You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભારતમાં ગરીબો સપનાં જોઈ શકે છે અને પૂરાં પણ કરી શકે', રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ લીધા બાદ શું કહ્યું?
દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે તેમનું ચૂંટાઈને આ પદ સુધી પહોંચવું એ સાબિતી છે કે દેશમાં ગરીબ લોકો મોટું સપનું જોઈ શકે છે અને પૂરું પણ કરી શકે છે.
દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌપ્રથમ દેશવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, "હું રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી એક મહત્ત્વપૂર્ણ સમયે શરૂ કરી રહી છું જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આજથી થોડાક દિવસોમાં જ દેશ આઝાદીનાં 75 વર્ષ પૂરાં કરશે."
તેમણે કહ્યું, "હું દેશની આઝાદી બાદ જન્મ લેનારી પ્રથમ રાષ્ટ્રપતિ છું."
નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે ભારતના રાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કર્યા છે. એ સાથે જ તેઓ દેશનાં 15મા રાષ્ટ્રપતિ બન્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય અનુસાર રાષ્ટ્રપતિપદ માટેનો શપથસમારોહ આજે સવારે 10:15 વાગ્યે સંસદના સૅન્ટ્રલ હૉલમાં શરૂ થયો.
દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્ના દ્રોપદી મુર્મૂને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા. એ બાદ નવાં રાષ્ટ્રપતિએ દેશને સંબોધ્યો.
'મારું ચૂંટાઈને આવવું ગરીબો માટે આશીર્વાદ'
રાષ્ટ્રપતિએ કહ્યું, "મેં મારી જીવનયાત્રા ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી શરૂ કરી. હું જ્યાંથી આવું છું, ત્યાં મારા માટે પ્રાથમિક શિક્ષણ મેળવવું પણ એક સપના સમાન હતું પણ અનેક પડકારો સામે મારો સંકલ્પ દૃઢ રહ્યો અને હું ગામમાંથી કૉલેજ જનારી પ્રથમ પુત્રી બની."
સાંસદથી રાષ્ટ્રપતિ સુધીની પોતાની કારકિર્દી વિશે તેમણે કહ્યું, "આ આપણા લોકતંત્રની શક્તિ જ છે કે ભારતમાં ગરીબ લોકો સપનાં જોઈ પણ શકે છે અને તેને પૂરાં પણ કરી શકે છે. મારું ચૂંટાઈને આવવું દેશના ગરીબો માટે આશીર્વાદ સમાન છે. દેશની કરોડો મહિલાઓ અને પુત્રીઓના સામર્થ્યની ઝલક છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાષણના અંતમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું, "જગતકલ્યાણની ભાવના સાથે હું આપ સૌનાં વિશ્વાસ મુજબ નિષ્ઠાપૂર્વક કામ કરવા તત્પર રહીશ."
સંથાલ જનજાતિ વિશે તેમણે કહ્યું, "સંથાલ ક્રાંતિ, પાઇકા ક્રાંથી લઈને કોલ ક્રાંતિ અને ભીલ ક્રાંતિએ સ્વતંત્રતાસંગ્રામમાં આદિવાસી યોગદાનને સશક્ત કર્યું હતું." આ સાથે તેમણે કહ્યું હતું કે 'ધરતી આબા' બિરસા મુંડાના બલિદાનથી આપણને પ્રેરણા મળે છે.
ભારે અંતરથી યશવંત સિન્હાને હરાવ્યા
આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા, મંત્રીપરિષદના સભ્યો, રાજ્યપાલઓ, મુખ્ય મંત્રીઓ, રાજકીય મિશનોના પ્રમુખો, સંસદસભ્યો અને સરકારના પ્રમુખ અસૈન્ય અને સૈન્ય અધિકારીઓ હાજર છે.
એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિપક્ષી દળોના ઉમેદવાર યશવંત સિન્હાને ભારે અંતરથી હરાવ્યા હતા.
ઝારખંડનાં રાજ્યપાલ રહી ચૂકેલાં મુર્મૂએ આ ચૂંટણીમાં 2,824 મત હાંસલ કર્યા હતા, જેનું મૂલ્ય 6,76,803 રહ્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે કોઈ ઉમેદવારને 5,28,491 મૂલ્યનો કોટા હાંસલ કરવો જરૂરી હતો.
તેમના હરીફ ઉમેદવાર યશવંત સિન્હાને 1,877 મત મળ્યા હતા, જેનું મૂલ્ય 3,80,177 થયું હતું.
ભારતને આઝાદીનાં 75 વર્ષ બાદ દ્રૌપદી મુર્મૂના રૂપમાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યાં છે. તેઓ સંથાલ સમુદાયમાંથી આવે છે. સેવાનિવૃતિ બાદ તેઓ પોતાના ગૃહરાજ્ય ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં રહેતાં હતાં.
ભીલ અને ગોંડ પછી આદિવાસીઓની સૌથી વધુ વસ્તી સંથાલ જાતિની છે.
2011ની વસ્તીગણતરી મુજબ, ભારતમાં સાડા આઠ ટકાથી થોડી વધુ વસ્તી આદિવાસી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો