ભારત-ઑસ્ટ્રેલિયા : ભારતની 34 રને હાર, છ બૅટ્સમેન ડબલ ફિગર સુધી પણ ન પહોંચ્યા

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત શર્માએ 129 બૉલમાં 133 રન કર્યા હતા
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં યજમાન ટીમ સામે ભારતનો 34 રને પરાજય થયો છે.

ભારત તરફથી રોહિત શર્મા અને ધોની માત્ર બે બૅટ્સમેન હતા જેમણે ભારત માટે સન્માનજનક પાર્ટનરશિપ કરી હતી.

રોહિત શર્માએ ઑપનિંગમાં આવ્યા બાદ અંત સુધી લડત આપતા સદી કરી હતી. તેમણે 129 બૉલમાં 133 રન કર્યા હતા.

જ્યારે ધોનીએ ભારતની ફટાફટ પડતી વિકેટ્સની વચ્ચે થોડી સ્થિરતા આપતા 51 રન કર્યા હતા.

આ સિવાય ભારતના કોઈ બૅટ્સમેન વધારે રન કરી શક્યા ન હતા. ભારતના કુલ 6 બૅટ્સમેન તો ડબલ આંક સુધી પણ પહોંચી શક્યા ન હતા.

ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરતાં મહેમાન ટીમે ભારત સામે જીતવા માટે 289 રનનું લક્ષ્યાંક મૂક્યું હતું.

ભારતીય ટીમ 50 ઑવરમાં 9 વિકેટના ભોગે 254 રન બનાવી શકી હતી.

ઑસ્ટ્રેલિયાની ટીમના ખેલાડી

ઇમેજ સ્રોત, EPA

ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન એરોન ફિચે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી.

પ્રથમ બૅટિંગમાં ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમમાં ઉસ્માન ખ્વાજાએ 59, શોન માર્સે 54, પીટર હેન્ડ્સકોમ્બે 73 અને માર્કેસ સ્ટોનિસે 47 રન કર્યા હતા.

જેમાં કુલ 50 ઑવરમાં ઑસ્ટ્રેલિયન ટીમ 288 રન બનાવી શકી હતી.

ભારત તરફથી ભૂવનેશ્વર કુમારે 2, કુલદીપ યાદવે 2 અને જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

બીજા દાવમાં ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી.

ભારતના ઑપનર રોહિત શર્માએ એક છેડો સાચવી રાખ્યો હતો પરંતુ સામે બાજુ શિખર ધવન એક બૉલમાં 0 રન પર આઉટ થઈ ગયા હતા.

તેના બાદ આવેલા કપ્તાન કોહલીએ આઠ બૉલમાં માત્ર 3 રન અને તેના બાદ અંબાતી રાયડુ બે બૉલમાં 0 રનમાં પૅવેલિયન ભેગા થઈ ગયા હતા.

રાયડુ બાદ ધોનીએ બાજી સંભાળી અને 51 રન કર્યા હતા તેમણે રોહિત શર્મા સાથે મળીને ભારતને જીતની આશા બંધાવી હતી.

ધોનીના આઉટ થયા બાદ ફરી ભારતીય ટીમના બૅટ્સમેન પૅવેલિયન ભેગા થવાની શરૂઆત થઈ ગઈ હતી.

દિનેશ કાર્તિકે 12 અને રવિન્દ્ર જાડેજા 8 રનમાં આઉટ થઈ ગયા હતા.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

પંડ્યા-રાહુલની હકાલપટ્ટી

હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઑફ ઇંડિયા (બીસીસીઆઈ)એ ભારતીય ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા તથા કેએલ રાહુલને તાત્કાલિક અસરથી ભારત પરત બોલાવી લીધા છે.

કૉફી વિથ કરણ જોહરના કાર્યક્રમ દરમિયાન બંને ક્રિકેટર્સે મહિલાઓ અંગે જે વાતો કરી હતી તેન ગેરશિસ્ત તથા દુર્વ્યવહાર માની તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

જ્યાર સુધી તપાસ પૂર્ણ ન થાય, ત્યાર સુધી તેઓ ક્રિકેટ નહીં રમી શકે. ઉપરાંત બીસીસીઆઈ, આઈસીસી કે સ્ટેટ એસોસિયેશનના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે.

પંડ્યા પોતાના નિવેદન અંગે માફી માગી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો