You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'હું હિંદુ હતો એટલે મારી સાથે વાત કરવાનું પસંદ નહોતા કરતા' - દાનિશ કનેરિયા
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે એક નિવેદન આપ્યું છે કે તેમના કેટલાક સાથી ખેલાડી ટીમના જ અન્ય એક ખેલાડી દાનિશ કનેરિયા સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહાર કરતા હતા કેમ કે તેઓ હિંદુ હતા.
શોએબ અખ્તરે આરોપ લગાવ્યો છે કે કેટલાક પાકિસ્તાની ક્રિકેટરોને દાનિશ કનેરિયા સાથે બેસીને જમવામાં પણ વાંધો હતો.
શોએબનું કહેવુ છે કે આવું થયું કેમ કે દાનિશ એક હિંદુ હતા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે શોએબ અખ્તરે પીટીવી સ્પૉર્ટ્સ પર 'ગમે ઑન હૈ' કાર્યક્રમમાં આ વાત કહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે પૂર્વ પાકિસ્તાની લેગ-સ્પિનર દાનિશ કનેરિયાએ એક નિવેદન જાહેર કર્યું છે કે શોએબ અખ્તર તેમના વિશે જે કંઈ પણ કહ્યું તે પૂરેપૂરું સાચું હતું.
આ પ્રકારનું વીરતાપૂર્ણ અને નિર્ભીક પગલું ભરવા બદલ તેમણે શોએબ અખ્તરનો આભાર માન્યો છે.
સોશિયલ મીડિયા પર શોએબ અખ્તરનો આ વીડિયો વાઇરલ થયો છે.
આ વીડિયો આવ્યા બાદ દાનિશ કનેરિયાએ એક નિવેદન જાહેર કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવેદનમાં તેમણે કહ્યું, "શોએબ અખ્તરના આ નિવેદન બદલ હું તેમનો આભાર માનું છું. તેમણે જે કંઈ પણ કહ્યું તે સાચું હતું."
"મેં તેમને ક્યારેય, કંઈ પણ નહોતું કહ્યું અને એ છતાં તેઓ મારા સમર્થનમાં આવ્યા."
તેમણે કહ્યું, "કેટલાક ખેલાડીઓ મારી સાથે વાત કરવાનું પસંદ નહોતા કરતા કેમ કે હું હિંદુ હતો. જલદી જ હું એ લોકોનાં નામો પણ જાહેર કરીશ."
"આ અગાઉ મારામાં આ વાત કહી શકવાનું સાહસ નહોતું પણ શોએબનું નિવેદન સાંભળ્યા બાદ મારામાં હિંમત આવી ગઈ છે કે હું આ મામલે પોતાની વાત મૂકી શકું."
દાનિશ કનેરિયાએ એવું પણ કહ્યું, "યુનિસ ખાન, ઇંઝમામુલ હક, મોહમ્મદ યુસૂફ અને શોએબ અખ્તરનું વર્તન હંમેશાં મારી સાથે સારું રહ્યું."
એક ભારતીય ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા કેનરિયાએ કહ્યું, "હું પાકિસ્તાનમાં જન્મ્યો અને પાકિસ્તાન માટે રમી શક્યો એ મારી માટે મહત્ત્વપૂર્ણ વાત છે."
આ અગાઉ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે કહ્યું હતું, "મારી કૅરિયર દરમિયાન મારી ટીમના જ બે ખેલાડીઓ સાથે પ્રાંતવાદ પર વાત કરતી વખતે મારો ઝઘડો પણ થયો હતો."
"કોણ કરાચીથી છે... કોણ પેશાવરથી... અને કોણ પંજાબથી..."
તેઓ લખે છે, "એવી વાતો થવા લાગી હતી... કોઈ હિંદુ હોય તો શું થઈ ગયું... તે ટીમ માટે સારું તો રમી રહ્યો છે ને..."
શોએબે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે લોકો એવું કહેતા કે "સર તેઓ અહીંથી ખાવાનું કેવી રીતે લઈ શકે."
શોએબ કહે છે, "એ જ હિંદુએ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં અમારી ટીમને જિતાડી. તે પાકિસ્તાન માટે વિકેટ લઈ રહ્યો છે તો તેને રમવું જ જોઈએ. કનેરિયાના કોશિશો લવગર અમે સિરીઝ ન જીતી શક્યા હોત પણ ઘણા લોકો આ જોતા નથી."
કર્ણાટક ભાજપે નાગરિકતા સંશોધન કાયદા સાથે જોડીને શોએબ અખ્તરના આ વીડિયોને ટ્વીટ કર્યો.
દાનિશ કનેરિયા તેમના મામા અનિલ દલપત બાદ પાકિસ્તાનની ટીમ તરફથી રમનારા બીજા હિંદુ ખેલાડી હતા.
તેમણે પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મૅચમાં 261 વકેટ લીધી. એ સિવાય 15 વન-ડે મૅચ પણ રમી ચૂક્યા છે.
તેમની પર સ્પૉટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો જેના પછી તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કૅરિયર લગભગ ખતમ થઈ ગઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો