કોઈ ટુર્નામેન્ટ આયોજિત થાય જેમાં બંને ટીમોએ ભાગ લેવો હોય તો બીજી ટીમના મુકાબલા ન્યૂટ્રલ વેન્યૂ પર થશે.
ભારત એશિયા કપનું વર્તમાન ચૅમ્પિયન છે. ભારતે 2023માં રમાયેલા એશિયા કપના ગત સંસ્કરણમાં શ્રીલંકાને હરાવ્યું હતું. એશિયા કપની પાછલી સિઝન વન-ડે ફૉર્મેટમાં રમાઈ હતી.
જોકે, વર્ષ 2022માં એશિયા કપનું આયોજન ટી20 ફૉર્મેટમાં થયું હતું. ત્યારે ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને માત આપીને ખિતાબ પર કબજો કર્યો હતો.
કૉંગ્રેસ અને શિવસેનાએ ઉઠાવ્યા સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર ભારતના એશિયામાં પાકિસ્તાન વિરુદ્ધ રમવાની વાત પર સવાલ ઊઠી રહ્યા છે.
ઇન્ડિયન યૂથ કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું, "આઇસીસીએ એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્રિકેટ મૅચની જાહેરાત કરી છે."
"વડા પ્રધાને કહ્યું હતું કે આતંકવાદ અને રમતગમત એક સાથે ન ચાલી શકે, તો પછી આ બધું શું છે? આઇસીસીના અધ્યક્ષ અન્ય કોઈ નહીં પણ ગૃહમંત્રીના પુત્ર જય શાહ છે. એટલે કે બધું સંમતિ સાથે થયું તો પછી જે લોકો પહલગામમાં મૃત્યુ પામ્યાં તેમનું શું?"
શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકાર સાથે બીસીસીઆઇ પર પણ સવાલ ઉઠાવ્યા.
એશિયાકપમાં ભારત-પાકિસ્તાન મૅચ અંગેના સવાલના જવાબમાં તેમણે સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું, "જો આ મૅચ યોજાય તો આ ન માત્ર સરકારની પરંતુ બીસીસીઆઇની પણ નિષ્ફળતા લેખાશે. એક તરફ કારગિલ દિવસ પર આપણે આપણા સૈન્યની વીરગાથાને યાદ કરીએ છીએ. તો એ જ દિવસે પીસીબી જાહેરાત કરે છે કે એશિયા કપ યુએઇમાં યોજાવાનો છે."
"હું ઑપરેશન સિંદૂર અંતર્ગત સંસદીય પ્રતિનિધિમંડળનો ભાગ હતી અને અમે કહ્યું હતું કે આતંકવાદ સાથે કઈ વાત નહીં થાય. પહલગામ હુમલાના આતંકવાદીઓને અત્યાર સુધી નથી પકડવામાં આવ્યા. બીસીસીઆઇ કેવી રીતે ભારત-પાકિસ્તાનની મૅચની પરવાનગી આપી શકે. માત્ર હું જ નહીં દેશનો દરેક નાગરિક આ મૅચનો વિરોધ કરશે."
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને કૉંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટુર્નામેન્ટ નથી થઈ રહી તો આપણે ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં એકબીજા સામે કેમ રમી રહ્યા છીએ?
તેમણે કહ્યું, "મારો સ્ટેન્ડ સ્પષ્ટ છે, આપણે ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં પણ એકબીજા સામે ન રમવું જોઈએ. પરંતુ સરકાર અને બોર્ડ જે નક્કી કરે એ જ થશે."
ભારત અને પાકિસ્તાનમાં કેવી પ્રતિક્રિયા?

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર ઘણા ભારતીય યૂઝર ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મૅચનો વિરોધ કરી રહ્યા છે.
નમીતા બાલ્યાન નામનાં એક યૂઝરે ઍક્સ પર લખ્યું, "એશિયા કપ 2025ની જાહેરાત કારગિલ દિવસે થઈ. નિશ્ચિતપણે આપણે આપણા બહાદુરોનાં બલિદાન કે ઑપરેશન સિંદૂર પ્રત્યે કોઈ સન્માન નહીં રાખીએ. કારણ કે પ્રાથમિકતા ભારત-પાકિસ્તાન મૅચો માપતે નિર્લજ્જપણે મોટી રકમ કમાવવાની છે."
દર્પણ નામક એક યૂઝરે લખ્યું, "મેં એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન મૅચ વિશે સાંભળ્યું. શું તમે (બીસીસીઆઇ) ગંભીર છો? અને એ પણ કાશ્મીરમાં તાજેતરમાં થયેલા હુમલા બાદ."
ધારિયા નામક એક યૂઝરે લખ્યું કે ભારતે પાકિસ્તાન સાથે તમામ મૅચો બૉયકૉટ કરી દેવી જોઈએ.
તેમણે કહ્યું, "બીસીસીઆઇ અને ભારત સરકારને શરમ આવવી જોઈએ. એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાનનો મુકાબલો પહલગામ હુમલાના પીડિતો સાથે રમત માફક છે. ભારતે પાકિસ્તાન સાથેની તમામ મૅચો બૉયકૉટ કરવી જોઈએ."
જોકે, પાકિસ્તાની ક્રિકેટ પ્રશંસકો ભારત-પાકિસ્તાન મૅચનું સ્વાગત કરી રહ્યા છે.
સૈયદ મુહમ્મદ ઉસ્માન નામના એક પાકિસ્તાની યૂઝરે લખ્યું, "એ જોઈને સારું લાગે છે કે ક્રિકેટને રાજકારણ પર પ્રાથમિકતા અપાઈ રહી છે. આ સંબંધે કરાયેલા પ્રયાસો માટે બીસીસીઆઇની સરાહના થવી જોઈએ."
તેમણે કહ્યું, "આપણે એ ન ભૂલવું જોઈએ કે એશિયા કપ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધા નથી, બલકે નેપાળ, ભૂતાન, હૉંગકૉંગ જેવા નાના દેશ પણ છે, જે આ આયોજનથી મળતાં સંસાધનોથી પોતાની ક્રિકેટ સિસ્ટમ ચલાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












