શ્રીલંકામાં ફરી બૉમ્બ બ્લાસ્ટ, સાત લોકોની ધરપકડ અને સમગ્ર દેશમાં કર્ફ્યુ

શ્રીલંકાના પૂર્વે આવેલા અંબારઈમાં ત્રણ બ્લાસ્ટ થયા હોવાની માહિતી મળી રહી છે.

પોલીસ પ્રવક્તા કાર્યાલયનું કહેવું છે કે કેટલાક લોકોએ અંબારઈના સાઇંદમરદુમાં સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો છે.

પોલીસ અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે એક શંકાસ્પદ વ્યક્તિએ ઇમારતની અંદર બૉમ્બ વિસ્ફોટ કર્યો છે. જોકે, આ એક આત્મઘાતી હુમલો હતો એવી કોઈ જાણકારી હજી મળી નથી.

બીબીસી સિંહાલા સેવાના સહયોગી અઝ્ઝામ અમીને ટ્ટવીટ મારફતે જાણકારી આપી છે કે સાઇંદમરદુમાં સુરક્ષાદળ સાથે ગોળીબાર અને ધમાકાના અવાજ બાદ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

અમીન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સાઇંદમરદુમાં તપાસ અભિયાન દરમિયાન પોલીસે બૉમ્બ બનાવવાની સામગ્રી કબ્જે કરી છે.

પોલીસને ઘરમાંથી ઇસ્લામિક સ્ટેટનાં પોસ્ટર અને પોશાક પણ મળ્યાં છે. અમીન અનુસાર આ પોશાક ઇસ્લામિક સ્ટેટ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં દેખાતા લોકોએ પહેરેલા પોશાક જેવો છે.

આ મામલે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જોકે, અત્યાર સુધી કોઈ પણ જાનહાનીની માહિતી નથી. ઘટના બાદ શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આજે રાતના 10 વાગ્યાથી કાલે સવારના 4 વાગ્યા સુધી પોલીસે કર્ફ્યુ જાહેર કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે ગત રવિવારે શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં અંદાજે 253 લોકોનાં મૃત્યુ થયાં હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો