ફ્રાન્સમાં કોરોનાની 'ત્રીજી લહેર', પેરિસમાં એક મહિના માટે લૉકડાઉન

ફ્રાન્સમાં કોરોના વાઇરસની 'ત્રીજી લહેર'ના લીધે રાજધાની પેરિસમાં એક મહિના માટે લૉકડાઉન લાદવામાં આવી રહ્યું છે.

પેરિસ સાથે દેશના 15 અન્ય વિસ્તારોમાં પણ શુક્રવાર અડધી રાતથી લૉકડાઉન લાગુ કરાઈ રહ્યું છે.

ફ્રાન્સના વડા પ્રધાન જીન કૅસ્ટેક્સે કહ્યું છે કે આ લૉકડાઉન પહેલાંના લૉકડાઉનની જેમ જ આકરા પ્રતિબંધોવાળું નહીં હોય.

ફ્રાન્સમાં ગત 24 કલાકોમાં કોરોના વાઇરસના સંક્રમણના 35 હજાર નવા કેસ સામે આવ્યા છે.

વડા પ્રધાન જીન કૅસ્ટેક્સનું કહેવું છે કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણની 'ત્રીજી લહેર' ઝડપથી વધી શકે છે.

સ્વાસ્થ્યમંત્રી ઑલિવિર વેરનનું કહેવું છે કે પેરિસમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે અને જ્યાં 1200 લોકો ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ છે, જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં આ સંખ્યા અડધાથી પણ ઓછી હતી.

નવી રીતે લાદવામાં આવેલા લૉકડાઉનમાં બિનજરૂરી કામધંધા સંપૂર્ણ રીતે બંધ કરી દેવાશે. જોકે, શાળાઓ ખુલ્લી રહેશે.

ફ્રાન્સની સરકારની એ માટે ટીકા થતી રહે છે કે તેણે રસી આપવામાં મોડું કર્યું છે.

ઍસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી પર યુરોપિયન સંઘના દેશોએ પ્રતિબંધ કેમ મૂક્યો?

ઍસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી લીધા બાદ લોહીમાં ગાંઠો બનતી હોવાની ફરિયાદ બાદ યુરોપિયન સંઘના 18 દેશોએ તેના પર કામચલાઉ રોક લગાવી દીધી છે.

સંઘમાં દવાઓનું નિયમન કરનારી સંસ્થા યુરોપિયન મેડિસિન્સ એજન્સી કહ્યું છે કે ઍસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસીના ફાયદાઓ ઘણા છે અને રસીના ફાયદા, તેના લીધે સર્જાતા જોખમ કરતાં વધારે છે.

જોકે, યુરોપના દેશો હજુ પણ આ મામલે વિભાજીત છે અને આ મામલે વધારે સંશોધનની રાહ જોઈ રહ્યા છે.

આ અંગે વિસ્તૃત માહિતી માટે જુઓ આ વીડિયો રિપોર્ટ.

ભારતમાં કેવી સ્થિતિ?

ભારતમાં ડિસેમ્બર 2020 બાદ પ્રથમ વખત 24 કલાકમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ ગુરુવારે નોંધાયા છે. 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 35,871 નવા કેસો નોંધાયા છે. જ્યારે 172 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 1,14,74,605 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,216 થઈ ગયો છે.

આ દરમિયાન 17,741 સાજા પણ થયા છે. દેશભરમાં કોરોના વાઇરસના કુલ સક્રિય કેસની સંખ્યા 2,52,364 થઈ છે. ભારતના સ્વાસ્થ્યમંત્રાલયે સંબંધિત જાણકારી આપી છે.

એક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાઇરસના પ્રતિકાર માટે વૅક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્ય છે તો બીજી બાજુ, કેસોની સંખ્યામાં પણ ઉછાળો આવી રહ્યો છે.

આ પહેલાં બુધવારે 28 હજાર 903 નવા કેસ નોંધાયા હતા. બુધવારે ગુજરાતમાં 1122 નવા કેસ નોંધાયા હતા.

કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના ડેટા મુજબ કોરોનાના નવા કેસોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત તામિલનાડુ, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની સાથે 'ટૉપ-10' રાજ્યોમાં છે.

ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા પછી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે કર્ફ્યુ ઉપરાંત લૉકડાઉનનો સહારો લીધો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો