સુરત : સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળ્યા

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
સુરતની કૉલેજમાં ભણતી બે યુવતીઓના મૃતદેહો ડિંડોલીમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના બાથરુમમાંથી મળી આવ્યા છે.
શહેરની અલગ-અલગ કૉલેજોમાં અભ્યાસ કરતી લગભગ 19 વર્ષની બે બહેનપણીઓ સાતમી માર્ચે સવારે ઘરેથી કૉલેજ જવા નીકળી હતી, પરંતુ બપોર થવા છતાં પરત ન આવતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી.
આખરે પોલીસે તપાસ કરતા ડિંડોલી વિસ્તારમાં આત્મીય સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિરના બાથરૂમમાંથી બંને વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવ્યા છે.
તેમના મૃતદેહોની આસપાસ ઇન્જેક્શન અને ઝેરી દવાની બૉટલો પણ મળી હોવાથી બંને યુવતીઓએ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક દૃષ્ટિએ માનવું છે.
આખી ઘટના કેવી રીતે બની

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
બીબીસીના સહયોગી રુપેશ સોનવણેએ આપેલી માહિતી પ્રમાણે બંને યુવતીઓ બાળપણથી મિત્ર હતી અને 12મા ધોરણ સુધી શાળામાં સાથે ભણતી હતી તેવું પરિવારનું કહેવું છે. પરંતુ હાલમાં બંનેની કૉલેજો અલગ હતી.
7મી માર્ચે શુક્રવારે સવારે આ બંને યુવતી કૉલેજે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. બપોર સુધી તેઓ પરત ન આવતા પરિવારજનોએ ફોન કર્યા હતા જે રિસિવ કરાયા ન હતા. ત્યાર પછી પરિવારજનોએ ડિંડોલી પોલીસનો સંપર્ક કર્યો હતો જેમણે લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી.

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
પરિવારજનોના કહેવા પ્રમાણે સ્વામિનારાયણ મંદિર પાસે યુવતીઓનું છેલ્લું લોકેશન મળી આવ્યું હતું. મંદિરના પરિસર નજીકથી યુવતીઓનું ટુ-વ્હીલર પણ મળી આવ્યું હતું. તેથી તેમણે મંદિરમાં તપાસ કરી અને આ દરમિયાન એક બાથરૂમમાંથી યુવતીના મૃતદેહો મળી આવ્યા હતા.
આ ઘટના પછી યુવતીઓના પરિવારજનો શોકમગ્ન છે અને આવું કેમ બન્યું તે તેમને સમજાતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વિદ્યાર્થિનીના પિતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, "બંને છોકરીઓ બાળપણથી મિત્ર હતી. બંનેની ઉંમર 19 વર્ષ હતી. તેમાંથી એક બહેનપણી ઉધના સિટિઝન કૉલેજમાં અને બીજી અન્ય કૉલેજમાં ભણતી હતી. તેમણે ઝેર શા માટે લીધું તે સમજાતું નથી."
પોલીસે ઘટના વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઘટના વિશે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચુડાસમાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "બંને યુવતીઓના મોબાઇલ એફએસએલની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જે બાથરૂમમાંથી યુવતીઓના મૃતદેહ મળ્યા ત્યાંથી ઝેરી દવાઓ મળી હતી."
તેમણે કહ્યું કે "મોબાઇલની ચકાસણી દરમિયાન યુવતીઓએ એઆઈ પ્લૅટફૉર્મ પર આત્મહત્યા કરવાની રીત વિશે સર્ચ કર્યુ હતું. બંનેએ શા માટે આ પગલું લીધું તેનું ચોક્કસ કારણ જાણવાનું બાકી છે."
પોલીસના કહેવા મુજબ બાથરૂમમાંથી દવાઓ મળી આવી છે, તેને પણ એફએસએલમાં મોકલવામાં આવી છે અને પરિવારનાં નિવેદનો લેવાની કામગીરી ચાલુ છે. બંને યુવતીઓના મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયા હતા. હાલમાં આ ઘટના પાછળનાં કોઈ કારણ સ્પષ્ટ રીતે બહાર આવ્યાં નથી.
નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












