દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ : કોરોનાના વધતા કેસને પગલે લેવાયો નિર્ણય BBC TOP NEWS

કોરોના વાઇરસના સંક્રમણના વધી રહેલા કેસને ધ્યાને લેતા રાજધાની દિલ્હીમાં તત્કાલ પ્રભાવથી રાતના દસ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે.

દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર આ રાત્રી કર્ફ્યુનો 30 એપ્રિલ સુધી અમલ કરવામાં આવશે.

આ પહેલાં દિલ્હી સરકારે કોરોનાના રસીકરણ માટે સરકારી હૉસ્પિટલો 24 કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો.

મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જેટલા વધુ લોકોને રસી આપવામાં આવશે, કોરોના વાઇરસના ફેલાવાની ઝડપ એટલી જ ઓછી થશે.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોનાના રસીકરણ માટે લગાવાયેલી ઉંમરની મર્યાદા ખતમ કરવા પણ ભલામણ કરી હતી.

જસ્ટિસ એન.વી. રમન્ના ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એન.વી. રમન્નાને દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા છે.

જસ્ટિસ એન.વી. રમન્ના 24 એપ્રિલે પોતાના પદના શપથ લેશે અને 26 ઑગસ્ટ 2022 સુધી આ પદ પર રહેશે.

જસ્ટિસ નાથુલાપતિ વેંકટ રમન્નાને 2 ફેબ્રુઆરી 2017ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાયા હતા.

27 જૂન 2000માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા.

એ બાદ વર્ષ 2013માં 13 માર્ચથી લઈને 20મી મે સુધી તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રહ્યા હતા.

2 સપ્ટેમ્બર 2013 તેમને બઢતી મળી અને તેઓ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત થયા. એ બાદ 17 ફેબ્રુઆરી 2014ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવાયા હતા.

આસામ : 90 મતદારવાળા મતદાનકેન્દ્ર પર 171 મત પડ્યા

આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં દીમા હસાઓ જિલ્લાના એક મતદાનકેન્દ્ર પર એક મોટી અનિયમિતતાનો મામલો સામે આવ્યો છે.

અહીં હાફલૉન્ગ વિધાનસભા વિસ્તારમાં ખોટલિર એલપી સ્કૂલના 107 (એ)ના મતદાનકેન્દ્ર પર માત્ર 90 મતદારો નોંધાયેલા છે, પણ પહેલી એપ્રિલે અહીં 171 મત પડ્યા હતા.

હિન્દુસ્તાન ટાઇમ્સે ન્યૂઝ એજન્સી પીટીઆઈના હવાલાથી રિપોર્ટ આપ્યો છે કે અધિકારીઓએ સોમવારે તેની માહિતી આપી હતી.

હાફલૉન્ગમાં 74 ટકા મતદાન થયું હતું. આ ઘટના હાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાનકેન્દ્રના પાંચ ચૂંટણી અધિકારીને સસ્પેન્ડ કરી અહીં ફરી મતદાન કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

જોકે ફરી વાર મતદાનનો આદેશ જાહેર કરવામાં આવ્યો નથી.

એક અધિકારીએ જણાવ્યું કે ગામના પ્રધાને જ્યારે મતદાતાસૂચિનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો અને પોતાની સૂચિ લઈને ત્યાં આવી ગયા તો ગામલોકોએ એ સૂચિ અનુસાર મતદાન કર્યું.

જોકે હજુ પણ એ સ્પષ્ટ નથી કે મતદાતા અધિકારીઓએ ગામના પ્રધાનની સૂચિની માગને કેમ સ્વીકારી અને ત્યાં સુરક્ષાકર્મીઓની તહેનાતી હતી કે નહીં અને તેમાં તેમની શું ભૂમિકા હતી.

આસામ વિધાનસભામાં આ બીજી વાર અનિયમિતતાનો મામલો સામે આવ્યો છે.

અગાઉ અહીં કરીમગંજમાં ભાજપના ધારાસભ્યનાં પત્નીની ગાડીમાં ઈવીએમ મળતા ચૂંટણીપંચે ચૂંટણીઅધિકારીઓને સસ્પેન્ડ કરીને અહીં ફરી વાર મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો.

નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે

ભારતનાં ઘણાં રાજ્યોમાં ફરી વાર કોરોનાનું સંક્રમણ વધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આઠ એપ્રિલે તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે સમીક્ષાબેઠક કરશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશભરમાં એક દિવસમાં કોરોના વાઇરસના કેસ એક લાખને પાર કરી ગયા છે, આથી નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે.

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે છેલ્લે મુખ્ય મંત્રીઓ સાથે વાત કરી હતી.

એ વાતચીતમાં વડા પ્રધાને કેટલાક દેશના વિસ્તારમાં સંક્રમણ વધતા ચિંતા વ્યક્ત કરી હતી અને મહામારીની બીજી લહેરને રોકવા માટે નિર્ણાયક પગલાં માટે આહ્વાન પણ કર્યું હતું.

સોમવારે દેશમાં કોરોના વાઇરસના 103,558 નવા કેસ સામે આવ્યા છે.

આ પહેલાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો નિયમો સરળ બનાવી દેવામાં આવે તો દિલ્હીમાં ત્રણ મહિનામાં તેમની સરકાર બધા લોકોને કોરોનાની રસી આપી શકે છે.

જયા બચ્ચને કોલકાતા જઈને મમતા બેનરજીનું સમર્થન કર્યું

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીનું સમર્થન કર્યું છે અને તેમને અત્યાચાર સામે લડનારાં નેતા ગણાવ્યાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જયા બચ્ચને કહ્યું કે મમતા બેનરજી બંગાળમાં અત્યાચારો સામે અને લોકતાંત્રિક અધિકારો માટે એકલાં લડી રહ્યાં છે.

જયા બચ્ચને એ પણ કહ્યું કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નિર્દેશ પર તેઓ તૃણમૂલ કૉંગ્રેસના ચૂંટણીપ્રચાર માટે પશ્ચિમ બંગાળ આવ્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો