You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાની બચત યોજનાઓનાં વ્યાજદરોમાં ઘટાડો, જાણો કઈ યોજના પર કેટલું વ્યાજ મળશે?- BBC Top News
કેન્દ્ર સરકાર દ્વારા નાની બચતના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે બુધવારે ઘોષણા કરી કે નાની સેવિંગ્ઝ ડિપૉઝિટ પર વાર્ષિક વ્યાજદર 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવાનો નિર્ણય કરાયો છે.
પર્સનલ પ્રૉવિડન્ડ ફંડ એટલે કે પીપીએફના વ્યાજદાર પણ 7.1 ટકાથી ઓછા કરીને 6.4 ટકા વાર્ષિક કરી દેવાયા છે. એક વર્ષની અવધિ માટે જમા થાપણ પર વ્યાજદરો 5.5 ટકાથી ઘટાડી 4.4 ટકા ત્રિમાસિક કરી દેવાયા છે. આ જ ક્રમમાં સિનિયર સીનિયર સિટીઝન સેવિંગ્ઝ સ્કીમ હેઠળ વ્યાજદરો 7.4 ટકાથી ઘટાડી 6.5 ટકા ત્રિમાસિક કરી દીધા છે.
આમ સરકારે યોજનાઓમાં 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો હોવાનું જોવા મળ્યું છે.
અત્રે નોંધવું કે સરકારે આ પહેલાં જાન્યુઆરી-માર્ચ 2021ના ત્રિમાસિકગાળા માટે પીપીએફ અને એનએસસી સહિતની નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં કોઈ બદલાવ નહોતો કર્યો.
નાની બચત યોજનાઓ માટે વ્યાજદરોને નાણાં મંત્રાલય દ્વારા ત્રિમાસિક આધારે અધિસૂચિત કરવામાં આવે છે.
'ઑપરેશન કમળ'ને લીધે કર્ણાટકાના મુખ્યમંત્રી યેદિયુરપ્પાની મુશ્કેલી વધી
વર્ષ 2019માં મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કથિતરૂપે કર્ણાટકામાં કૉંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારને ઉથલાવી નાખવા માટે ષડયંત્ર રહ્યું હતું એવો આરોપ લાગ્યો છે. આ વિવાદ ઑપરેશન કમળથી ઓળખાયો હતો.
વિવાદમાં યેદિયુરપ્પાના કથિત અવાજની એક ઑડિયોક્લિપ વાઇરલ થઈ હતી જેમાં તેઓ એક ધારાસભ્યના પુત્રને તેમના પિતા રાજીનામું આપી પાર્ટી બદલી લે એવું કહેતા હતા. આથી કૉંગ્રેસે આમાં ન્યાયિક તપાસની માગ કરી હતી.
જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના નેતા નગન ગૌડાના પુત્ર શરણ ગૌડાએ એફઆઈઆર પણ દાખલ કરાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે બન્યું એવું કે 2019માં સરકાર પડી ગઈ અને યેદિયુરપ્પા મુખ્યમંત્રી બની ગયા. જોકે તેમણે તેમની ઉપરના તમામ આરોપો ફગાવ્યા છે અને એનો દોષ વિપક્ષ પર નાખ્યો છે.
એફઆઈર રદ કરવા તેમણે કોર્ટમાં અરજી કરી હતી તેને રદ કરી દેવાઈ છે. તેમને રાહત નથી મળી.
ગુજરાતનું એ નગર જેનું નામ 'હિંદુ માન્યતા આધારે' બદલી 'સોમનાથ' કરી દેવાયું
વેરાવળ-પાટણ નગરપાલિકા હવે સોમનાથ નગરપાલિકાના નામે ઓળખાશે. હિંદુઓની માન્યતા મુજબ, 12 જ્યોર્તિલિંગમાંથી પ્રથમ એવા સોમનાથ મહાદેવના નામને આધારે આ નામકરણ કરવામાં આવ્યું છે.
જૂનાગઢથી સ્થાનિક પ્રતિનિધિ દિલીપ મોરી જણાવે છે કે વેરાવળ પાટણ શહેરનું નામ પણ સોમનાથ કરવામાં આવ્યું છે. આ સિવાય નવા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું છે.
આ સિવાય વેરાવળ પાટણ શહેરનું નામ સોમનાથ નગર કરવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત સરકારના અલગ-અલગ વિભાગો તથા મુખ્ય મંત્રીને જાણ કરવામાં આવી છે અને મંજૂરી અર્થે ઠરાવ મોકલવામાં આવ્યો છે.
ફોફંડીએ આ નિર્ણય વિશે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે 'બેઠકમાં 44 સભ્ય હાજર રહ્યા હતા અને નવીન નામકરણના ઠરાવને મુસ્લિમ સમાજના સભ્યોએ પણ ટેકો આપ્યો હતો.'
ફોફંડીએ જણાવ્યું હતું કે તેમની અધ્યક્ષતામાં મળેલા પ્રથમ બોર્ડના આ નિર્ણયને તેઓ સોમનાથ મહાદેવ તથા નરેન્દ્ર મોદીને 'અર્પણ' કરે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા ઉપર ભાજપની સત્તા સ્થાપિત થઈ હતી.
ભારતમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે - મોદી સરકાર
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને રાજ્યોએ બે અઠવાડિયામાં 45થી ઉપરની ઉંમરના તમામ લોકોનું વૅક્સિનેશન કરવું જોઈએ.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જણાવ્યું છે કે જે જિલ્લાઓમાં કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળ્યો છે ત્યાં 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓનું બે અઠવાડિયાની અંદર 100 ટકા રસીકરણ કરવામાં આવે.
1 એપ્રિલથી કેન્દ્ર સરકાર રસીકરણ કાર્યક્રમ ચલાવવાની છે જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને કોરોના વાઇરસની રસી આપવામાં આવશે. બીજી બાજુ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ વણસી રહી છે.
એનડીટીવી અનુસાર વેક્સિન એડમિનિસ્ટ્રેશન પરની રાષ્ટ્રીય નિષ્ણાત સમિતિના અધ્યક્ષ વી.કે. પૉલએ જણાવ્યું કે વલણ બતાવી રહ્યાં છે કે વાઇરસ હજુ પણ બહુ ઍક્ટિવ છે અને જ્યારે પણ અમે વિચારીએ કે વાઇરસને કાબૂમાં લઈ શકાય છે ત્યારે એ ફરીથી ઉછાળો મારે છે. તેમણે કહ્યું હાલમાં કેસમાં જે વધારો આવ્યો છે તેમાં મ્યુટેન્ટ સ્ટ્રેનની કોઈ ભૂમિકા નથી.
વી.કે. પૉલે જણાવ્યું કે આપણે ગર્વ કરતાં હતા કે ભારતમાં કોરોના વાઇરસનાં દરદીઓનો મૃત્યુદર ઓછો છે પરતું હવે મૃત્યુદર ચાર ગણો થઈ ગયો છે. 73માંથી 271 સુધી પહોંચી ગયો છે. વાઇરસને કાબૂમાં લેવો પડશે. કૉન્ટૅક્ટ ટ્રેસિંગ, ક્વોરૅન્ટીન અને આઇસોલેશન સિવાય કોઈ ઉપાય નથી.
પૉલે વધુમાં જણાવ્યું કે કોરોના વાઇરસનો ઇન્ડિયન સ્ટ્રેન નથી અને ભયભીત થવાની કોઈ જરુર નથી.
તેમણે કહ્યું કે, પંજાબ પૂરતાં પ્રમાણમાં ટેસ્ટ નથી કરી રહ્યું અને સંક્રમિત વ્યક્તિઓને યોગ્ય રીતે આઇસોલેટ પણ નથી કરી રહ્યું. મહારાષ્ટ્રમાં 3.37 લાખ ઍક્ટિવ કેસ છે અને કોરોનાથી મૃત્યુ પામતાં દરદીઓની સંખ્યા 32થી વધીને 118 થઈ ગઈ છે. કર્ણાટકને ટેસ્ટિંગ અને આઇસોલેશન વધારવાની જરુર છે.
મોદી સરકારે ગુજરાતને દુષ્કાળ રાહત પેટે3370 કરોડ રુપિયા આપવાની ના પાડી
ગુજરાત સરકારનું કહેવું છે કે 2018 દુષ્કાળ રાહત પેટે કેન્દ્ર સરકારે 3370 કરોડ રુપિયા આપવાની ના પાડી દીધી છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ધારાસભ્ય ભગાભાઈ બારડના પ્રશ્નનો જવાબ આપતા વિધાનસભામાં રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે 8 જાન્યુઆરી 2019ના રોજ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને 3370.31 કરોડ રુપિયા આપવાની માગણી કરી હતી, જેથી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યો કરી શકાય.
2018માં ગુજરાત સરકારે રાજ્યનાં 51 તાલુકામાં આવેલ 3367 ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા.
મંત્રીએ ગૃહને જણાવ્યું કે કેન્દ્ર સરકારે 20 ફેબ્રુઆરી 2019ના રોજ પત્ર લખીને ગુજરાત સરકારને જણાવ્યું કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ (એસડીઆરએફ)માં જે પૈસા છે તે નક્કી કરવામાં આવેલ મર્યાદા કરતાં 50 ટકાથી વધારે હોવાથી ગુજરાત નાણાંકીય મદદ માટે હકદાર નથી.
કૌશિક પટેલે જણાવ્યું કે 2020માં ગુજરાતમાં જે પૂર આવ્યું હતું તેમાં રાહત પૅકેજ પેટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 7239.47 કરોડ રુપિયાની માગ કરી છે, પરતું હજુ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી.
મહેસૂલ મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે 1 એપ્રિલ 2018થી 31 ડિસેમ્બર 2020 સુધી રાહત કાર્યોના કુદરતી આપદા ફંડમાંથી 5996.37 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં 2660.75 કરોડ રુપિયા કેન્દ્ર સરકારે આપ્યાં છે.
સચીન વાઝેના ડ્રાઇવરે ઍન્ટિલિયાની બહાર સ્કૉર્પિયો પાર્ક કરી હતી
કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસમાં બહાર આવ્યું છે કે સચીન વાઝેના ડ્રાઇવરે મુકેશ અંબાણીના નિવાસસ્થાન ઍન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર પાર્ક કરી હતી.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર 17 ફેબ્રુઆરીએ મનસુખ હિરેનની સ્કૉર્પિયો કાર બંધ પડી જતા તેમણે મુલુંડ-એરોલી રોડ પર પાર્ક કરી હતી અને તે જ દિવસે કારની ચાવી સચીન વાઝેની આપી દીધી હતી.
બીજા દિવસે સચીન વાઝેના ખાનગી ડ્રાઇવર કાર ચલાવીને સાકેત હાઉસિંગ સોસાયટીમાં પાર્ક કરી હતી. સચીન વાઝેનું ઘર સાકેત હાઉસિંગ સોસાયટીમાં છે.
અહેવાલ અનુસાર 19 ફેબ્રુઆરીએ ડ્રાઇવર કારને ક્રેફોર્ડ માર્કેટ લઈ ગયો હતો અને ગાડી ત્યાં પાર્ક કરીને નિકળી ગયો હતો.
બે દિવસ સુધી કાર ત્યાં ઊભી રહી હતી અને 21 ફેબ્રુઆરીએ ડ્રાઇવર કારને સાકેત હાઉસિંગ સોસાયટીમાં પરત લઈ આવ્યો હતો.
25 ફેબ્રુઆરીની રાત્રે ડ્રાઇવર ગાડીને લઈને નીકળ્યો અને 26 ફેબ્રુઆરીની વહેલી સવારે પેડર રોડ પર સ્થિત મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની બહાર ગાડી પાર્ક કરી દીધી હતી.
પલાનીસ્વામીની માતા પર નિવેદન કરવા બદલ એ. રાજોને ચૂંટણીપંચની નોટીસ
તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામી અને તેમનાં માતા સામે કથિત વ્યક્તિગત ટીકા કરવા બાદ ચૂંટણી પંચે ડીએમકે નેતા એ. રાજા પાસે જવાબ માંગ્યો છે. એ. રાજાના નિવેદન બાદ તામિલનાડુમાં ભારે વિવાદ થયો હતો એ. રાજાને પણ બિનશરતી માફી માંગવાની ફરજ પણ પડી હતી.
ન્યૂઝ 18ના અનુસાર ચૂંટણી પંચે એ. રાજાને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં તેમના નિવેદન વિશે વધુ માહિતી આપવા માટે જણાવ્યું છે. જો એમ નહીં કરવામાં આવે તો તેમની સામે "નિર્ણય લેશે.
તામિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ) સત્યબ્રત સાહુએ ચૂંટણીપંચને વિડીયો ક્લિપ સાથે મતદાન પેનલને એક વિગતવાર અહેવાલ મોકલ્યો હતો અને જિલ્લા ચૂંટણી અધિકારી (ડીઇઓ) અને પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ પણ આપ્યો હતો.
પાલનિસ્વામીના સ્વર્ગીય માતા સામે નિવેદન કરવા બદલ સોમવારે એ. રાજાએ મુખ્યમંત્રીની માફી માગી હતી અને જણાવ્યું હતું કે તેમના શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો