You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્મેનિયા અને અઝરબૈજાન યુદ્ધ : બન્ને દેશોએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો
યુદ્ધવિરામની માટે સહમત થયા બાદ આર્મેનિયા અને અઝરબૈજાને ફરીથી એકબીજા પર હુમલાના આરોપ લગાવ્યા છે.
આર્મેનિયાના ગાન્જા શહેરમાં રહેવાસી વિસ્તાર પર એક રૉકેટથી હુમલો કરાયો છે. શહેરમાં હાજર બીબીસીના સંવાદદાતાએ જણાવ્યું, "500 મિટરની આસપાસના વિસ્તારમાં આવેલી રહેવાસી ઇમારતો, ટ્રેનિંગ સેન્ટરો દુકાનો પર રૉકેટથી હુમલો કરાયો."
એક સ્થાનિક જણાવ્યું, " સારું થયું કે અમે ગાઢ ઉંઘમાં નહોતાં. છત ધડીમ કરતી કરતી ધ્રૂજવા લાગી હતી."
સ્થાનિકોના જણાવ્યા અનુસાર મિસાઇલના હુમલાને પગલે ઇમરાતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. કેટલાંક ઘરોની દિવાલો પણ પડી ગઈ હતી.
તો બીજી બાજુ અઝરબૈજાનના મંત્રાલયે આર્મેનિયન ઍન્ટી ઍરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો છે.
અઝરબૈજાનના સંરક્ષણમંત્રાલયે જણાવ્યું કે રવિવાર સવારે આઠ વાગ્યે એક આર્મેનિયન અનઆર્મર્ડ ઍરિયલ વ્હિકલને અઝેરી ઍર ડિફેન્સ યુનિટે તોડી પાડ્યું છે.
અઝરબૈજાને યુદ્ધવિરામનો ઉપયોગ યુદ્ધની તૈયારી માટે કર્યો?
નાર્ગોન-કારાબાખના વિદેશમંત્રાલયે અઝરબૈજાન પર આરોપ લગાવ્યો છે કે તેણે યુદ્ધવિરામની વાતચીતનો ઉપયોગ સૈન્યતૈયારી માટે કર્યો છે.
રશિયાની મધ્યસ્થીમાં આ શાંતિવાર્તા યોજાઈ હતી. હવે અઝરબૈજાન અને આર્મેનિયા બન્ને એકબીજા પર આ શાંતિસમજૂતી તોડવાનો આરોપ લગાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદેશમંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય સામે શાંતિ કાયમ કરવા માટે એકમાત્ર રસ્તો પ્રદેશને સ્વાયત્ત પ્રદેશના રૂપે માન્યતા આપવાનો છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિસ્તારને અઝરબૈજાનનો ભાગ ગણવામાં આવે છે. જોકે, અહીં રહેનારી મોટા ભાગની વસતી આર્મેનિયન લોકોની છે.
અહીંના તંત્રમાં પણ તેમનો દબદબો છે. તેઓ અઝેરી સરકાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી ઇચ્છતા.
યુદ્ધવિરામની સમજૂતીના ભવિષ્ય અંગે પ્રશ્નો
અઝરબૈજાનના વિદેશ મંત્રી જેહુન બાયરામોવએ જણાવ્યું કે મૉસ્કોમાં થયેલ વાતચીત દરમિયાન માનવીય ધોરણે યુદ્ધવિરામની તાત્કાલિક જાહેરાત કરવામાં આવી છે. મૃતકોનાં શબની અદલાબદલી ચાલશે ત્યાં સુધી યુદ્ધવિરામ રહેશે. જોકે, આ સ્થિતિ તરત જ બદલાઈ ગઈ.
બાકુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે જમીન પરની વાસ્તવિક પરિસ્થિતિ તેમના દેશ માટે અનુકૂળ ન હતી અને અઝરબૈજાનને અપેક્ષા હતી કે વધુ મોટો વિસ્તાર તેના નિયંત્રણમાં આવી જશે.
બંને દેશોએ એકબીજા પર યુદ્ધવિરામની સમજૂતીનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. યુદ્ધવિરામની સમજૂતીના ભવિષ્ય અંગે હવે પ્રશ્નો ઉભા થયા છે.
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધવિરામ થાય એ માટે રશિયાએ મધ્યસ્થી કરી હતી.
તુર્કીએ શું કહ્યું?
તુર્કીએ કહ્યું છે કે જ્યાં સુધી નાગોર્નો-કારાબાખનો વિવાદિત વિસ્તાર પોતાના કબજામાં નહીં આવી જાય ત્યાં સુધી તે અઝરબૈજાનની સૈનાનું સમર્થન કરશે.
તુર્કીના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટર પર જણાવ્યું કે અઝરબૈજાનની સૈના યુદ્ધમાં પોતાના સાહસનો પરિચય આપ્યો છે અને પોતાના વિસ્તારને બચાવવામાં તેઓ સફળ રહ્યા છે. આર્મેનિયાએ જે જમીન પર કબજો કર્યો છે, તે મૂળ માલિકને પરત આપી દેવી જોઈએ. જ્યાં સુધી આર્મેનિયા આવું નહીં કરે ત્યાં સુધી અમે અજેરી ભાઈઓની પડખે ઊભા રહીશું.
આર્મેનિયા અને અઝરબૈજાનનો યુદ્ધવિરામ ભંગનો આરોપ
બેઉ દેશોએ યુદ્ધવિરામની સમજૂતી બાદ એકમેક પર તેનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.
અઝરબૈજાને શનિવારે આર્મેનિયા પર યુદ્ધવિરામની સમજૂતીનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે તો વળી સામે આર્મેનિયાનો પણ એવો જ આરોપ છે.
નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઈને બે સપ્તાહ પહેલાં શરૂ થયેલા યુદ્ધ બાદ પ્રથમ વખત આર્મેનિયા અને અઝરબૈજાને મૉસ્કોમાં એકબીજા સાથે વાત કરી હતી. રશિયાની મધ્યસ્થી બાદ શનિવારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.
પંરતુ અઝરબૈજાને યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યાના થોડાં જ સમયમાં આર્મેનિયા પર યુદ્ધવિરામ ભંગનો આરોપ મૂક્યો છે.
અઝરબૈજાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે "આર્મેનિયા ઉઘાડે છોગ યુદ્ધવિરામની સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બે અલગ અલગ દિશાઓથી એમની તરફથી હુમલો કરવામાં આવ્યો છે."
અઝરબૈજાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે તેર્તેર અને અગદામ વિસ્તારોમાં દુશ્મન દેશ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો છે.
જોકે, આર્મેનિયા તરફથી પણ અઝરબૈજાન પર આવો જ આરોપ મૂકવામાં આવ્યો છે.
આર્મેનિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો એ પછી કારાખામબેયલી વિસ્તારમાં અઝરબૈજાનના સૈનિકોએ હુમલો કર્યો છે.
આર્મેનિયાના રક્ષા મંત્રાલયના પ્રેસ સચિવ શુશૈન સ્ટીફેનયાને કહ્યું કે કારાબાખમાં સુરક્ષાદળો દુશ્મનોના હુમલાનો જવાબ આપવા માટે યોગ્ય પગલાં ભરી રહ્યા છે.
મૃતકો અંગે આર્મેનિયાનો દાવો
આર્મેનિયાના રક્ષા મંત્રાલયના અહેવાલ મુજબ લડાઈ દરમિયાન નાગોર્નો-કારાબાખમાં 28 લોકો અઝરબૈજાનની ફોજ સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યા છે. આ રીતે કુલ મૃતકોની સંખ્યા 404 થઈ ગઈ છે.
ડ્રોન હુમલાનો વીડિયો
અઝરબૈજાનના રક્ષા મંત્રાલયે બખતરબંધ ગાડી પર હવાઈ હુમલાનો ડ્રોન વીડિયો રજૂ કર્યો છે અને નિવેદનમાં કહ્યું છે કે આ યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે.
જોકે, મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આ વીડિયોનું રૅકોર્ડિંગ ક્યારનું છે તે હજી સ્પષ્ટ નથી.
અઝરબૈજાને યુદ્ધવિરામ અગાઉ આર્મેનિયન લશ્કરના સાધનો પર ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો એવા પણ અહેવાલો હતા.
આ અગાઉ અઝરબૈજાન અને આર્મેનિયાના વિદેશમંત્રીઓ મૉસ્કોમાં કલાકોની વાતચીત પછી શનિવારે બપોરે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં વિરામ માટે એકમત થયા હતા.
આ યુદ્ધવિરામ મુજબ યુદ્ધકેદીઓ અને મૃતકોનાં શબની અદલાબદલીની સમજૂતી બની હતી અને ઉપરાંત સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે સંવાદ શરૂ કરવા બાબતે પણ સહમતી સધાઈ હતી.
નોંધનીય છે કે નાગોર્નો-કારાબાખમાં ચાલી રહેલા યુદ્ધમાં રહેવાસી વિસ્તારોમાં બૉમ્બમારાને લઈને સંયુક્ત રાષ્ટ્રે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
27 સપ્ટેમ્બરે શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધી 300 લોકોનાં મૃત્યુ થયાં છે અને હજારો લોકોને ઘરબાર છોડવાની ફરજ પડી છે.
નાગોર્નો-કારાબાખ એક ડુંગરાળ વિસ્તાર છે અને અધિકૃત રીત અઝરબૈજાનનો છે. જોકે, 1994માં ખતમ થયેલી લડાઈ બાદ આ વિસ્તારમાં આર્મેનિયાનો કબજો છે.
પૂર્વ સોવિયેટ સંઘનો ભાગ રહે ચૂકેલા આર્મેનિયા અને અઝરબૈઝાન નાગોર્નો-કારાબાખના વિસ્તારને લઈને 1980ના દાયકામાં અને 1990ના દાયકાના પ્રારંભમાં સંઘર્ષમાં ઊતરી ચૂક્યા છે.
હાલના તણાવ માટે બન્ને દેશો એકબીજાને જવાબદાર ઠેરવે છે.
મૉસ્કોમાં શું થયું?
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે વાતચીત શુક્રવારે શરૂ થઈ હતી. વાતચીત શરૂ થવા અંગે રશિયાના વિદેશમંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝાખારોવાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.
તેમણે આર્મેનિયા, અઝરબૈજાન અને રશિયાના વિદેશમંત્રીઓની એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, "વાતચીત શરૂ થઈ ચૂકી છે."
આ પહેલાં રશિયાના રાષ્ટ્રપિત વ્લાદિમીર પુતિને બન્ને પક્ષોને યુદ્ધવિરામની અપીલ કરી હતી અને કહ્યું હતું કે બન્ને દેશો પોતાના સૈનિકોના મૃતદેહો લઈ જઈ શકે અને યુદ્ધકેદીઓની અદલાબદલી કરી શકે એ માટે યુદ્ધવિરામ જરૂરી છે.
વાતચીત શરૂ થતાં પહેલાં અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે ટીવી પર પ્રસારિત એક સંદેશમાં કહ્યું હતું યુદ્ધ ખતમ કરવા માટે તેઓ "આર્મેનિયાને એક છેલ્લી તક આપવા માટે તૈયાર છે."
જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે અઝરબૈજાનની પ્રાદેશિક અખંડતાને ફરીથી સ્થાપવાથી ઓછી કોઈ વાત પર તેઓ તૈયાર નહીં થાય.
તેમણે ઉમેર્યું, "અમે સાચા રસ્તા પર છીએ. અમે જીતી રહ્યા છીએ. અમે અમારી જમીન ફરીથી પરત લઈશું અને પ્રાદેશિક અખંડતા ફરી કાયમ કરીશું. જોકે, અમારી જમીન પર કબજો કરનારાઓને અમે છેલ્લી તક આપવા માગીએ છીએ કે અમારી જમીન પરથી તેઓ બહાર જતા રહે."
બીજી બાજું, અઝરબૈજાનના પારંપરિક મિત્ર અને સમર્થક તુર્કીએ શુક્રવારે કહ્યું હતું કે શાંતિ સ્થાપવાના પ્રયાસો ત્યાં સુધી સફળ નહીં નીવડે, જ્યાં સુધી આર્મેનિયા વિવાદિત જમીન પરથી પોતાનું સૈન્ય પર નહીં હઠાવે.
આર્મેનિયામાં રશિયાનું સૈન્યઠેકાણું છે અને બન્ને દેશો સૈન્યસંગઠન 'કલેક્ટિવ સિક્યૉરિટી ટ્રીટી ઑર્ગેનાઇઝેશન'ના સભ્યો પણ છે. અઝરબૈજાનની સરકાર સાથે પણ રશિયાના સારા સંબંધો છે.
નાગોર્નો-કારાબાખ વિશે કેટલીક વાતો
નાગોર્નો-કારાભાખ 4,400 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે, જ્યાં આર્મેનિયન ખ્રિસ્તી અને મુસ્લિમ તુર્ક રહે છે.
સોવિયેટ સંઘના સમયે અહીં અઝરબૈજાનમાં એક સ્વાયત્ત ક્ષેત્ર બની ગયું હતું.
આંતરરાષ્ટ્રીયસ્તરે તેને અઝરબૈજાનના ભાગ તરીકે જ જોવામાં આવે છે, પરંતુ અહીંની મોટા ભાગની વસતી આર્મેનિયન છે.
1980ના દશકના અંતમાં શરૂ થઈને 1990ના દશક સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન 30 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 10 લાખથી વધુ લોકો અહીંથી વિસ્થાપિત થયા હતા.
એ દરમિયાન અલગાવવાદી તાકાતોએ નાગોર્નો-કારાબાખના કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો.
1994માં અહીં યુદ્ધવિરામની જાહેરાત થઈ, બાદમાં પણ અહીં પ્રતિકાર ચાલુ છે અને ઘણી વાર આ વિસ્તારમાં તણાવ પેદા થઈ જાય છે.
તાજા વિવાદની શરૂઆત પણ બંને દેશો તરફથી એકબીજા પર હુમલા કરવાના દાવાથી થઈ હતી.
તુર્કી સ્પષ્ટ રીતે અઝરબૈજાનનું સમર્થન કરે છે અને આ વિસ્તારમાં રશિયાનું સૈન્ય થાણું પણ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો