You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#Balakot હુમલો એ પાકિસ્તાન માટે કેટલો મોટો પડકાર છે?
- લેેખક, હારૂન રશિદ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતે 'સર્જિકલ સ્ટ્રાઈક' કરીને જોઈ લીધું હતું કે પાકિસ્તાન કેવી રીતે પ્રતિસાદ આપશે. એ સમયે એ હુમલો કદાચ નાનો અને સ્થાનિક સ્તર ઉપર હતો એટલે 'કંઈ નથી થયું'થી કામ ચાલી ગયું.
પરંતુ આ વખતે ભારતીય વિમાનોએ માત્ર વિવાદાસ્પદ કાશ્મીર જ નહીં, પરંતુ ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતના બાલાકોટ વિસ્તાર સુધી પહોંચી ગયા હતા.
બાલાકોટમાં કોઈ કૅમ્પનો નાશ થયો કે નહીં, તે બીજા નંબરની વાત છે, પરંતુ તેની મૂળ ચિંતા એ છે કે 'દુશ્મન'ના વિમાન દેશની હવાઈ સરહદોની અંદર ઘૂસી આવ્યા.
વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર માટે આ મુદ્દો કેટલો મોટો પડકાર છે અને પાકિસ્તાન તેને કેવી રીતે પહોંચી વળશે? હવે પાકિસ્તાન પાસે કયા-કયા વિકલ્પ છે?
છેલ્લા એક દાયકા દરમિયાન પાકિસ્તાનની હવાઈસીમાનો પ્રથમ વખત ભંગ નથી થયો. પાકિસ્તાનનું કહેવું છે કે સરહદ પાર કરવી એટલે લાલ લીટી પાર કરવી. પાકિસ્તાન વારંવાર ધમકી આપતું રહે છે, પરંતુ અમેરિકાની સેનાએ એ બે વખત આ બાબતનું જરા પણ ધ્યાન નથી રાખ્યું.
પાકિસ્તાનની પશ્ચિમી સરહદ ઉપર મહંમદ ઍજન્સીમાં અમેરિકાના હેલિકૉપ્ટરોએ પાકિસ્તાની ચોકી ઉપર હુમલો કરીને તેના 11 સિપાહીઓની હત્યા કરી નાખી હતી.
જેને લઈને અમેરિકાએ માફી ના માગી ત્યાં સુધી પાકિસ્તાને નાટો સૈન્ય માટે અફઘાનિસ્તાન મોકલાવાઈ રહેલા હથિયાર અને રાશનનો પુરવઠો અટકાવી દીધો હતો.
પરંતુ ભારતના મુદ્દે સ્થિતિ થોડી અલગ છે. આજે પણ પાકિસ્તાનની સેના ભારતને તેનો પહેલા નંબરનું દુશ્મન ગણે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવી ધારણા છે કે આટલા મોટા સ્તરનો હુમલો બિલકુલ અવગણવામાં નહીં આવે. પશ્ચિમ બાદ પૂર્વમાં પણ હવાઈ સરહદનો ભંગ થાય તે પાકિસ્તાન પચાવી નહીં શકે.
સિબ્તે અલી સબાએ કહ્યું છે તેમસ
દીવાર ક્યા ગિરી મેરે ખસ્તા મકાન કી
લોગોને મેરે સેહન મે રસ્તા બના લિયા
કદાચ ઈમરાન ખાનની સરકાર પાસે આ જ એ સમય છે કે જ્યારે તે દુનિયાને દેખાડે કે પાકિસ્તાન એવો દેશ છે કે જેની કોઈ ઇજ્જત છે.
આ મુદ્દો એક દેશ કરતાં વધુ પાકિસ્તાની સેનાની ઇજ્જતનો પણ છે.
પાકિસ્તાનની સરકારે આપેલું નિવેદન 'જવાબ આપવાનો અધિકાર ધરાવીએ છીએ અને અપની પસંદગીના સમયે તથા સ્થળે જવાબ આપીશું.' ચિંતા જન્માવે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જાણકારોનું માનવું છે કે પાકિસ્તાની સેના ચોક્કસપણે તેનો જવાબ આપશે. તે કાશ્મીરમાં હશે કે અન્યત્ર ક્યાંય, તે અંગે ચોક્કસપણે કશું ન કહી શકાય. ચોક્કસપણે તેની તૈયારી શરૂ થઈ ગઈ હશે.
'નેશનલ કમાન્ડ ઑથોરિટી' પાકિસ્તાનના પરમાણુ હથિયારોની વ્યવસ્થા સંભાળે છે. ત્યારે તેની બેઠક બોલાવી એ ખૂબ જ ખતરનાક બાબત માની શકાય.
યુદ્ધ વિરોધીઓનું માનવું છે કે ઈમરાન ખાન તેમની બીજી કોઈ વિખ્યાત વાત ઉપર યૂ-ટર્ન લે કે ન લે, પરંતુ યુદ્ધ મુદ્દે ચોક્કસથી લઈ લે. તેમનું માનવું છે કે આ કાંઈ પિકનિક નથી કે જેને મન પડે તે આવી જાય.
એ વાત અલગ છે કે પાકિસ્તાને તેમને બંધ ગલીમાં ઘેરી લીધા છે. હવે ઈમરાન ખાને નિર્ણય કરવાનો છે કે 'પ્લે ટૂ ગૅલેરી' કરવું કે વધુ પરિપક્વ નીતિ અખત્યાર કરવી.
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આશિફ ગફૂરે કહી દીધું છે કે 'ચોક્કસપણે જવાબ આપવામાં આવશે અને તે અલગ હશે.'
યુદ્ધની રણનીતિ ઉપરાંત ઈમરાન ખાને ડિપ્લોમેટિક સ્તરે પણ સક્રિય પ્રયાસો કરવાની જાહેરાત કરી છે. વિશ્વના નેતાઓને ભારતની 'બેજવાબદાર' નીતિ અંગે સાવચેત કરવામાં આવશે. તે સારી વ્યૂહરચના હોય શકે છે.
જોકે, બાલાકોટમાં કાર્યવાહી કરતાં પહેલાં ભારતે કેટલા વૈશ્વિક નેતાઓને વિશ્વાસમાં લીધા હતા, તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. જો આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સહમતિ હોય તો પાકિસ્તાન પાસે એકમાત્ર ચીનનો વિકલ્પ રહે છે, જેની પાસેથી તે સમર્થનની આશા રાખી શકે.
જોકે, સામાન્ય માન્યતા તો એવી છે કે સૈન્ય કાર્યવાહીની ટીકા કરતું પરંપરાગત નિવેદન બધાય આપે.
લાંબા સમયથી ભારત દ્વારા પાકિસ્તાનને ડિપ્લોમેટિક સ્તરે અલગ પાડી દેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
ઈમરાન ખાન સિવાય કેટલાક લોકોના મનમાં એ સવાલ છે કે 'બાજવા સિદ્ધાંત'નું શું થશે? આ સિદ્ધાંત મુજબ પાકિસ્તાનની સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાને સ્થાનિક શાંતિના સમર્થક જાહેર કરવામાં આવ્યા છે.
આ નીતિ મુજબ ભારત સાથેના તમામ મુદ્દાઓને કોરાણે મૂકીને સારા સંબંધ સ્થાપિત કરવા પ્રયાસ કરશે, ત્યારે હવે શું બાજવાનો સિદ્ધાંત ભૂતકાળની વાત બની જશે?
યુદ્ધ અને કૂટનીતિક મામલે જે કાંઈ થાય, ઈમરાન ખાન અને જનતાની ખરી ચિંતા પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિની છે. શું યુદ્ધના આ ઝનૂનને કારણે અર્થવ્યવસ્થા વધુ કથળી જાય તો ઇમરાન ખાન પાસે શું વિકલ્પ રહેશે?
શું પાકિસ્તાન યુદ્ધનો ભાર સહન કરી શકે તેમ છે? પાકિસ્તાની સંસદમાં તમામ રાજકીય પક્ષોએ સરકારને નક્કર સમર્થન આપવાની વાતનો પુનર્રોચ્ચાર કર્યો છે.
બંને તરફથી જે પ્રકારના નિવેદન આવ્યા છે, તેને જોતાં લાગતું નથી કે સ્થિતિ વહેલી તકે સુધરે, પરંતુ દુનિયાના શક્તિશાળી દેશોનું મૌન નથી સમજાતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો