અનિલ દેશમુખ: ધરપકડ બાદ છ નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલાયા

હવાલાના આરોપોમાં ફસાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની 12 કલાકથી વધુ પૂછપરછ બાદ ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તેમની સોમવારે અડધી રાતે ધરપકડ કરી લીધી.

અનિલ દેશમુખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેમને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે તારીખ છ નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

પહેલાં અનિલ દેશમુખના વકીલ ઇંદ્રપાલસિંહએ કહ્યું હતું કે, "અમે આ મામલે તપાસમાં સહયોગ કર્યો. કોર્ટમાં જ્યારે તેમને રજૂ કરવામાં આવશે ત્યારે અમે તેના રિમાન્ડનો વિરોધ કરીશું."

જો કે કોર્ટે ઈડીને અનિલ દેશમુખની કસ્ટડી આપી હતી

મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અનિલ દેશમુખની અરજીને માન્ય રાખીને તેમને કસ્ટડીમાં ઘરનું ભોજન અને દવા આપવાની મંજૂરી આપી છે. ઈડી દ્વારા અનિલ દેશમુખની પૂછપરછ દરમિયાન તેમના વકીલ પણ હાજર રહી શકશે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે દેશમુખ પર પોલીસ અધિકારી થકી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો હતો.

એ બાદ બૉમ્બે હાઈકોર્ટે તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા અને તેમને મહારાષ્ટ્રના ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું.

દેશમુખની PMLA ઍક્ટના સૅક્શન 19 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.

દેશમુખ ઉપરાંત તેમના બે અંગત મદદનીશ સંજય પલાંદે અને કંદુન શિંદેની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

અનિલ દેશમુખે વીડિયો જાહેર કરીને શું કહ્યું?

ઈડી દ્વારા દેશમુખને પૂછપરછ માટે કેટલીય વખત સમન્સ પાઠવામાં આવ્યા હતા. તેઓ હાઈકોર્ટનાં દ્વાર પણ ખખડાવી ચૂક્યા છે. જોકે, હાઈકોર્ટ તેમને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

સોમવારે ઈડી સમક્ષ રજૂ થતાં પહેલાં પોતાના ટ્વિટર હૅન્ડલ પર દેશમુખે એક પત્ર અને વીડિયો જાહેર કર્યા હતા.

વીડિયોમાં હાઈકોર્ટે તેમને બંધારણીય અધિકાર અનુસાર વિશેષ કોર્ટમાં જવાની સ્વતંત્રતા આપી હોવાની વાત કરી હતી.

આ વીડિયોમાં દેશમુખે સવાલ કર્યા હતા કે 'જે પરમબીરસિંહની ફરિયાદ પર તપાસ કરાઈ રહી છે એ પોતે ક્યાં છે? સાંભળવા મળી રહ્યું છે કે તેઓ તો વિદેશ જતા રહ્યા છે.'

અનિલ દેશમુખના કેસનો સમગ્ર ઘટનાક્રમ

21 માર્ચે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મુખ્ય મંત્રીને પત્ર લખ્યો

5 એપ્રિલે અનિલ દેશમુખે રાજીનામું આપ્યું

10 મેએ ઈડીએ હવાલાનો કેસ દાખલ કર્યો

26 જૂને અનિલ દેશમુખને સમન્સ પાઠવાયો

29 જૂને બીજો સમન્સ

5 જુલાઈએ ત્રીજો સમન્સ

16 જુલાઈએ ચોથો સમન્સ

17 ઑગસ્ટે પાંચમો સમન્સ

2 સપ્ટેમ્બરે અનિલ દેશમુખે બૉમ્બે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા

29 ઑક્ટોબરે સમન્સ રદ કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી

1 નવેમ્બેરે ઈડી સમક્ષ દેશમુખ રજૂ થયા

2 નવેમ્બરે ઈડીએ દેશમુખની ધરપકડ કરી

ભાજપની પ્રતિક્રિયા

અનિલ દેશમુખની ધરપકડને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી ગરમાવો આવી ગયો છે.

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે, "અંતે અનિલ દેશમુખને ED સમક્ષ રજૂ થવું જ પડ્યું. 100 કરોડનો હિસાબ આપવા માટે 100 દિવસ તો EDની કસ્ટડીમાં રહેવું જ પડશે! વસૂલીમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારનો કેટલો ભાગ હતો એનો હિસાબ આપવો જ પડશે. પહેલાં જિતેન્દ્ર આવ્હાડ, હવે અનિલ દેશમુખ અને ત્રીજો નંબર અનિલ પરબનો."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો