કોરોના વૅક્સિનેશન : ભારતમાં એક દિવસમાં વિક્રમજનક 82 લાખ લોકોનું રસીકરણ -Top News

કેન્દ્ર સરકારની સરીકરણ મામલેની નવી નીતિ અનુસાર કેન્દ્ર સરકાર બજારમાંથી 75 ટકા રસીનો જથ્થો ખરીદીને રાજ્ય સરકારોને આપશે. સરકારી રસી કેન્દ્રો પર 18થી વધુ વયની વ્યક્તિઓને આ રસી મફતમાં આપવામાં આવશે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે ગતરોજ સોમવારથી આ નવી નીતિ લાગુ થઈ છે. અને પ્રથમ દિવસે 82.70 લાખ (ડોઝ)નું રસીકરણ થયું. જે 16મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીનો સૌથી સર્વાધિક આંકડો છે.

નવી નીતિ અનુસાર સરકાર 75 રસીનો જથ્થો ખુદ ખરીદે છે અને તે રાજ્યોને આપે છે. બાકીનો 25 ટકા ખાનગી હૉસ્પિટલો અને રસીકરણ કેન્દ્રો માટે છે. તેઓ રસીની કિંમત પર 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલી શકશે.

વડા પ્રધાન મોદીએ પણ ગતરોજ થયેલા રસીકરણને એક પ્રોત્સાહજનક બાબત ગણાવી છે.

અહેવાલમાં રસીકરણના મૉનિટરિંગ સાથે સંકળાયેલા અધિકારીને ટાંકીને કહેવાયું છે કે રાજ્ય સરકારોને પૂરતા પ્રમાણમા રસીનો જથ્થો આપવાથી અને નવી નીતિને પગલે રસીકરણને વેગ મળ્યો છે. ઉપરાંત રસીકરણ કેન્દ્રોની સંખ્યા પણ વધારી દેવાઈ છે.

આજે કાશ્મીરના નેતાઓની બેઠક, 24મીએ મોદીને મળશે

પિપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશનના નેતાઓ કાશ્મીરમાં ચૂંટણીઓ અને અન્ય બાબતો મામલે શ્રીનગરમાં એક બેઠક કરશે. 24મી જૂને તેઓ વડા પ્રધાન મોદી સાથે દિલ્હીમાં બેઠક કરવાના છે. આથી એ પૂર્વે તેમની આ બેઠક ઘણી મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ફારુક અબ્દુલ્લાહના વડપણ હેઠળની નેશનલ કૉન્ફરન્સે આ પગલાને એક સારો બદલાવ ગણાવ્યો છે.

પાર્ટીએ કહ્યું કે એક વાત સ્પષ્ટ છે કે કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાઓ આગળ વધારવા મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોની જરૂર પડશે. આથી તેમના વગર કોઈ પ્રક્રિયા શક્ય નહીં થાય.

પીપલ્સ કૉન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ લોને કહ્યું કે સરકારનું પગલું આવકાર્ય છે. છેલ્લે બે વર્ષોમાં જે થયું તેને જોતા આ કેટલું મહત્ત્વનું છે તે સમજી શકાય છે. મને આશા છે કે નવો માર્ગ નીકળશે.

બીજી તરફ વરિષ્ઠ કૉંગ્રેસ નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે એક નિવેદનમાં કહ્યું છે કે મોદી સાથેની બેઠકમાં કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાની માગ મુખ્ય એજન્ડા છે.

શરદ પવાર ભાજપ સામે નવો સંયુક્ત વિપક્ષી મોરચો ઊભો કરશે?

આજે દિલ્હી ખાતે શરદ પવારના નેતૃત્ત્વમાં રાષ્ટ્ર મંચની બેઠક મળશે. જેને ભાજપ સામે વિપક્ષી પાર્ટીઓનો સંયુક્ત મોરચો તૈયાર કરવાની હિલચાલ ગણાવવામાં આવે છે.

'એનડીટીવી'ના રિપોર્ટ મુજબ ભૂતપૂર્વ કેન્દ્રીય મત્રી યશંવત સિન્હા જેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા તેમણે કહ્યું હતું કે ભાજપને હરાવવા વિપક્ષ એક થઈ રહ્યો છે.

તાજેતરમાં પૉલિટિકલ સ્ટ્રૅટજિસ્ટ પ્રશાંત કિશોર સાથે શરદ પવારની બેઠક થઈ હતી. ઉપરાંત મમતા બેનરજી પણ ભાજપ સામે એક સંયુક્ત મોરચા માટે હાકલ કરી ચૂક્યાં છે.

શરદ પવારની બેઠકે રાજકીય આલમમાં ઘણી ચર્ચાઓ જગાવી છે. પરંતુ અહેવાલ અનુસાર એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેઠકમાં ત્રીજા મોરચાનો કોઈ એજન્ડા નથી.

રાષ્ટ્ર મંચ એક પૉલિટિકલ એક્શન ગ્રૂપ છે. જેને વર્ષ 2018માં શત્રુઘ્ન સિન્હા અને યશવંત સિન્હા દ્વારા તૈયાર કરાયું હતું.

ભૂતકાળમાં તેની બેઠકમાં અરુણ શૌરી, યશવંત સિન્હા, કૉંગ્રેસના મનીષ તિવારી ઉપરાંત આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, જેડીયુ, એનસીપી, તૃણમૂલ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ આ બેઠકમાં હાજર ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વૅરિયન્ટના 21 કેસ

મહારાષ્ટ્ર રાજ્ય સરકારને તેની કોવિડ ટાસ્ક ફોર્સે ત્રીજી લહેર અપેક્ષા કરતાં વહેલી આવવાની સલાહ આપ્યા બાદ મહારાષ્ટ્રમાં મે મહિનાથી લઈને અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વૅરિયન્ટના 21 કેસ નોંધાયા છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ મે મહિનાથી કોવિડના જેટલા નમૂનાનું જિનોમ સિક્વન્સિંગ થયું તેમાંથી 21 નમૂનામાં ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ જોવા મળ્યો છે.

અત્રે નોંધવું કે ત્રીજી લહેર મામલે ડેલ્ટા પ્લસ વૅરિયન્ટને વધુ જોખણી ગણવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી અનુસાર રત્નાગિરીમાં નવ, જલગાંવમાં સાત અને મુંબઈમાં બે તથા પાલઘર અને થાણે અને સિંધુદૂર્ગમાં એક-એક કેસ જોવા મળ્યો છે. ડેલ્ટા પ્લસ વૅરિયન્ટનો વિગતવાર અહેવાલ વાંચો અહીં ક્લિક કરીને.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો