માનવશરીરમાં મળ્યું માંસ ખાતું જીવડું, અંદર રહીને કેટલું ઘાતક સાબિત થઈ શકે?

ઇમેજ સ્રોત, Reuters
તમને ખબર છે કે શરીરમાં માંસમાં કાણું પાડી દે તેવા જીવડાં પણ અસ્તિત્વ ધરાવે છે? આ જીવડાંનું નામ સ્ક્રૂવૉર્મ છે. તે પ્રાણીના ઘામાં સ્ક્રૂની જેમ ખાડો કરે છે અને અંદર ઘૂસી જાય છે.
અંદર ઘૂસીને પછી આ સ્ક્રૂવૉર્મ એ પ્રકારે માંસ ખાય છે કે જાણે લાકડામાં સ્ક્રૂ જઈ રહ્યું હોય. આમ તે શરીરનું માંસ ખાઈને પ્રાણીના માંસમાં ખાડા પાડવાનું શરૂ કરી દે છે. આવા સંજોગોમાં જો પ્રાણીનો ઇલાજ નહીં થાય તો તેનો ચેપ એટલો વધી જાય છે કે તેનું મોત પણ થઈ શકે છે.
હવે આ સ્ક્રૂવૉર્મે માનવશરીરમાં પણ પ્રવેશવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે હવે આ જીવડાંનું માનવો પર જોખમ વધી ગયું છે.
આ પ્રકારના માંસાહારી પરોપજીવીનું સંક્રમણ હવે માનવમાં પણ જોવા મળ્યું છે. આવો કિસ્સો હવે અમેરિકામાં નોઁધાયો છે.
સત્તાધીશો અનુસાર અમેરિકામાં માંસાહારી પરોપજીવી સંક્રમણનો પહેલો હ્યુમન કેસ નોંધાયો છે.
ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ હ્યુમન સાયન્સે (એચએચએસ) સોમવારે જણાવ્યું હતું કે અલ સાલ્વાડોરથી અમેરિકા પરત ફરેલા એક વ્યક્તિમાં ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવૉર્મ મિયાસિસની (એનડબ્લ્યૂએસ) હાજરી જોવા મળી હતી. આ મામલાની પુષ્ટિ ગત 4 ઓગષ્ટના રોજ થઈ હતી.
એનડબલ્યૂએસ મિયાસિસ માખીના લાર્વા કે કીડાનું સંક્રમણ છે જે પરોપજીવી માખીઓને કારણે થાય છે.
આ કીટક સામાન્ય રીતે પ્રાણીઓને અસર કરે છે. સત્તાધીશો પ્રમાણે અમેરિકન લોકોના સ્વાસ્થ્ય પર હાલ પૂરતું 'ખૂબ ઓછું જોખમ' છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને (સીડીસી) મેરીલૅન્ડના આરોગ્ય વિભાગ સાથે મળીને આ કેસની તપાસ માટે કામ કર્યું હતું.
સ્ક્રૂવૉર્મ નામનું આ જીવડું કેવી રીતે શરીરમાં દાખલ થાય છે?

ઇમેજ સ્રોત, Reuters
આ જીવડાનું નામ સ્ક્રૂવૉર્મ એ ખરેખર તો તેના હુમલાની પ્રકૃતિ બતાવે છે. કારણ કે એ પ્રાણીના ઘામાં સ્ક્રૂની માફક ખાડો કરે છે. અંદર ઘૂસ્યા પછી એવી રીતે માંસ ખાતું જાય છે જાણે લાકડામાં સ્ક્રૂ જઈ રહ્યું હોય.
માદા સ્ક્રૂવૉર્મ માખી ગરમ લોહીવાળા પ્રાણીના ઘામાં પોતાનાં ઈંડાં મૂકે છે.
એક વખત ઈંડામાંથી બચ્ચાં પેદા થાય તો આ બધાં સ્ક્રૂવૉર્મ મળીને એક સાથે પોતાના તીક્ષ્ણ મોં વડે જીવિત માંસને ખાવાનું અને ખાડા કરવાનું શરૂ કરી દે છે. જો આ સ્થિતિમાં ઇલાજ ન કરાય તો સમયાંતરે ચેપગ્રસ્ત પ્રાણીનું મોત થઈ જાય છે.
ડોમિનિક રિપબ્લિકમાં પોતાની ટૂંકી મુલાકાત બાદ ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવૉર્મનો ચેપ જે વ્યક્તિને લાગ્યો હતો તેમણે આનાં લક્ષણો સીડીસીને જણાવ્યાં હતાં.
દર્દીએ કહ્યું, "બે કલાકથી થોડા વધુ સમયમાં મારા ચહેરા પર સોજો ચડવા લાગ્યો. મારા હોઠ સોજાઈ ગયા. હું માંડ માંડ વાત કરી શકતો. મારા આખા ચહેરા પર જાણે આગ લાગી હતી. મારા નાકમાંથી લોહી વહેવા લાગ્યું. એ સતત ચાલુ રહેતું. મારા નાકમાંથી લોહી નીકળ્યા વગર તો હું બાથરૂમ પણ નહોતો જઈ શકતો."
સ્ક્રૂવૉર્મ દ્વારા લગાડવામાં આવેલા ચેપનો કોઈ ઇલાજ ખરો?

ઇમેજ સ્રોત, AFP
સીડીસી પ્રમાણે માણસો, ખાસ કરીને ખુલ્લા ઘાવાળા માણસો જો ચેપવાળા વિસ્તારોમાં મુસાફરી કરે અથવા તેની માખી હોય તેવાં ગ્રામીણ ક્ષેત્રોમાં પશુધન આસપાસ હોય તો તેમને આ ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.
ન્યૂ વર્લ્ડ સ્ક્રૂવૉર્મના ચેપથી છુટકારો મેળવવા માટે સેંકડો લાર્વાને ચેપગ્રસ્ત માંસપેશીમાંથી ફિઝિકલી દૂર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આના માટે ઘાને ખૂબ સારી રીતે સાફ કરવો પડે.
જો આનો ઇલાજ જલદી શરૂ કરાય તો આ જીવલેણ ચેપથી બચી શકાય છે.
સ્ક્રૂવૉર્મનો ચેપ કયા કયા દેશમાં ફેલાયો છે?

ઇમેજ સ્રોત, Reuters
આ જીવિત માંસપેશી ખાતું આ વિનાશક જીવડું સામાન્ય રીતે દક્ષિણ અમેરિકા અને કેરેબિયનમાં મળી આવે છે.
યુએસડીએના એનિમલ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સપેક્શન સર્વિસે જણાવ્યું કે તેમણે આ ચેપનો સામનો કરવા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટમ અને યુએનની ધ ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરલ ઑર્ગેનાઇઝેશન સાથે હાથ મિલાવ્યો છે.
યુએસડીએ પ્રમાણે, "એનડબ્લ્યૂએસ માખી લાર્વા (મેગટ) જ્યારે કોઈ જીવિત પ્રમાણેના માંસમાં ખાડો કરે તો તેના કારણે પ્રાણીને ઘાતક નુકસાન થાય છે."
"એનડબ્લ્યૂએસ પશુધન, પાલતું પ્રાણી, વન્ય જીવો, અમુક વખત પક્ષીઓ અને જવલ્લે જ માણસોમાં જોવા મળે છે."
યુએસડીએ આ મહિનામાં અગાઉ કહ્યું હતું કે આ પશુધનમાં પરોપજીવીની મહામારીની ખૂબ મોટી આર્થિક અસર પડી શકે છે. જેના કારણે 100 બિલિયન ડૉલરની પશુસંવર્ધનની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી આર્થિક પ્રવૃત્તિઓ માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે.
એનડબ્લ્યૂએસનો ચેપ ક્યૂબા, હૈતી, ધ ડોમિનિકન રિપબ્લિક અને દક્ષિણ અમેરિકાના દેશોમાં ફેલાતો જોવા મળી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












