સિંગાપોર : એ સમૃદ્ધ દેશ જે ભોજનની અછતનો સામનો કરી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સતીશ પાર્થિબન
- પદ, બીબીસી તામિલ માટે

- સિંગાપોરમાં એક વર્ષમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં સરેરાશ 4.1 ટકાનો વધારો
- કોરોના મહામારી અને વિવિધ દેશોના નિકાસપ્રતિબંધોના કારણે ખાદ્યસંકટ
- નાનકડા દેશનું ખાદ્યઉત્પાદન 10 ટકા, 90 ટકા ખાદ્યપદાર્થોની આયાત કરવી પડે છે
- વર્ષ 2030 સુધીમાં 30 ટકા ખાદ્યઉત્પાદન સ્થાનિકસ્તરે કરવાની સરકારની યોજના

કોરોના મહામારી બાદથી લોકો ખાદ્યસુરક્ષા અને ફૂડ ચેઇન વિશે વાત કરતા થયા છે.
વિકસિત દેશોને પણ ભોજનની અછતનો સામનો કરવો પડે છે પરંતુ સિંગાપોર જેવા નાના દેશો માટે આ પ્રકારના પડકારનો સામનો કરવો એટલો સરળ નથી.
ઠેરઠેર વિવિધ પ્રકારનાં વ્યંજનો પીરસનારાં અને ગ્રાહકોથી ભરપૂર રેસ્ટોરાં આજે પણ સિંગાપોરની ઓળખ છે.
આ કારણથી જ દ્વીપ રાષ્ટ્રમાં ખાદ્યસુરક્ષાને લઈને ચર્ચા અને ચિંતા વધી ગઈ છે.

આયાત પર નિર્ભર સિંગાપોર

વિશ્વના સૌથી નાના દ્વીપ રાષ્ટ્રોમાંના એક સિંગાપોર પાસે ઘણાં ઓછાં પ્રાકૃતિક સંસાધનો છે. જેથી તે પોતાની ખાદ્યજરૂરિયાતોને પૂરી પાડવા માટે 170 દેશોમાંથી પોતાના 90 ટકા ખાદ્યપદાર્થોની આયાત કરે છે.
સમગ્ર વિશ્વમાં પુરવઠાને પ્રભાવિત કરનારી કોરોના મહામારીના લીધે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે.
સિંગાપોરમાં ખાદ્યપદાર્થોની કિંમતમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં 4.1 ટકાનો વધારો થયો છે. સિંગાપોરના વેપાર અને ઉદ્યોગમંત્રાલય અનુસાર ગયા વર્ષે માર્ચ સુધી એ વધારો 3.3 ટકા હતો.
સિંગાપોર સરકારે ખાદ્યસુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેના પર નજર રાખવા માટે ગયા વર્ષે સિંગાપોર ખાદ્ય એજન્સીની સ્થાપના કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં આ દેશનું ખાદ્યઉત્પાદન 10 ટકા છે અને આ એજન્સીનું કાર્ય તેને વધારીને 30 ટકા કરવાનું છે.
ત્યારથી સિંગાપોર સરકાર વિવિધ ખેતરોથી લઈને હાઇડ્રોપોનિક્સ સુધી તમામ પ્રકારની આધુનિક ટેકનૉલૉજીમાં રોકાણ કરી રહી છે.

નિકાસ પ્રતિબંધોને લઈને ચિંતા

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ સ્થાનિક માગને પહેલાં પૂરી કરવા માટે વિવિધ ખાદ્યપદાર્થોની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ભારત તરફથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધની સૂચના મળી હતી, ઇન્ડોનેશિયાએ પામ ઑઇલના નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે.
મલેશિયાએ પણ પોલ્ટ્રીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે. જેનાંથી સિંગાપોરના માથે અચાનક સંકટ આવી પડ્યું હતું કારણ કે મલેશિયા આ દ્વીપ દેશની લગભગ 34 ટકા પોલ્ટ્રીની માગને પૂરી પાડે છે. 48 ટકા મરઘીઓ બ્રાઝીલથી આયાત કરવામાં આવે છે.
જોકે, રેસ્ટોરાં-સંચાલકોનું કહેવું છે કે ગ્રાહકોની ફરિયાદ છે કે આ પ્રકારની મરઘીઓથી બનાવેલા ભોજનમાં સ્વાદની અછત હોય છે.
આયાત અને નિકાસના મુદ્દાને કારણે ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવો ચોક્કસ વાત છે. રેસ્ટોરાં-માલિકોનું કહેવું છે કે માત્ર છ મહિનામાં જ ખાદ્યતેલ, ઇંડાં અને માંસની કિંમત 30થી 45 ટકા વધી છે.
તેમનું કહેવું છે કે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભોજનના ભાવ વધારવા સિવાય કોઈ રસ્તો નથી.
સિંગાપોરમાં એક જાપાની રેસ્ટોરાં ધરાવતા સેઈઓ એ વાતને લઈને વ્યથિત હતા કે બે વર્ષ બાદ ભોજનની કિંમત વધારતા શું તેમના ગ્રાહકોને તેને સ્વીકારશે?
તેમનું કહેવું છે કે ધંધો જાળવી રાખવાનો એક માત્ર રસ્તો ખાદ્યકિંમતોના ભાવમાં ઓછામાં ઓછો 20થી 35 ટકાનો વધારો કરવાનો છે પરંતુ તેમને ચિંતા એક જ વાતની છે કે જો તેઓ ભાવ વધારશે તો શું ગ્રાહકો તેમનું સમર્થન કરશે કે કેમ?

ખાદ્યફૂગાવાની અસર

ઇમેજ સ્રોત, Getty Images
અર્થશાસ્ત્રીઓ કહે છે કે સિંગાપોરના લોકો ખાદ્યફૂગાવાની અસરથી સારી રીતે વાકેફ છે.
કોરોના મહામારી સહિતનાં કારણોને લીધે ખાદ્યપદાર્થોની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે વધવા લાગી છે.
જોકે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. તેથી નિષ્ણાતો માને છે કે ખોરકની અછત આગામી બે વર્ષ સુધી યથાવત્ રહી શકે છે.
ઉદ્યોગનિષ્ણાતો એ પણ નિર્દેશ કરે છે કે જો કેટલાક દેશોએ ખાદ્યઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, તો પરિણામી શૂન્યાવકાશ અન્ય દેશો ભરી શકશે નહીં.
નિષ્ણાતો કહે છે કે અન્ય વ્યવસ્થાઓ દ્વારા રશિયા અને યુક્રેન દ્વારા ખાદ્યપદાર્થો અને ખોરાકના બજારમાં બાકી રહેલા શૂન્યાવકાશને ભરવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.
અર્થશાસ્ત્રીઓ એ પણ નિર્દેશ કરે છે કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના અંત પછી પણ, ખાદ્યપદાર્થોના ભાવ ટૂંક સમયમાં યુદ્ધ પહેલાંના સ્તરે પાછા આવવાની શક્યતા નથી, એ ઉલ્લેખ નથી કે યુક્રેનની નિકાસ પર લાદવામાં આવેલાં નિયંત્રણો આંતરરાષ્ટ્રીય ખાદ્યપુરવઠા શૃંખલાને અસર કરશે.
આ નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઇંધણના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇન પર કામદારોની અછતની અસર પહેલાંથી અસ્તિત્વમાં રહેલી ખાદ્યપદાર્થોની અછત અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો કરશે.
વર્લ્ડ બૅન્કના એક અભ્યાસ મુજબ ખાદ્યપદાર્થોની કિંમતમાં હજી પણ 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

30 બાય 30 : સિંગાપોર સરકારનું નવુ નિર્ધારિત લક્ષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોર સરકારે 2030 સુધીમાં તેના 30 ટકા ખાદ્યપદાર્થોનું સ્થાનિકસ્તરે ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
નિષ્ણાતોના મતે સ્વઉત્પાદનની આ યોજના કટોકટીના સમયે કંઇક અંશે મદદ કરશે પરંતુ તેનાથી દેશની આયાતનીતિને કોઈ મોટો ફેર નહીં પડે.
સિંગાપોરમાં કૃત્રિમ ફીડ પ્રોજેક્ટ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. તેના જવાબમાં એક વિશાળ કૃત્રિમ ચિકન-માંસ ઉત્પાદનકેન્દ્ર સ્થાપવામાં આવી રહ્યું છે.
આવા પ્રયાસો સ્થાનિક સ્તરે 30 ટકા ખોરાકનું ઉત્પાદન કરવાની યોજનાને સમર્થન આપશે.
તે પણ મહત્ત્વનું છે કે સ્થાનિક રીતે ઉત્પાદિત ખાદ્યઉત્પાદનોની કિંમત આયાતી ઉત્પાદનો કરતાં ઓછી છે. નહિંતર, લોકો ઘરેલું ખાદ્યપુરવઠો છોડી દે તેવી શક્યતા છે. વળી, સરકારે સામગ્રી પર સબસિડી આપવી પડી શકે એવા નિર્દેશ પણ નિષ્ણાતો કરી રહ્યા છે.

ખોરાકની અછતનો સામનો કરી રહ્યું છે સિંગાપોર

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપોરે ખાદ્યપદાર્થોની અછતનો કેવી રીતે સામનો કર્યો તે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે.
વડા પ્રધાન લી સિએન લૂંગે સ્વીકાર્યું છે કે વર્તમાન પરિસ્થિતિ સિંગાપોર જેવા દેશો માટે ચોક્કસપણે એક મોટો પડકાર હશે જે આયાતી ખાદ્યપદાર્થો પર નિર્ભર છે.
તેમણે એમ પણ કહ્યું કે જે દિવસથી કોરોના મહામારી શરૂ થઈ એ દિવસથી સિંગાપોર માટે આ સમસ્યા સર્જાવાની આશા હતી.
મરઘી, ઇંડાં અને શાકભાજી સહિત વિવિધ ઉત્પાદનોની આયાતમાં સમસ્યાઓની અપેક્ષા રાખીને, સિંગાપોર સરકારે તેમના સ્ટોકનું સ્તર વધાર્યું છે. વડા પ્રધાન લી સિએન લૂંગે કહ્યું છે કે સામાન્ય રીતે સામાનની આયાત કરતા દેશો સિવાય તેઓએ અન્ય ઘણા વિસ્તારોમાંથી જરૂરી સામાનની આયાત કરી છે.
બ્રાઝિલ, યુક્રેન અને પોલૅન્ડમાંથી મોટી માત્રામાં મરઘી અને ઇંડાંની આયાત કરતું સિંગાપોર શાકભાજીની આયાત માટે કેટલાક દેશોની ઓળખ કરીને આયાતકાર વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













