હિંમતનગર અને ખંભાતમાં રામનવમીએ અથડામણ, શું-શું થયું?

ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના ખંભાત ખાતે રામનવમી નિમિત્તે નીકળેલી રેલીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા માહોલ તંગ બન્યો છે. રાત્રે 11.30 વાગ્યે આ મામલે ગૃહમંત્રીએ બેઠક બોલાવી હતી.

બે જૂથો વચ્ચે પથ્થરમારો, ટાયર-વાહનો સળગાવવાં અને અન્ય હિંસક ઘટનાઓ બની હતી. તેમજ પરિસ્થિતિ પર સ્થાનિક પોલીસે સમયસર પહોંચી કાબૂ મેળવ્યો હતો. જોકે, ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ સંદર્ભે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા રાત્રે 11.30 વાગ્યે બેઠક બોલાવાઈ હતી, જેમાં રાજ્યના ડીજીપી , રૅન્જ આઈજી, ગાંધીનગર રૅન્જ આઈજી, અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તથા એસઆરપી રૅપિડ ઍક્શન ફૉર્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આ ઘટના બની હતી.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગૅસ સેલ છોડવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. બંને તરફથી તીવ્ર પથ્થરમારો થતાં સ્થાનિક પોલીસે અન્ય તાલુકા અને જિલ્લાની પોલીસની મદદ લેવી પડી હતી.

હિંમતનગરમાં બનેલી ઘટનામાં અમુક સ્થળોએ આગચંપી કરાઈ હોવાની જાણકારી મળી છે. રસ્તાઓ પર લોકોનાં ટોળાં પણ જોવાં મળી રહ્યાં હતાં.

હિંમતનગરમાં શું થયું?

સાબરકાંઠાના એસ. પી. વિશાલ વાઘેલાએ આ સમગ્ર ઘટના અંગે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે, "રામજીમંદિરથી રામનવમી નિમિત્તે રેલી નીકળી હતી. છાપરિયા વિસ્તારમાંથી પસાર થતી વખતે રેલીમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં આગચંપી અને પથ્થરમારો થતાં પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટિયરગૅસના ત્રણ સેલ છોડ્યા હતા."

"આ સમગ્ર ઘટનામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે, પરંતુ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે."

તો આણંદ જિલ્લાના ખંભાતમાં પણ રામનવમીની શોભાયાત્રામાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં હિંસા, આગચંપી અને પથ્થરમારો થયો હતો.

આણંદમાં શું થયું?

આણંદના એસપી અજિત રાજીયાએ બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, "રામનવમીની શોભાયાત્રા નીકળી તે સમયે ખંભાતના સક્કરપુર વિસ્તારમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં આગચંપી અને પથ્થરમારો થતાં પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે."

પોલીસે જણાવ્યા અનુસાર, હાલ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.

હિંમતનગરમાં થયેલા ઘર્ષણને કાબૂ લેવા અરવલ્લી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ છે. તો ખંભાતમાં સ્થિતિ પર કાબૂ મેળવવા નડિયાદ પોલીસની મદદ લેવાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો