21મી સદીના અંત સુધીમાં વૈશ્વિક વાતાવરણમાં કેવા ફેરફાર થશે?

વિજ્ઞાનીઓ કહે છે કે ગ્લૉબલ વૉર્મિંગને કારણે પૃથ્વી પર વિનાશક અસરો થઈ શકે છે.

માનવીય પ્રવૃત્તિઓને કારણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધ્યું છે અને તેના કારણે તાપમાન વધ્યું છે.

ઊંચું તાપમાન અને ધ્રુવ પ્રદેશોમાં ઓગળતો બરફ તેની સંભવિત અસરો છે.

પૃથ્વીના આવા બદલાતા વાતાવરણ વિશે આપણે કેટલું જાણીએ છીએ?

આબોહવા પરિવર્તન શું છે?

પૃથ્વીનું સરેરાશ તાપમાન 15 સેલ્સિયલ ડિગ્રી છે, જે ભૂતકાળમાં ઘણું જુદું હતું.

આબોહવામાં કુદરતી રીતે પરિવર્તન આવતું રહે છે, પણ વિજ્ઞાનીઓ કહે છે કે અગાઉ કરતાં હવે પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે.

ગ્રીનહાઉસની અસરને કારણે આવું થઈ રહ્યું છે. ગ્રીનહાઉસ વધે ત્યારે પૃથ્વી સૂર્યની વધારે ગરમી શોષી લે છે.

પૃથ્વી પરથી પરાવર્તિત થતાં સૂર્યકિરણો પૃથ્વીના વાતાવરણમાં જ ગ્રીનહાઉસ ગૅસ શોષી લે છે અને તેને ચારે દિશામાં ફેલાવે છે.

તેના કારણે નીચેના સ્તરનું હવામાન તથા પૃથ્વીની સપાટી બંને ગરમ થાય છે. આવી ઉષ્મા ના હોય તો પૃથ્વી 30'C જેટલી વધારે ઠંડી થઈ ગઈ હોત અને જીવન માટે તે આકરી બની હોત.

વિજ્ઞાનીઓ માને છે કે આપણે હવામાં વધારે ને વધારે વાયુઓ છોડી રહ્યા છીએ. ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો અને કૃષિમાં વપરાતી વધારે ઊર્જાને કારણે તાપમાન વધી રહ્યું છે.

આ સ્થિતિને આબોહવા પરિવર્તન અથવા વૈશ્વિક તાપમાન વૃદ્ધિ કહે છે.

ગ્રીનહાઉસ ગૅસ શું છે?

ગ્રીનહાઉસ ગૅસમાં સૌથી મોટું પ્રમાણ પાણીનું બાષ્પીભવન છે. જોકે વરાળ સ્વરૂપે રહેલું આવું જળ વાતાવરણમાં થોડા દિવસો માટે જ રહે છે.

તેનાથી વિપરીત કાર્બન ડાયોક્સાઇડ (CO2) લાંબો સમય સુધી વાતાવરણમાં રહે છે.

ઔદ્યોગિક યુગની શરૂઆત થઈ તે પહેલાં કાર્બન ડાયોક્સાઇડનું જેટલું પ્રમાણ હતું, ત્યાં સુધી પહોંચવામાં સેંકડો વર્ષો લાગી જશે. દરિયા જેવાં કુદરતી પરિબળો દ્વારા જ તેને શોષી શકાય તેમ છે.

મનુષ્ય ઊર્જા માટે કોલસો, ક્રૂડ વગેરે બાળે છે તેના કારણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે.

જંગલોમાં કાર્બન ડાયોક્સાઇડ સચવાયેલો રહે છે, પણ જંગલો નાશ પામે, તેને કાપી નાખવામાં આવે ત્યારે તેમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છુટ્ટો થઈને તાપમાન વધારે છે.

1750ની આસપાસ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં CO2નું પ્રમાણ 30% કરતાંય વધી ગયું છે.

છેલ્લાં આઠ લાખ વર્ષોમાં વાતાવરણમાં સૌથી વધુ CO2 જમા થઈ ગયો છે.

મિથેન અને નાઇટ્રોસ ઑક્સાઇડ જેવા બીજા ગ્રીનહાઉસ ગ્રીન પણ માનવીય પ્રવૃત્તિને કારણે છૂટે છે, પણ તેનું પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ઓછું છે.

વૈશ્વિક તાપમાન વધ્યાના પુરાવા શું છે?

ઔદ્યોગિકીકરણ વધ્યું તે પહેલાં સરેરાશ તાપમાન હતું, તેના કરતાં અત્યારે સરેરાશ એક ડિગ્રી તાપમાન વધી ગયું છે, એમ વર્લ્ડ મિટિયોરોલૉજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO) કહે છે.

નોંધ કરવાની શરૂઆત થઈ ત્યાર પછી સૌથી વધુ ગરમ 22 વર્ષમાં છેલ્લાં 20 વર્ષનો સમાવેશ થાય છે અને તેમાં સૌથી વધુ ગરમ ચાર વર્ષ હતાં, 2015થી 2018નાં વર્ષ.

2005થી 2015 સુધીમાં દુનિયામાં દરિયાની સપાટીમાં દર વર્ષે 3.6mm જેટલો વધારો થતો રહ્યો છે.

તાપમાન વધે તેના કારણે પાણીનો જથ્થો વધે છે તેથી આમ થઈ રહ્યું છે.

જોકે મુખ્ય કારણ એવું મનાય છે કે પીગળતા બરફને કારણે દરિયાની સપાટી વધી રહી છે. તાપમાન વધ્યું છે ત્યાં મોટા ભાગના ગ્લેશિયર ઘટવા લાગ્યા છે.

1979 પછી ધ્રુવપ્રદેશમાં પણ બરફના જથ્થામાં નાટકીય ઘટાડો થયો છે તેવું સેટેલાઇટની તસવીરો પરથી જણાય છે.

હાલનાં વર્ષોમાં ગ્રીનલૅન્ડના બરફના સ્તરોમાં પણ વિક્રમજનક ઘટાડો થયો છે.

સેટેલાઇટ ડેટા દર્શાવે છે કે પશ્ચિમ ઍન્ટાર્કટિકના બરફના સ્તરમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.

હાલના અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો છે કે પૂર્વ ઍન્ટાર્કટિકમાંથી પણ બરફ ઓગળતો હોય તેમ લાગે છે.

બદલાતી આબોહવાની અસર વનસ્પતિ અને પ્રાણીજગત પર પણ દેખાય છે. ફૂલો બેસવાં અને ફળો આવવાના સમયમાં ફેરફાર થવા લાગ્યો છે અને પ્રાણીઓની હદમાં ફેરફારો દેખાયો છે.

ભવિષ્યમાં કેટલું તાપમાન વધશે?

1850 પછી અને 21મી સદીના અંત સુધીમાં વૈશ્વિક તાપમાનમાં સરેરાશ 1.5C જેટલો વધારો થશે, તેમ મોટાં ભાગનાં અનુમાનો જણાવી રહ્યાં છે.

WMOના જણાવ્યા અનુસાર તાપમાન વધવાનો વર્તમાન દર જળવાઈ રહેશે તો સદીના અંત સુધીમાં તાપમાનમાં 3થી 5C સુધીનો વધારો થઈ શકે છે.

તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોખમી ગણાય છે.

હાલના સમયમાં વિજ્ઞાનીઓ અને નીતિનિર્ણાયકોનું કહેવું છે કે તાપમાનમાં વધારો 1.5C જેટલો મર્યાદિત રાખવામાં આવે તે સલામત સ્થિતિ છે.

ઇન્ટરગર્વનમેન્ટલ પેનલ ઑન ક્લાયમેટ ચેન્જ (IPCC)ના 2018ના અહેવાલ અનુસાર તાપમાનમાં વૃદ્ધિને દોઢ ડિગ્રી સુધી મર્યાદિત રાખવા માટે પણ "ઝડપી, વ્યાપક અને અભૂતપૂર્વ પરિવર્તનો સમાજમાં લાવવાં પડશે."

ગ્રીનહાઉસ ગૅસને કાબૂમાં રાખવા માટેના રાજકીય પ્રયાસોની આગેવાની સંયુક્ત રાષ્ટ્રસંઘે લીધી છે.

સૌથી વધુ CO2 ચીન દ્વારા છોડવામાં આવે છે. ત્યાર બાદ અમેરિકા અને યુરોપિય સંઘના દેશો સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ છોડી રહ્યા છે.

આ દેશોમાંથી માથાદીઠ સૌથી વધુ ગૅસ છોડવામાં આવી રહ્યા છે.

જો આપણે નાટકીય રીતે ગ્રીનહાઉસ ગૅસને કાબૂમાં લઈએ તો પણ તાપમાનમાં વધારો થતો રહેશે એમ વિજ્ઞાનીઓ કહે છે.

પાણીનાં વિશાળ જળાશયો અને બરફ તાપમાનમાં ફેરફારનો પ્રતિસાદ આપવામાં સેંકડો વર્ષ લગાડી શકે છે અને CO2 વાતાવરણમાંથી દૂર કરવામાં પણ દાયકા લાગી શકે છે.

આબોહવા પરિવર્તન આપણને કેવી રીતે અસર કરે?

આબોહવા પરિવર્તનની આપણને શું અસર થશે તે વિશે અનિશ્ચિતતા છે.

તેના કારણે સ્વચ્છ જળનો જથ્થો ઘટી શકે છે, અન્નના ઉત્પાદનમાં નાટકીય ઘટાડો થઈ શકે છે તથા પૂર, વાવાઝાડાં અને ગરમીના પ્રકોપથી અનેકનાં મૃત્યુ થઈ શકે છે.

આબોહવામાં પરિવર્તનના કારણે હવામાન વારંવાર આકરું બની શકે છે. જોકે કોઈ એક જ ઘટનાને વૈશ્વિક તાપમાન સાથે જોડવી મુશ્કેલ છે.

પૃથ્વી ગરમ થાય તે સાથે વધારે પ્રમાણમાં જળનું બાષ્પીભવન થાય છે અને હવામાં ભેજ વધે છે.

તેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે.

વાવાઝોડાંના કારણે વધારે પૂર આવે અને દરિયાની સપાટી વધે તેવી પણ શક્યતા છે. જોકે પ્રદેશો પ્રમાણે વાતાવરણમાં આ ફેરફારો બહુ અલગઅલગ પ્રકારના હશે.

ગરીબ દેશો વાતાવરણના પરિવર્તનનો સામનો કરવા માટે ઓછા તૈયાર હોય છે અને તેથી તેમને સૌથી વધુ નુકસાન થઈ શકે છે.

બદલાયેલા વાતાવરણને અનુકૂળ થવાય તે પહેલાં જ ઘણી બધી વનસ્પતિઓ અને પ્રાણીઓનું નિકંદન નીકળી શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ચેતવણી આપી છે કે મલેરિયા, કૂપોષણ અને જળને કારણે થતા રોગોમાં વધારો થઈ શકે છે.

વાતાવરણમાં CO2 વધે તે સાથે દરિયામાં તેનું શોષાવાનું પ્રમાણ પણ વધે અને તેના કારણે જળ વધારે ઍસિડિક થઈ શકે છે. તેની વ્યાપક અસર પરવાળા પર થઈ શકે છે.

તાપમાન વધવા સાથે એવા ફેરફારો થશે કે ગરમીમાં વધુ વધારો થશે. બરફ ઓગળવા સાથે વધુ મિથેન હવામાં ભળી શકે છે.

આ સદીમાં આ પ્રકારનાં પરિવર્તનનો સામનો કરવો તે આપણો સૌથી મોટો પડકાર બની રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો