ઇન્ડોનેશિયા : ઓવરટાઇમને કારણે 270 ચૂંટણી અધિકારીઓનાં મોત

ઇન્ડોનેશિયામાં મતગણતરી દરમિયાન 270 કર્મચારીઓનાં મૃત્યુ થયાં છે. આ મૃત્યુનું કારણ થાક અને કામનું ભારણ હોવાનું ગણાવાઈ છે.

ઇન્ડોનેશિયામાં ગત 17 એપ્રિલના રોજ બૅલેટપેપરથી મતદાન થયું હતું. આ ચૂંટણીના આયોજનમાં સાત લાખ કર્મચારીઓ રોકાયેલા છે.

ઇન્ડોનેશિયાના ચૂંટણીપંચના પ્રવક્તા આરીફ પ્રિયો સુસાન્તોએ કહ્યું કે 1,878 કર્મચારીઓ માંદા પડ્યા છે અને કામના ભારણને લઈને 272 કર્મચારીઓનાં મૃત્યુ થયાં છે.

22 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થવાનાં છે.

શ્રીલંકા હુમલાને પગલે એનઆઈની કેરળમાં તપાસ

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટને પગલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેરળમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે.

એનઆઈએ કાસરગોડ જિલ્લામાં બે સ્થળોએ અને પલક્કડ જિલ્લામાં એક સ્થળે દરોડા પાડ્યા છે.

કેરળ પોલીસના જણાવ્યા મુજબ એનઆઈએની ટીમે કથિત ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદી મૉડ્યુલ સાથે સંબંધિત ત્રણ લોકોને ત્યાં દરોડા પાડ્યા હતા.

આપને આ પણ વાચવું ગમશે

શ્રીલંકામાં માસ્ક પર પ્રતિબંધ

શ્રીલંકામાં આજથી કોઈ પણ પ્રકારનાં માસ્ક પહેરવા પર પ્રતિબંધ જાહેર થયો છે.

શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટોને પગલે હાલ શ્રીલંકામા કટોકટી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાની ઑફિસ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.

આ દરમિયાન શ્રીલંકા આત્મઘાતી હુમલાના શકમંદ ગણાતા જહરાન હાશિમના પિતા અને બે ભાઈઓ સુરક્ષાદળના ઑપરેશનમાં મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.

પોલીસના કહેવા પ્રમાણે હાશિમનાં માતાનું પણ મૃત્યુ થયું છે. અહેવાલ મુજબ હાશિમના પિતા અને ભાઈએ આત્મઘાતી હુમલામાં પોતાને ઉડાવી દીધા હતા.

હાશિમનું મૃત્યુ શ્રીલંકાની હોટલમાં થયેલા આત્મઘાતી હુમલામાં થયું હોવાનું શ્રીલંકાની સરકાર કહે છે.

ગુજરાતમાં હિટ વેવ

ગુજરાતમાં આકરી ગરમીની શરૂઆત થઈ છે અને તાપમાન 46 ડિગ્રીને પાર કરી ગયું છે એમ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.

સૌથી વધારે તાપમાન કંડલામાં 46.8 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 43થી 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાનખાતાએ આજે અને આવતીકાલે રાજ્યમાં હિટ વેવની આગાહી કરી લોકોને સાવધાન રહેવા ચેતવણી આપી છે.

આપને આ પણ વાચવું ગમશે

પ્રિયંકા ગાંધી વાડ્રા : મોદીની જાતિ મને નથી ખબર

કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીની જાતિ કઈ છે એના વિશે એમને આજ સુધી નથી ખબર.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર મુજબ એમણે રવિવારે અમેઠીમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે વિપક્ષે આવો મુદ્દો કદી નથી ઉપાડ્યો.

એમણે કહ્યું કે વિપક્ષ કૉંગ્રસ આવા મુદ્દાઓમાં નથી પડતી અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કૉંગ્રેસના નેતાઓ ચૂંટણીમાં ફકત વિકાસના મુદ્દે વાત કરે છે અને જનતાને જેની સાથે મતલબ છે એવા મુદ્દાઓ ઉઠાવે છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાનો આદર કરવો સૌથી મોટો રાષ્ટ્રવાદ છે. જનતાની સમસ્યા ઉકેલવી એ રાષ્ટ્રવાદ છે.

એમણે કહ્યું કે ચૂંટણીમાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય એમની પાર્ટીના મુદ્દા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો