જૂનાગઢ : 'મને સ્કૂલે મોકલશો તો હું આત્મહત્યા કરી લઈશ', પાંચ મહિનાથી બળાત્કારનો ભોગ બનેલી સગીરા

ઇમેજ સ્રોત, HIREN DHAKAN
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- જૂનાગઢ જિલ્લાના એક ગામની સગીરા પર તેમના જ ગામમાં રહેતા ત્રણ યુવાનોએ કથિતપણે બળાત્કાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો
- પાંચ મહિના બાદ સગીરાના પિતાએ તપાસ કરતાં ઘટના આવી સામે આવ્યાનો દાવો
- કથિતપણે ચપ્પુની અણીએ સગીરા પર બળાત્કાર ગુજારાતો અને સગીરાને ગભરાવવા માટે કથિતપણે પિતા અને ભાઈને મારવાની આપી હતી ધમકી
- અંતે ફરિયાદ નોંધાતાં ત્રણેય આરોપીઓની ધરપકડ, સગીરા કાઉન્સેલિંગ હેઠળ

"દસમા ધોરણમાં ભણતી મારી દીકરી હોશિયાર હતી પણ અચાનક એણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું, સ્કૂલ તો ઠીક એ ઘરની બહાર પણ નીકળતી નહોતી. જ્યારે મેં તેને સ્કૂલે જવા માટે દબાણ કર્યું તો તેણે આત્મહત્યા કરી લેવાની વાત કરી. શાંતિથી બેસાડીને વાત કરી ત્યારે તેણે જે કહ્યું એ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ."
જૂનાગઢ જિલ્લાના ગામમાં એક પિતાએ કંઈક આ રીતે પોતાની વહાલસોયી દીકરી સાથે બનેલ સામૂહિક બળાત્કારના ગુના અંગે ફરિયાદ કરે છે.
તેઓ બે સંતાનોના પિતા છે.
પીડિતાના પિતા દીકરી સાથે ગામના જ ત્રણ યુવાનોએ બળજબરી પર મહિનાઓ સુધી બળાત્કાર કર્યાનો આરોપ કરે છે.
(ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને પીડિતા, પરિવાજનો કે ગામનું નામ નથી લખ્યું)
ફરિયાદપક્ષના જણાવ્યાનુસાર આરોપીઓ પીડિતા પર ચપ્પુની અણીએ, સ્વજનો અંગે ધમકી આપીને બળાત્કાર ગુજારતા હતા.
આ સમગ્ર ઘટના અને તે સંદર્ભે પોલીસ કરેલ કાર્યવાહી અંગે માહિતી આપતાં જૂનાગઢ તાલુકાના ડીવાયએસપી દિલીપ કોડિયાકરે જણાવ્યું હતું કે આરોપી ત્રણેય યુવાનો વિરુદ્ધ પોક્સો (પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સુઅલ ઑફેન્સિસ ઍક્ટ, 2012) સહિત વિવિધ ગુનાની કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, હવે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે.
આ સિવાય તેમણે બળાત્કાર પીડિતાને પણ કાઉન્સેલિંગ પૂરું પડાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)

'અચાનક દીકરીએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પીડિતાના પિતા છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે.
બાળકોના અભ્યાસ અંગે તેમના મનમાં રહેલ મહેચ્છા અંગે જણાવતાં તેઓ કહે છે કે તેઓ ભણી શક્યા ન હોઈ તેમણે બાળકોને સારું શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું.
“મારી દીકરી ખૂબ હોશિયાર હતી. અભ્યાસમાં પારંગત હતી. તે પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવતી.” પરંતુ એક દિવસ અચાનક તેણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું.
"છેલ્લા એક મહિનાથી તે ઘરે બેસી રહેતી હતી. કોઈની સાથે વાત કરતી નહોતી. સ્કૂલે પણ જતી ન હતી. હું ઘરે આવું એટલે મારો ફોન લઈને તેની બહેનપણીઓને ફોન કરતી અને સ્કૂલમાં શું ભણાવવામાં આવ્યું છે, તે પૂછતી. એ સ્કૂલે ગયા વગર પણ ભણી રહી હતી એટલે વાંધો ન હતો પણ સ્કૂલમાંથી તેની ગેરહાજર રહેતી હોવાની ફરિયાદ આવવા લાગી. જેથી મેં તેને સ્કૂલે જવા દબાણ કર્યું."
આ ઘટના અંગે વધુમાં જણાવતાં તેઓ કહે છે, “અભ્યાસમાં હોશિયાર મારી દીકરી અચાનક પાછલા એક મહિનાથી સ્કૂલે જતી નહોતી. પરંતુ તે અભ્યાસ અંગે તેની બહેનપણીઓને પૂછી લેતી. તેનો અભ્યાસ ચાલુ હોઈ મને પણ ચિંતા ન થઈ. પરંતુ પાછળથી સ્કૂલમાં ગેરહાજરીની ફરિયાદ આવતાં મેં તેને સ્કૂલે જવા દબાણ કરવાનું શરૂ કર્યું.”
પરંતુ પિતાએ ‘દબાણ કરતાં’ સગીરાએ ‘જો સ્કૂલે મોકલાશે તો’ પોતે ‘આત્મહત્યા કરી લેશે’ તેવું કહેતાં પિતા આશ્ચર્યચકિત થઈ ગયા.
આ ઘટના અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “જ્યારે તેણે આ વાત કરી તો મને ખૂબ આઘાત લાગ્યો. મને લાગ્યું કે સ્કૂલમાં તેને કોઈ હેરાન કરતું હશે તેથી તે ત્યાં જવા માગતી નહોતી. શિક્ષકોને પૂછ્યું તો તેમણે પણ કહ્યું કે તે પાછલા છ મહિનાથી રિસેસના સમયે ક્યાંક જતી રહેતી હતી.”

'હાલ પણ પુરુષોને જોઈને ગભરાઈ જાઉં છું'

ઇમેજ સ્રોત, Getty Images
પીડિતાના પિતા અને ખુદ પીડિતાનાં નિવેદનો અનુસાર ‘સામૂહિક બળાત્કારનો આ સિલસિલો પાંચ મહિના સુધી’ ચાલ્યો હતો.
આ દરમિયાન ‘આરોપીઓ અવારનવાર પીડિતાને જે-તે સ્થળેથી ઉઠાવી લઈ જઈ અને બળાત્કાર કરતા હતા.’
પીડિતાના પિતાના જણાવ્યા પ્રમાણે, આશરે પાંચ મહિના પહેલાં પીડિતા રાત્રિના સમયે કચરો ફેંકવા બહાર ગઈ હતી.એ વખતે ફળિયા પાસે રહેતા કેયૂર વાગડિયા નામના શખ્સ ‘દીકરીને નજીકના ખંડિયેરમાં લઈ ગયો હતો અને ચપ્પુની અણીએ તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.’
તેઓ કહે છે, "તે સમયે કેયૂરે પીડિતાને ધમકી આપી હતી કે જો તે આ વિશે ઘરમાં કોઈને કહેશે તો નાના ભાઈ અને પિતાનું ખૂન કરી નાખશે. જેથી તે કંઈ બોલ્યા વગર ઘરે આવીને સૂઈ ગઈ હતી."
પિતાના આરોપ અનુસાર આ ‘સિલસિલો અહીં અટક્યો નહોતો.’
તેઓ કહે છે કે કહે છે, "આ ઘટના બાદ પણ આવું બનવાનું ચાલુ જ રહ્યું, દીકરી સ્કૂલે જતી હોય, સ્કૂલમાં હોય કે કોઈ જગ્યાએથી પાછી આવતી હોય ત્યારે આરોપી ચપ્પુ બતાવીને તેને ખંડિયેરમાં લઈ જતો. શરૂઆતમાં તે એકલો હતો, બાદમાં તેના મિત્રો યશ અને દિવ્યેશ પણ જોડાયા. ત્રણેય મારી દીકરી પર બળાત્કાર ગુજારતા હતા."
આ ઘટના અંગે વધુ વિગતો મેળવવા બીબીસી ગુજરાતીએ જૂનાગઢ મહિલા પોલીસની મદદથી પીડિતા સાથે વાતચીત કરી.
પીડિતાએ ઘટના અંગે વાત કરતાં કહ્યું હતું કે ‘પાંચ મહિના પહેલાં સાથે શું થયું એ વાતની’ તેને ‘ખબર નથી.’
પીડિતાએ જણાવ્યું, "કેયૂર વારંવાર મને ખંડિયેરમાં લઈ જતો હતો. બાદમાં તેના દોસ્તોને બોલાવ્યા અને તેઓ મનફાવે ત્યારે સ્કૂલમાંથી મને ઉઠાવી લેતા હતા અને બળાત્કાર કરતા હતા."
તેણે આગળ કહ્યું, "મને ઘરની બહાર નીકળતા પણ ડર લાગતો હતો એટલે મેં સ્કૂલે જવાનું બંધ કર્યું, પરંતુ જ્યારે પણ ઘર માટે શાકભાજી કે દૂધ લેવા જતી ત્યારે મને ડર રહેતો કે આ લોકો અચાનક આવશે અને મને ઉઠાવીને લઈ જશે."
તેણે અંતે કહ્યું, "મને અત્યારે પણ કોઈ પુરુષ જોઉં તો ડર લાગે છે. જો મારા પિતાએ મને હિંમત ન આપી હોત તો કદાચ હું પોલીસ ફરિયાદ પણ ન કરી શકી હોત અને ઘરના ખૂણામાં બેસી રહેત."

કેમ 'વિકૃત' બની જાય છે યુવાનો?

ઇમેજ સ્રોત, HIREN DHAKAN
આ મામલે જૂનાગઢ તાલુકાના ડીવાયએસપી દિલીપ કોડિયાકર કહે છે, "જ્યારે આ કેસ અમારી પાસે આવ્યો. અમે તાત્કાલિક હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાડીને ખેતરમાં સંતાયેલા ત્રણેય આરોપી યુવાનોને પકડી પાડ્યા હતા. તેમની સામે આઈપીસીની કલમ 363, 376, 506, 114 અને પૉક્સો ઍક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે."
પીડિતાની હાલની પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું, "આરોપીઓ પકડાઈ ગયા હોવાથી સગીરા ભયમુક્ત તો થઈ છે પરંતુ હાલ માનસિક તણાવનો સામનો કરી રહી છે. સૌથી પહેલાં અમે તેને એ તણાવમાંથી બહાર લાવવાનું કાર્ય કરીશું. જેની જવાબદારી એક મહિલા પીએસઆઈને સોંપવામાં આવી છે."
જોકે, આ ઘટનાને લઈને થતાં પ્રશ્નોમાંનો મુખ્ય પ્રશ્ન એ છે કે આવા કિસ્સા બનવા પાછળનું કારણ શું?
આ માટે મનોચિકિત્સક ડૉ. જ્યોતિક ભચેચ જણાવે છે, "ટીન-એજમાં જાતીય આવેગો વધે છે અને તે જ ઉંમરમાં જ યુવાનો પૉર્ન સાઇટ જોતા થાય છે. આવી ટેવના કારણે તેમને ગુનો કરતી વખતે પણ તેનો અહેસાસ નથી થતો. આવા જાતીય વિકૃત યુવાનો ગરીબ અને મજબૂર છોકરીઓને પોતાનો શિકાર બનાવે છે. જેથી તેઓ કોઈ પણ રીતે પ્રતિકાર ન કરે."
તેઓ આગળ કહે છે, "સૅમી અર્બન અને ગ્રામીણ વિસ્તારોમાં આવા કિસ્સા વધી રહ્યા છે. વધુ પડતું પૉર્ન જોતા લોકો જાતીય સતામણી કરતા ડરતા નથી. વળી, આવા વિસ્તારોમાં છોકરીઓ પણ સમાજમાં બદનામી થવાના ડરથી ઝડપથી ફરિયાદ કરવા આગળ આવતી નથી. જેથી વિકૃત યુવાનોને મોકળું મેદાન મળે છે."
આવી ઘટનાઓ ટાળવા માટેના ઉકેલ અંગે તેઓ કહે છે કે જો આવા વિસ્તારમાં છોકરીઓને સામાજિક બદનામીના ડરના બદલે પ્રતિકાર કરતા અને કાયદા અંગે જાણકારી આપવામાં આવે તો આવા કિસ્સા ઘટી શકે છે.














