'ગુલાબ'ની અસરથી ભારે વરસાદ, ગુજરાતના માથે 'શાહીન' વાવાઝોડાનો ખતરો?

હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અનેક -નદીઓમાં પૂર આવ્યાં છે.

હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત પર રહેલી ગુલાબ વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાત પાસેના દરિયામાં તે વાવાઝોડાનું સ્વરૂપ લેશે.

હવામાન વિભાગે ગુજરાતના ચાર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યારે દસ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરી છે.

જે જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે એ જિલ્લામાં જામનગર, પોરબંદર, દેવભૂમિદ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે.

આ જિલ્લાઓમાં ગુરુવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બુધવારે આણંદ, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવી છે. ત્યારે દીવ, દમણ તથા દાદરાનગરહવેલીમાં પણ યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત પાસે ક્યારે સર્જાશે નવું વાવાઝોડું શાહીન?

હાલ ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની સિસ્ટમને કારણે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર હાલ વરસાદી સંકટ તોળાયેલું છે.

જોકે, હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 24 કલાકમાં ગુજરાત પાસેના દરિયામાં એટલે કે કચ્છથી આગળ અરબ સાગરમાં આ સિસ્ટમ ફરી વાવાઝોડાનું સ્વરૂપ લેશે.

ગુજરાતની પાસે નવું વાવાઝોડું સર્જાશે તેને શાહીન નામ આપવામાં આવશે અને તે કતાર દ્વારા આપવામાં આવ્યું છે. હાલ આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને તે બાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.

હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે આવનારા 24 કલાકમાં આ સિસ્ટમ વાવાઝોડું બની જશે. હવામાન નિષ્ણાતોના મતે આ ભાગ્યે જ બનતી ઘટના છે, જેમાં એક વાવાઝોડાની સિસ્ટમ ફરીથી વાવાઝોડું બની જાય.

'ગુલાબ'ની સિસ્ટમ અરબી સમુદ્ર પર તીવ્ર બનશે?

ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં આગામી બે દિવસ દરમિયાન વરસાદ રહેવાની સંભાવના છે.

ગુલાબ વાવાઝોડાની સિસ્ટમ નબળી પડીને હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ હજુ પણ નબળી પડી શકે છે, પરંતુ તે અરબી સમુદ્ર પાસે પહોંચીને ફરીથી તીવ્ર બને એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલમાં જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું ગુલાબ વાવાઝોડું જે રવિવારે પૂર્વ દરિયાકાંઠે ટકરાયું હતું, તે છત્તીસગઢ, તેલંગણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી થઈને અરબી સમુદ્ર તરફ આગળ વધતાં 'શાહીન' નામના વાવાઝોડા તરીકે ફરીથી પેદા થઈ શકે છે.

અહેવાલ મુજબ 24 કલાકમાં સિસ્ટમ વરાળ ભેગી કરીને તારીખ 1 ઑક્ટોબરે ઓમાન તરફ આગળ વધી શકે છે.

જો નવું વાવાઝોડું સર્જાશે, તો તેને 'શાહીન' નામ આપવામાં આવશે. આ નામ કતાર દ્વારા આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે નવા વાવાઝોડા વિશે શું કહ્યું?

આ સિસ્ટમ 30 સપ્ટેમ્બરે સાંજે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા ગુજરાતના દરિયાકાંઠે ઊભરે તેવી શક્યતા છે અને પછીના 24 કલાક દરમિયાન ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સિસ્ટમ વધુ તીવ્ર બને તેવી સંભાવના છે.

ફરીથી વાવાઝોડું કેમ બની શકે છે?

હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં આઈએમડીમાં ઇનચાર્જ ઑફ સાઇક્લોન સુનિતા દેવીએ જણાવ્યું કે, ભલે સંભાવના ઓછી હોય પણ આપણે ફરી ચક્રવાત બનવાની સંભાવનાને નકારી શકતાં નથી.

લૉ પ્રેશર સિસ્ટમ તરીકે તે મહારાષ્ટ્ર અને ગુજરાતને પાર કરશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે સિસ્ટમમાં ફરીથી સક્રિય થશે.

લૉ-પ્રેશર સિસ્ટમની ઝડપી તીવ્રતાને નકારી શકાય નહીં કારણ કે સમુદ્ર અને વાતાવરણીય પરિસ્થિતિઓ અનુકૂળ છે. ચક્રવાત અથવા ડિપ્રેશન અરબી સમુદ્રના ઉત્તર ભાગ તરફ આગળ વધશે.

હાલની સ્થિતિ પ્રમાણે તે ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છના વિસ્તારોને કોઈ અસર નહીં કરે તેવી શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો