બોટાદ : 'હવે હું મારી બે દીકરીઓને લઈને ક્યાં જાઉં?' લઠ્ઠાકાંડને કારણે જ્યાં ઘરેઘરે માતમ છે

બોટાદ ગુજરાત લઠ્ઠાકાંડ
ઇમેજ કૅપ્શન, પતિ ગુમાવનારા મહિલા

"મારી તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ. મારી આ બે છોકરીઓ છે, હવે હું તેમને લઈને ક્યાં જાઉં?"

બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં રહેતાં મહિલાએ રડતાં-રડતાં આ વાત કહી હતી. તેમની બાજુમાં જ બેસેલી તેમની બે પુત્રીઓને ખ્યાલ પણ નહોતો કે તેમના પિતા હવે પાછા ઘરે નહીં આવે.

રવિવારે રાત્રે કથિત રીતે ઝેરી દારૂ પીધા બાદ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વિવિધ ગામોમાં 28 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે.

બોટાદના બરવાળા તાલુકામાં આવેલા રોજિદ ગામમાં સોમવારે 11 લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં મોટાભાગના લોકો યુવાન હોવાનું જણાવાયું છે.

મહિલા કહે છે કે રવિવારે સાંજે છ વાગ્યાની આસપાસ દારૂ પીધા બાદ તેમના પતિ સૂઈ ગયા હતા. રાત્રે પતિની તબિયત બગડી હતી પરંતુ તે નશામાં નાટક કરતા હોય તેમ લાગતા ગણકાર્યું ન હતું. બીજા દિવસે સવારે તેમના પતિ કામ પર ગયા બાદ તેમને આંખોમાં બળતરા અને ઊલટીઓ થવાનું શરૂ થયું હતું.

અને છેલ્લે તેમનાં મૃત્યુના સમાચાર આવ્યા હતા.

line

કેવી છે રોજિદ ગામમાં હાલની પરિસ્થિતિ?

બોટાદ ગુજરાત લઠ્ઠાકાંડ

સ્ટેટ હાઈવે નં-36ને અડીને આવેલું રોજિદ ગામ બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકામથકથી ચાર કિલોમીટર દૂર છે. અહીંની વસતી આશરે પાંચ હજાર જેટલી છે.

અહીંના લોકો મુખ્યત્વે ખેતી પર નભે છે. સ્થાનિકોનો આરોપ છે કે રોજિદ અને આસપાસનાં ગામોમાં દેશી દારૂનો મોટાપાયે વેપલો થતો હોય છે અને તેમણે અગાઉ પણ આ અંગે સ્થાનિકથી રાજ્યકક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે.

બીબીસીના સહયોગી પત્રકાર સચીન પિઠવા મંગળવારે સવારથી રોજિદ ગામમાં હાજર છે. તેમણે ત્યાંની પરિસ્થિતિ વિશે જણાવ્યું, "અહીં સવારથી માત્ર બે જ અવાજ સંભળાઈ રહ્યા છે. એક, ઍમ્બ્યુલન્સનો અને બીજો, લોકોના રડવાનો."

બોટાદ ગુજરાત લઠ્ઠાકાંડ
ઇમેજ કૅપ્શન, ગામમાં શોકાતુર મહિલાઓ

તેમણે આગળ કહ્યું,"ગામમાં ઠેરઠેર પોલીસનો કાફલો તહેનાત છે. ગામની બહાર ઍમ્બ્યુલન્સ સ્ટૅન્ડ બાય પર રાખવામાં આવી છે. ગામમાં પણ જે લોકો નજરે પડી રહ્યા છે, એ તમામ લોકો શોકાતુર છે. કોઈકે પોતાનો ભાઈ ગુમાવ્યો છે, તો કોઈકે પોતાનો પતિ કે પુત્ર ગુમાવ્યો છે."

"ગામ હાલ સજ્જડ બંધ છે. અહીં આસપાસનાં ગામોમાંથી લોકોના સ્વજનો આવી રહ્યા છે. આખું ગામ શોકમાં છે. નાનકડું ગામ હોવાથી મૃતકોને લગભગ બધા જ ઓળખતા હતા. સવારથી ગામનાં સ્મશાનમાં મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે."

"આજે સવારે જ એક ટ્રૅક્ટરમાં એકસાથે પાંચ મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા. સ્મશાનમાં આ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે પૂરતી જગ્યા ન હોવાથી ગ્રામજનોએ સ્મશાનની બહાર જ અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા."

line

'રોજિદમાં તો દારૂ વેચાતો જ નથી'

બોટાદ ગુજરાત લઠ્ઠાકાંડ
ઇમેજ કૅપ્શન, ગામના સરપંચ જિગર ડુંગરાણી

રોજિદ ગામના સરપંચ જિગર ડુંગરાણીએ બીબીસી સાથેની વાતમાં જણાવ્યું કે ગામના 33 દર્દીઓ હાલમાં ભાવનગરની સર ટી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.

તેમણે આગળ કહ્યું, "આ પહેલાં ભૂતકાળમાં પણ મેં એસપી અને પીએસઆઈને લેખિતમાં આ અંગે રજૂઆતો અને ફરિયાદો કરી પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં."

ધારાસભ્ય રાજુ ગોહિલે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમણે પણ આ અંગે રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરી છે. તેમણે કહ્યું, "મે મહિનામાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઊઠાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું."

ઉલ્લેખનીય છે કે સરપંચ અને ધારાસભ્ય બંનેએ આ મુદ્દાને લઈને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં દારૂની ભઠ્ઠીઓ અને વેચનારાઓનું દૂષણ દૂર થયું ન હતું.

બોટાદ ગુજરાત લઠ્ઠાકાંડ

ગામનાં એક મહિલાએ બીબીસી સંવાદદાતા રૉક્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ગામમાં સૌથી મોટી સમસ્યા દારૂ અને જુગારની છે. જે બંધ થવી જ જોઈએ."

તેમણે કહ્યું,"અમે લોકો પણ ઘણી વખત પોલીસને ફરિયાદ કરવા ગયા. પણ પોલીસ એમ કહે છે કે રોજિદમાં તો દારૂ વેચાતો જ નથી."

અન્ય એક મહિલાએ કહ્યું, "મારો ખુદનો દીકરો પુષ્કળ દારૂ પીતો હતો. તેણે પત્ની, બાળકો અને પરિવાર બધું જ છોડી દીધું હતું."

"ઘરમાંથી બધા ના પાડતા તો ઝઘડવા લાગતો હતો. જેથી મેં દારૂ વેચનારી મહિલાને જઈને કહ્યું હતું. તેમ છતાં પણ કંઈ સુધર્યું નહીં."

ઈલાબહેન નામનાં એક મહિલા કહે છે, "અહીં સામસામે બે ઘરોમાં જુવાનજોધ છોકરા જતા રહ્યા છે. બંને પરણેલા હતા, બંનેને સંતાનો હતા. એ લોકો તો દારૂ પીવામાં જતા રહ્યા પણ હવે તેમના પરિવારનું શું?"

લાઇન

ટૂંકમાં : રોજીદ ગામ વિશે

લાઇન
  • બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકામથકથી ચાર કિલોમીટર દૂર આવેલું ગામ છે
  • રોજિદ ગામમાં રવિવારે કથિત રીતે ઝેરી દેશી દારૂ પીધા બાદ લોકો બીમાર પડ્યા
  • રોજિદ ગામમાં જ 11 લોકોનાં મૃત્યુ, અંતિમ સંસ્કાર માટે ચિંતાઓ પણ ખૂટી
  • 40થી વધુ લોકો અસરગ્રસ્ત, તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા
  • પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી, ATS અને ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ
લાઇન

પોલીસનું શું કહેવું છે?

બોટાદ ગુજરાત લઠ્ઠાકાંડ

ઇમેજ સ્રોત, FACEBOOK/AHMEDABAD POLICE

ઇમેજ કૅપ્શન, ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયા

ગુજરાતમાં લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટીયાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પોલીસ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.

તેમણે પોલીસ કાર્યવાહી અને બનાવ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, "અમદાવાદ રૂરલના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બનાવના સ્થળે પહોંચ્યા હતા જે દરમિયાન તેમને જાણકારી મળી હતી કે જે લોકોની તબિયત ખરાબ છે તેઓ કોઈ કેમિકલની અસરમાં હતા."

"આ સમગ્ર બનાવની તપાસ કરતાં જણાયું છે કે બોટાદ જિલ્લાનાં અમુક ગામડાંમાં ખાસ કરીને રોજીંદ અને ચોકડી ગામમાં આ બનાવની અસર જોવા મળી છે."

તેઓ કેસની તપાસ અંગે વિગતો જણાવતાં કહે છે કે, "આ બાબતની જાણ થતાં બોટાદ એસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ અને ભાવનગર રૅન્જ આઈજીને પણ મોકલવામાં આવ્યા હતા."

અત્યાર સુધીની પરિસ્થિતિ અંગે વાત કરતાં ડીજીપી આશિષ ભાટીયા કહે છે કે, "બનાવ માટે જવાબદાર આરોપીઓને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં રાઉન્ડ અપ કરી લેવાયા છે."

"ઘટના માટે જવાબદાર કેમિકલ મિથાઇલ આલ્કોહૉલ પણ કબજે કરાયો છે. ભોગ બનેલા લોકોના લોહીના નમૂનાની તપાસ કરતાં પણ મિથાઇલ આલ્કોહૉલની હાજરી જણાઈ આવી છે."

વીડિયો કૅપ્શન, ગુજરાત લઠ્ઠા કાંડ : લોકો ગુસ્સામાં પોલીસ અને સરકાર વિશે શું બોલ્યા?

ડીજીપી આશિષ ભાટીયા જણાવે છે કે, "નારોલ ખાતેની એક કંપનીમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટે લવાયેલ મિથાઇલ આલ્કોહૉલના બૅરલમાંથી જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ જે ત્યાં જ કામ કરતી હતી, કેમિકલ ચોર્યો હતો. જયેશે 22 જુલાઈના રોજ નાભોઈ ગામના સંજયને તગડી ફાટક પાસે 600 લિટર ચોરીનો મિથાઇલ આલ્કોહૉલ સપ્લાય કર્યો હતો."

જયેશે વિનોદ દેખુ ઉર્ફે ફાંટો, પિન્ટુ અને અજિત દિલીપ નામની વ્યક્તિને આ પ્રવાહી આગળ વેચ્યો હતો.

પિન્ટુએ 200 લિટર આગળ વહેંચ્યો. પિન્ટુએ આ કેમિકલ આગળ વહીયા ગામના બવાન નારાયણ, વલ્લભ, રાણપરી ગામના જટુભા, રોજિંદ ગામનાં ગજુબહેન અને વિપુલ વિનુને આપ્યો હતો.

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "મિથાઇલ આલ્કોહૉલ એ ઔદ્યોગિક વપરાશ માટેનું સૉલ્વન્ટ છે, આનું વેચાણ આગળ લોકો સુધી થતાં તેની માઠી અસર થઈ અને બોટાદના 22 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના છ લોકોનાં અત્યાર સુધી મૃત્યુ થયાં છે. આ સિવાય બે લોકોનાં મૃત્યુ શંકાસ્પદ છે."

આશિષ ભાટીયાએ હાલમાં દર્દીઓની હાલત અંગે વાત કરતાં કહ્યું હતું કે, "આ કેમિકલ પીનાર લોકો પૈકી મોટા ભાગના લોકો ભાવનગર અને અમદાવાદમાં સારવાર હેઠળ છે જે પૈકી મોટા ભાગનાની હાલત સારી છે. તેમને યોગ્ય સારવાર અપાઈ રહી છે."

line

'લોકોને ખબર છે આ દારૂના પૈસા ક્યાં જાય છે'

બોટાદ ગુજરાત લઠ્ઠાકાંડ

ઇમેજ સ્રોત, FACEBOOK/@AAPGUJARAT

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેમણે આ ઘટનાને લઈને સરકાર પર નિશાન તાક્યું હતું.

તેમણે કહ્યું, "ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આ રીતે દારૂ પીવાથી લોકોનાં મૃત્યુ થાય છે. લોકોને ખબર છે કે આ દારૂના પૈસા ક્યાં જાય છે. જો અમારી સરકાર આવશે તો અમે દારૂબંધીનો ચુસ્ત અમલ કરીશું."

કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ ધ હિંદુને જણાવ્યું, "બૂટલેગરો અને પોલીસની સાઠગાંઠથી બેફામ દારૂ વેચાઈ રહ્યો છે અને આવા લોકોને ભાજપ દ્વારા છાવરવામાં આવે છે. પોલીસ રૅગ્યુલર તેમની પાસેથી હપ્તા લે છે."

આ મામલે સંડોવાયેલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરતા ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું, "ગુજરાતમાં દરરોજ સરકારના સંરક્ષણમાં કરોડો રૂપિયાનો ગેરકાયદે દારૂ પિવાય છે. સરકાર દારૂબંધી પર સર્ક્યુલર બહાર પાડવામાં વ્યસ્ત છે અને અસામાજિક તત્ત્વો મુક્તપણે દારૂ વેચવામાં."

"બૂટલેગિંગમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ સરકાર કડક પગલાં ભરે અને દારૂબંધીનો કડકડાઈથી અમલ કરે એવી અમારી માગ છે."

જ્યારે ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું, "સરકારે દારૂબંધીનું કડક પાલન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હું સરકારને વિનંતી કરું છું કે દારૂબંધીના કડક પાલન અને ગેરકાયદેસર દારૂવેચાણને લઈને ચુસ્ત કાયદો બનાવે અને તે પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં..."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન