Mental Health : ડિપ્રેશનને દૂર કરશે માથામાં ફિટ કરેલું મશીન?
- લેેખક, મિશેલ રૉબર્ટ્સ
- પદ, હેલ્થ ઍડિટર, બીબીસી ન્યૂઝ
અમેરિકાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે માથામાં બાકસના આકારનું ડિવાઇસ ગોઠવીને ડિપ્રેશનના ગંભીર કેસોની સારવાર કરી શકાય છે. તેમણે દાવો કર્યો છે કે એક દરદી ઉપર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો છે.
36 વર્ષીય દરદી સારાએ એક વર્ષ પહેલાં આ ડિવાઇસ ફિટ કરાવ્યું હતું અને તેમનું કહેવું છે કે એ પછી તેમનું જીવન સમૂળગું બદલાઈ ગયું છે.
તેમના માથામાં ઇમ્પ્લાન્ટ થયેલું આ મશીન સતત કાર્યરત રહે છે તથા જ્યારે જરૂર હોય ત્યારે મગજને મદદ કરે છે.

ઇમેજ સ્રોત, JOHN LOK, UCSF 2021
આરોગ્ય જર્નલ 'નેચર'માં આ પ્રયોગ વિશે માહિતી આપવામાં આવી છે. સાન ફ્રાન્સિસ્કોની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ ડિવાઇસ અન્ય ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા દરદીઓને પણ મદદ કરશે, એમ કહેવું વહેલું ગણાશે.
આમ છતાં તેમને વિશ્વાસ છે કે તેઓ સફળ રહેશે તથા વધુ પરીક્ષણો પર કામ કરી રહ્યા છે.

ડિપ્રેશન સર્કિટ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આ પ્રાયોગિક ઉપચાર પદ્ધતિ દ્વારા સારવાર કરાવનારાં પ્રથમ દરદી સારાનું કહેવું છે કે "વિગત વર્ષો દરમિયાન તેમણે અનેક ઇલાજ કરાવ્યા હતા, જે નિષ્ફળ રહ્યા હતા. ડિપ્રેશનવિરોધી દવાઓ તથા ઇલેક્ટ્રોનવલ્સિવ થૅરપીથી તેમને ખાસ ફાયદો થયો ન હતો."
સારાના કહેવા પ્રમાણે, "આ સર્જરી કરાવવી મુશ્કેલ જણાય શકે છે, પરંતુ હું જે પ્રકારનો અંધકાર અનુભવી રહી હતી, તેમાં રાહત મળવાની શક્યતા વધુ સારો વિકલ્પ હતી. મેં સારવારના શક્ય તમામ વિકલ્પ અજમાવી લીધા હતા."
સારા કહે છે, "મારી દિનચર્યામાં અનેક નિષેધ હતા, હું દરરોજ ત્રસ્ત રહેતી હતી. માંડ-માંડ હલીચલી શકતી હતી કે કંઇક કરી શકતી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સર્જરી દરમિયાન સારાના માથામાં એક કાણું પાડવામાં આવ્યું, જેમાં તાર ગોઠવી શકાય તથા મગજની કામગીરી ઉપર નજર રાખવામાં આવે છે તથા તેને સમયાંતરે ઉત્તેજીત કરવામાં આવે છે.
બૅટરી તથા પલ્સ જનરેટર બૉક્સને તેની ખોપડી તથા વાળની નીચેના હાડકાં હેઠળ દબાવી દેવામાં આવ્યાં.
આમ કરવામાં એક દિવસનો સમય લાગી ગયો, સમગ્ર પ્રક્રિયા દરમિયાન સારા બેહોશ હતાં.
તેમનું કહેવું છે કે જ્યારે તેઓ ઉઠ્યાં, ત્યારે તેમને ઉત્સાહની અનુભૂતિ થઈ. તેઓ કહે છે :
"ઇમ્પ્લાન્ટને પહેલી વખત ચાલુ કરતાની સાથે જ મારું જીવન સારું થતું હોય એમ લાગ્યું. ફરીથી મારું જીવન સુખી થઈ ગયું અને અમુક અઠવાડિયાંમાં જ મારા માનસમાંથી આત્મઘાતી વિચાર નીકળી ગયા."
સારા કહે છે, " હું ગાઢ ડિપ્રેશનમાં હતી ત્યારે મને માત્ર ખરાબ ચીજો જ દેખાતી હતી."
સર્જરીના એક વર્ષ બાદ કોઈપણ જાતની આડઅસર વગર સારા સ્વસ્થ છે. તેઓ કહે છે, "આ ડિવાઇસે મારા ડિપ્રેશનને મારાથી દૂર રાખ્યું. આના કારણે જીવનમાં જે સારું હોય તેને હાંસલ કરવાની તથા જિંદગીને ફરીથી જીવવામાં મને મદદ મળી."
ડિવાઇસ ચાલુ હોય તો પણ તેમને કોઈ અસર નથી થતી.
તેઓ કહે છે, "સતર્કતા તથા ઊર્જાનો સંચાર થવાથી કે સકારાત્મક વિચારનો અનુભવ થવાથી પંદર મિનિટની અંદર જ આ ડિવાઇસ બંધ થઈ જશે."

ડિવાઇસની કાર્યપદ્ધતિ

ઇમેજ સ્રોત, MAURICE RAMIREZ/ UCSF
કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના મનોચિકિત્સક તથા શોધકર્તા ડૉ. કૅથરિન સ્કૈનગોસે જણાવ્યું કે સારાના મગજમાં 'ડિપ્રેશન સર્કિટ' વિશે માલૂમ થવાને કારણે આ શોધ શક્ય બની હતી.
તેઓ કહે છે, "અમને વેંટ્રલ સ્ટ્રિએટમ નામના ભાગ વિશે જાણ થઈ, જ્યાં કોઈપણ પ્રકારની ઉત્તેજના અનુભવવાને કારણે તેમની અંદરની ડિપ્રેશનની લાગણી સમાપ્ત થઈ ગઈ. અમને મગજના અન્ય એક ક્ષેત્ર વિશે પણ માલૂમ થયું, જ્યાંની પ્રવૃત્તિથી જાણી શકાય છે કે તેમના લક્ષણ ક્યારે સૌથી વધુ ગંભીર બની જતાં હતાં."
વિજ્ઞાનીઓનું કહેવું છે કે ઇલાજની આ પદ્ધતિને ચકાસવા માટે તથા આની મદદથી ગંભીર ડિપ્રેશનના દરદી ઠીક થઈ શકે કે કેમ, તેના વિશેની વધુ શોધ માટે વધુ અભ્યાસની જરૂર છે.

'હજુ લાંબી મજલ કાપવાની છે'

ઇમેજ સ્રોત, iStock
ડૉ. સ્કૈનગોસે આ સારવારપદ્ધતિના પરીક્ષણ માટે અન્ય બે દરદીને પણ દાખલ કર્યા હતા તથા તેઓ નવ અન્ય રોગીઓને પણ સામેલ કરવા માગે છે.
તેઓ કહે છે, "આપણે એ જાણવાની જરૂર છે કે ડિપ્રેશન ઉત્પન્ન કરતી આ સર્કિટ દરેક દરદીમાં અલગ-અલગ કેમ હોય છે. તેના આમનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે."
તેમણે જણાવ્યું, "ઉપચાર થવાથી કોઈ વ્યક્તિનો બાયો માર્કર કે બ્રેઇન સર્કિટ સમયાંતરે બદલાય છે કે નહીં, તે પણ આપણે જોવું રહ્યું."
તેઓ કહે છે, "અમને વિશ્વાસ ન હતો કે અમે ડિપ્રેશનનો ઇલાજ કરી શકીશું, કારણ કે આ બહુ ગંભીર બાબત હતી. આથી તેના પરિણામ જોઈને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ પ્રકારના મામલાઓમાં આ ઇલાજની ખૂબ જ જરૂર છે."

ઇમેજ સ્રોત, ISTOCK
આ ડિવાઇસ ફિટ કરનારા ન્યૂરૉસર્જન ડૉ. ઍડવર્ડ ચાંગના કહેવા પ્રમાણે, "હું સ્પષ્ટપણે કહેવા માગીશ કે તે અસરકારકતા વિશે નથી જણાવતું. વાસ્તવમાં આ કામનું આ પહેલું નિદર્શન છે. સ્થિર રીતે ઇલાજ કરતાં પહેલાં આ પદ્ધતિને માન્યતા અપાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે."
બ્રિટનની યુનિવર્સિટી કૉલેજ લંડનના ન્યૂરો સાયન્ટિસ્ટ પ્રોફેસર જોનાથન રોઇજરે જણાવ્યું, "ગંભીર બીમાર હોય તેમનો જ ઇલાજ આ રીતે થઈ શકે છે."
"એવી શક્યતા છે કે જો અન્ય રોગીઓ ઉપર તેનું પરીક્ષણ થાય તો અલગ ભાગો વિશે માહિતી મેળવવી પડશે. કારણ કે દરેક વ્યક્તિમાં તેના લક્ષણ અલગ-અલગ હોય છે."
પ્રો. રોઇજર કહે છે, "આ અભ્યાસ એક જ દર્દી વિશે હતો. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન તેના આશાજનક પરિણામ મળશે કે નહીં, તેના વિશે આપણે જાણી શકીશું."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













