તાલિબાન સામે આર્થિક કોરડો, કયા-કયા દેશોએ મદદ રોકી?

અફઘાનિસ્તાનને પુનર્નિર્માણની પરિયોજનાઓ માટે અમેરિકન નિરીક્ષક અનુસાર દેશના કુલ બજેટનો 80 ટકા ભાગ વિદેશથી મળે છે.

અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ સ્થાપિત થયા બાદ આ આર્થિક મદદ બંધ થવાનો ખતરો છે.

અત્યાર સુધીમાં અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો, નાણાકીય એજન્સીઓ અને કેટલાક દેશોએ અફઘાનિસ્તાનને અપાતી નાણાકીય મદદ રોકી દીધી છે.

  • વિશ્વ બૅન્કે અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ સાથે જોડાયેલી પરિયોજનાઓથી અંતર બનાવી લીધું છે.
  • ઑગસ્ટમાં આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ તરફથી અફઘાન સરકારને 440 મિલિયન ડૉલરની મદદ મળવાની હતી, જે હવે અધ્ધરતાલ થઈ ગઈ છે.
  • અમેરિકાએ અફઘાનિસ્તાનના સાત અબજ ડૉલરના વિદેશી મુદ્રાભંડારને રોકી દીધો છે.
  • જર્મનીએ પણ અફઘાનિસ્તાનને અપાતી આર્થિક સહાયતા રોકવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે તે અફઘાનિસ્તાનને 300 મિલિયન ડૉલર આપવાનું હતું. સ્વિડન અને ફિનલૅન્ડે પણ આવાં પગલાં ભર્યાં છે.
  • યુરોપીય સંઘે પણ કહ્યું કે તે અફઘાનિસ્તાનના વિકાસ માટે અપાતી આર્થિક મદદ રોકી દેશે. યુરોપીય સંઘ તરફથી અફઘાનિસ્તાનને વર્ષ 2021થી 2024 વચ્ચે 1.4 અબજ ડૉલરની રકમ મળવાની હતી.

ગટરમાં ઊતરવાથી બે કામદારનાં મૃત્યુ

અમદાવાદના બોપલ વિસ્તારમાં ગટરની સફાઈ માટે ઊતરેલા ત્રણ સફાઈકર્મી પૈકી બે કામદારનાં ગૂંગળામણથી મૃત્યુ થયાં છે.

જ્યારે એક સફાઈકર્મીને સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર ફાયર બ્રિગેડનાં સૂત્રોએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને આ માહિતી આપી હતી.

હાલ બંને કામદારના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચીનના વુહાનમાંથી ફેલાયો કોરોના વાઇરસ?

મીડિયા રિપોર્ટ પ્રમાણે કોરોના વાઇરસની ઉત્પત્તિ અંગે અમેરિકાની ઇન્ટેલિજેન્સ એજન્સીની તપાસ કોઈ નિષ્કર્ષ સુધી નથી પહોંચી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કોરોના વાઇરસની ઉત્પત્તિ અંગે ઇન્ટેલિજેન્સ એજન્સીને તપાસનો નિર્દેશ આપ્યો હતો.

એજન્સીઝ એ વાતને લઈને એકમત નથી કે વાઇરસ પશુમાંથી પ્રાકૃતિક રૂપે માનવમાં પ્રવેશ્યો કે લૅબોરેટરીમાંથી ભૂલવશ ફેલાયો.

આ રિપોર્ટનો સારાંશ આવનારા દિવસોમાં પ્રકાશિત થવાની સંભાવના છે.

ચીનના વિદેશ મંત્રીએ આ રિપોર્ટને 'વિજ્ઞાનની વિરુદ્ધ' ગણાવીને ફગાવ્યો હતો.

વાંગ યીએ કહ્યું કે અમેરિકાએ માત્ર રાજકારણના હિતોને સાધતા એક રિપોર્ટને ખાતર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા રિસર્ચને ન ગણકાર્યો.

2020ની શરૂઆતમાં ચીનના વુહાન શહેરમાંથી કોરોના મહામારી ફેલાઈ જેણે દુનિયામાં 40 લાખ જેટલા લોકોનો ભોગ લેવાયો છે.

કેરળમાં કોરોનાનું વધતું સંક્રમણ

કેરળમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને 31,445 નવા કેસ નોંધાયા છે.

એક તરફ ભારતમાં કોરોના વાઇરસની ત્રીજ લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં પ્રમુખ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે સંભાવના છે કે ભારતમાં કોરોના વાઇરસ એન્ડેમિક સ્ટેજમાં પહોંચી રહ્યો છે, જ્યાં કોરોના વાઇરસનું સંક્રમણ ધીમી અથવા મધ્યમ રીતે ફેલાઈ રહ્યું છે.

એન્ડેમિક સ્ટેજ એટલે કે જ્યારે વસતી વાઇરસની સાથે રહેતા શીખી જાય છે. આ રોગચાળો કરતાં અલગ સ્ટેજ છે.

રોગચાળામાં મોટા પ્રમાણમાં વસતી કોઈ રોગથી અસરગ્રસ્ત થાય છે.

ન્યૂઝ વેબસાઇટ ધ વાયર માટે પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે ભારતની વિશાળ વસતી અને તેની વિવિધતા તથા દેશમાં અલગઅલગ ભાગોમાં લોકોની રોગપ્રતિકારકશક્તિને જોતાં દેશના વિવિધ ભાગોમાં આ રીતે પરિસ્થિતિ બદલાયા કરશે.

તેમણે કહ્યું, "આપણે એન્ડેમિક સ્ટેજમાં પહોંચી રહ્યા હોઈએ એવું બની શકે છે જેમાં વાઇરસનું સંક્રમણ ધીમી અથવા મધ્યમ ગતિએ ફેલાય, આપણે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના વાઇરસના કેસમાં મોટો ઉછાળો નથી જોયો."

તેમણે કહ્યું કે "વર્ષ 2022ના અંત સુધી આપણે કહી શકીશું કે આપણે 70 ટકા રસીકરણ કરી લીધું છે અને પછી અલગઅલગ દેશો સામાન્ય જીવન તરફ વધી શકે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો