દુર્ગાપૂજા અને મંદિરો પર હુમલા બાદ બાંગ્લાદેશમાં ઠેર-ઠેર હિંસક પ્રદર્શન, શું છે સમગ્ર મામલો?
બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા અને મંદિરો પર હુમલા બાદ શુક્રવારે રાજધાની ઢાકા અને નોઆખલીમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયાં છે.
ઢાકાના પલ્ટનમાં બૈતુલ મુકર્રમ મસ્જિદ પાસે તથા નોઆખલીમાં ચૌમુહનીમાં શુક્રવારની નમાઝ પછી ઘર્ષણ થયાં હતાં.
અહેવાલો પ્રમાણે નોઆખલીના બેગમગંજના ચૌમુહનીમાં હિંદુ સમુદાયનાં ઘરો અને દુકાનોને નિશાન બનાવાયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
જિલ્લાના અધિક પોલીસ અધિક્ષકે ખરાઈ કરી છે કે આ ઘટનામાં જતનકુમાર સાહા નામની વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ઢાકામાં પ્રદર્શન દરમિયાન 'મલિબાગ મુસ્લિમ સમાજ'નાં પોસ્ટર્સ લોકોના હાથમાં હતાં, જ્યારે ચૈમુહનીમાં 'તૌહિદી જનતા'નાં પોસ્ટર્સ હતાં.
એક રિપોર્ટ પ્રમાણે પ્રદર્શનકારીઓ ભારતવિરોધી સૂત્રો પોકારી રહ્યા હતા અને હસીના 'નવી દિલ્હીની નિકટ' હોવાનો આરોપ પણ લગાવાયો હતો.
કોમિલ્લા જિલ્લામાં કથિત રીતે કુરાનનું અપમાન કરવાના વિરોધમાં અને ઢાકા તથા ચૌમુહનીમાં પ્રદર્શનો યોજાયાં હતાં, જે દરમિયાન હિંસા થઈ હતી.

કોમિલ્લામાં બુધવારે એક દુર્ગાપૂજાના પંડાલમાં કુરાનનું કથિત રીતે અપમાન થયાની વાત બાદ કોમિલ્લા અને ચાંદપુર સહિત દેશના અનેક ભાગોમાં મંદિરો અને દુર્ગાપૂજાના સ્થળે હુમલા થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોઆખલીના બેગમગંજમાં એક દુર્ગાપૂજાના મંડપને આગ ચાંપી દેવાઈ હતી અને ચાંદપુરના હાજીગંજમાં ઘર્ષણ દરમિયાન ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સરકારે સ્થિતિ કાબૂમાં લેવા માટે દેશના 22 જિલ્લામાં સુરક્ષાદળોને તહેનાત કર્યાં છે.
ગુરુવારે વડાં પ્રધાન શેખ હસીનાએ વાયદો કર્યો હતો કે આ ઘટના માટે જવાબદાર લોકોને સજા આપવામાં આવશે.
શુક્રવારે બાંગ્લાદેશ આખામાં 4G અને 3G મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો અને સાંજે ચાર વાગ્યા બાદ આ પ્રતિબંધ હઠાવી દેવાયો હતો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












