ચીનમાં Corona વાઇરસથી મૃતાંક વધ્યો, ભારત સરકારનો ઍરપૉર્ટ પર ચકાસણીનો આદેશ

ચીનનાં મહત્ત્વનાં શહેરોમાં એક રહસ્યમય વાઇરસ ફેલાયો છે અને તેની ઝપેટમાં 300 લોકો આવ્યા હોવાનો આંકડો સામે આવ્યો છે.

માણસથી માણસમાં ફેલાતા આ વાઇરસને લઈને બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઇમરજન્સી મિટિંગ બોલાવાઈ છે.

ચીનમાં વાઇસના પ્રકોપને પગલે ભારત સરકારે પણ નિવેદન આપ્યું છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચીન, હૉંગકૉંગથી આવનારી તમામ ફ્લાઇટ્સમાં મુસાફરોના સ્ક્ર્રિનિંગનો આદેશ આપ્યો છે.

ચીન કે હૉંગકૉંગથી ભારતના મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચિન આવતી તમામ ફ્લાઇટના મુસાફરોની થર્મલ સ્ક્ર્રિનિંગ કરવામાં આવશે.

આ દરમિયાન ચીનના ટોચના નેતાઓએ નીચેના અધિકારીઓ વાઇરસથી પીડિત લોકોની સંખ્યા બાબતે ઢાંકપિછોડો ન કરે તેની ચેતવણી આપી છે.

વાઇરસને કારણે 6 લોકોનાં મૃત્યુ થયાં હોવાની પૃષ્ટિ પછી આ ચેતવણી સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે 139 આંકડો કહેવામાં આવ્યો હતો જે સોમવારે 200 પર પહોંચ્યો હતો અને હાલ 300 લોકો વાઇરસની ઝપેટમાં આવ્યા હોવાનું કહેવાય છે.

વાઇરસનું નામ કોરોના (corona) ગણાવાઈ રહ્યું છે અને તે માણસથી ફેલાઈ રહ્યો છે એ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે.

કોરોના વાઇરસના સૌથી વધારે કેસો વુહાન શહેર, બિજિંગ અને શેનજેનમાં જોવા મળ્યા છે.

અત્યાર સુધી શ્વાસ લેવાની તકલીફને લઈને 6 લોકોનાં મૃત્યુ થયાં છે.

બ્રિટનના નિષ્ણાતોએ બીબીસીને કહ્યું કે ચીનના અધિકારીઓ જે આંકડો કહી રહ્યા છે તેના કરતાં વધારે લોકો આ વાઇરસની ઝપેટમાં આવ્યા હોઈ શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ વાઇરસનો પ્રકોપ માટે પાયે ફેલાઈ રહ્યો છે તેની ગહન તપાસ થઈ રહી છે.

આ દરિમયાન વુહાનમાં 15 આરોગ્યકર્મીઓને પણ ચેપ લાગ્યો હોવાના અહેવાલ છે.

આ નવો કોરોના વાઇરસ ડિસેમ્બર મહિનામાં સૌથી પહેલા પકડમાં આવ્યો હતો, પરંતુ હવે તે ચીનની સીમા પાર કરીને અન્ય દેશોમાં પણ ફેલાઈ ચૂક્યો છે.

તાજેતરના કેસોની વાત કરીએ તો આ વાઇરસના થાઇલૅન્ડમાં બે અને જાપાનમાં એક કેસ સામે આવ્યા છે.

કોરોના વાઇરસ શું છે?

દરદીઓ પાસેથી મેળવાયેલા સૅમ્પલની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવી અને તે પછી ચીનના અધિકારીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કહ્યું કે આ કોરોના વાઇરસ છે.

કોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે, પરંતુ એ પૈકી 6 વાઇરસનો જ લોકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ નવા વાઇરસની ઓળખ થયા પછી એ સંખ્યા સાત થઈ જાય છે.

નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો છે કે આ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતા અન્ય કોરોના વાઇરસની તુલનામાં સાર્સની નજીક છે.

સાર્સ નામના કોરોના વાઇરસને ઘણો ખતરનાક માનવામાં આવે છે. 2002માં ચીનમાં 8098 લોકો સાર્સની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી 774 લોકોનાં મૃત્યુ થયાં હતા.

આ ઘટનામાં શું નવું છે?

ચીનના વુહાન શહેરના અધિકારીએ કહ્યું કે અઠવાડિયાને અંતે 136 નવા કેસોની પૃષ્ટિ કરાઈ છે. વાઇરસના ચેપને કારણે એક વ્યક્તિના મૃત્યુની પણ પૃષ્ટિ કરવામાં આવી અને તે સાથે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ત્રણ થઈ છે.

રવિવારે મોડી સાંજે અધિકારીઓએ કહ્યું કે વુહાન શહેરમાં 170 લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે અને એ પૈકી 9 લોકોની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે.

શેનજેન શહેરમાં અધિકારીઓએ કહ્યું કે 66 વર્ષીય એક વ્યક્તિમાં આ વાઇરસનાં લક્ષણો જોવાં મળ્યાં છે. એ વ્યક્તિ થોડા દિવસ અગાઉ સંબંધીઓને મળવા વુહાન ગઈ હતી.

ચીનના નેશનલ હેલ્થ કમિશનનું કહેવું છે કે આ વાઇરસને હજી પણ અંકુશમાં લાવી શકાય એમ છે.

કેવાં હોય છે લક્ષણો?

કોરોના વાઇરસનો ચેપ લાગે તે વ્યક્તિમાં શરદી-ખાંસીનાં લક્ષણો જોવાં મળે છે અને અસર ગંભીર હોય તો મૃત્યુ પણ થઈ શકે છે.

યુનિવર્સિટી ઑફ ઍડિનબર્ગના પ્રોફેસર માર્ક વૂલહાઉસનું કહેવું છે કે અમે જ્યારે આ નવા કોરોના વાઇરસને જોયો તો એ જાણવાની કોશિશ કરી કે આની અસર આટલી ખતરનાક કેમ છે. આ સામાન્ય શરદી કરવાવાળો વાઇરસ નથી એ ખૂબ ચિંતાની વાત છે.

ક્યાંથી આવ્યો છે આ વાઇરસ?

આ એકદમ નવા પ્રકારનો વાઇરસ છે.

આ એક જીવોની પ્રજાતિમાંથી બીજા જીવોની પ્રજાતિમાં આવે છે અને પછી માણસને સંક્રમિત કરે છે. ચેપ લાગવાની ખબર પણ પડતી નથી.

નૉટિંઘમ યુનિવર્સિટીના વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર જોનાથન બૉલનું કહેવું છે કે આ એકદમ નવા જ પ્રકારનો કોરોના વાઇરસ છે. તે પશુઓમાંથી માણસો સુધી પહોંચ્યો હોય એવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે સાર્સ પણ બિલાડીની પ્રજાતિના એક જીવમાંથી માણસો સુધી પહોંચ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો