અઝરબૈજાનનો દાવો, 'આર્મેનિયામાં રશિયાથી હથિયારોની તસ્કરી થાય છે' - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલિયેવે કહ્યું છે કે રશિયાથી આર્મેનિયામાં થઈ રહેલી 'હથિયારોની તસ્કરી' મામલે અઝરબૈજાને રશિયાને ધ્યાન આપવા કહ્યું છે.
અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે નાગોર્નો-કારાબાખમાં 27 સપ્ટેમ્બરથી યુદ્ધ ચાલી રહ્યું છે.
અલિયેવે કહ્યું છે કે રશિયાથી મોટી સંખ્યામાં હથિયાર આર્મેનિયામાં કથિત રીતે પહોંચાડવામાં આવતાં હતાં.
રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી ટીએએસએસને 19 ઑક્ટોબરે આપેલા એક ઇન્ટરવ્યૂમાં અલિયેવે એવું પણ જણાવ્યું છે કે અઝરબૈજાન પોતાની અગાઉની માગણીઓ મામલે પાછળ હટી ગયું હતું.
તેમણે નાગોર્નો-કારાબાખની લડાઈમાં સમજૂતી માટે બનાવવામાં આવેલા ઓએસસીઈ મિન્સ્ક સમૂહના 'પાયાના નિયમો' પર પણ વાત કરી હતી.
આ નિયમોમાં આર્મેનિયાને અઝરબૈજાનના રસ્તે રશિયા જવા માર્ગ આપવાની વાત પણ સામેલ છે.

ફેબ્રુઆરી સુધી ભારતમાં કોરોનાના ફક્ત 40 હજાર ઍક્ટિવ કેસ રહેશે : ડૉ. હર્ષવર્ધન

ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images
સમાચાર સંસ્થા એએનઆઈ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને ટાંકીને લખે છે કે આગામી વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોના વાઇરસના ઍક્ટિવ કેસની સંખ્યા ઘટીને માત્ર 40 હજારે પહોંચી જશે.
તેમણે આ વાત એક વૈજ્ઞાનિક સંશોધનના આધારે કહી છે એમ સમાચાર સંસ્થા કહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આરોગ્ય મંત્રીએ કહ્યું કે વિજ્ઞાન અને ટેકનૉલૉજી મંત્રાલયના સંશોધનના આધારે સામે આવ્યું છે કે દેશમાં આગામી ત્રણ-ચાર મહિનામાં કોરોના વાઇરસના કેસ ઓછા થઈ શકે છે અને ફેબ્રુઆરીમાં દેશમાં માત્ર 40 હજાર જ ઍક્ટિવ કેસ હાજર રહેશે.
આરોગ્ય મંત્રીએ વૅક્સિન અંગે કહ્યું છે કે વૅક્સિનેશન, સ્ટાફની ટ્રેનિંગ અને અન્ય બાબતોને લઈને સમય આવશે ત્યારે રાજ્ય સરકારો સાથે વાતચીત કરવામાં આવશે.
તેમણે કહ્યું, અમને ભરોસો છે કે દેશમાં હવે કોરોનાના કેસમાં વધારો નહીં થવા દેવામાં આવે, આપણે સતત કેસ ઘટતા જોઈ રહ્યા છીએ.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિરોધપક્ષના નેતા દિનેશ શર્મા રાજીનામું

ઇમેજ સ્રોત, Dinesh Sharma FB
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિરોધપક્ષના નેતા દિનેશ શર્માએ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર છેલ્લાં પાંચ વર્ષથી વિરોધપક્ષના નેતા તરીકે ફરજ બજાવતા શર્માએ કહ્યું, "મેં મારું રાજીનામું ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને સોમવારે સાંજે આપ્યું છે તે તેની પર નિર્ણય કરશે. મેં પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યું છે. પાર્ટીના કેટલાંક સભ્યોની વચ્ચે નારાજગી હતી. આ સામાન્ય વાત છે. હું પાર્ટી જે નક્કી કરશે તેનો સ્વીકાર કરીશ."
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સાથે અણબનાવના કારણે તેમણે કાર્યકાળ પૂર્ણ થાય તેના થોડા દિવસ પહેલાં જ રાજીનામુ આપ્યું છે.
પાર્ટીની અંદરના લોકો કહે છે કે આ બંનેએ અઢી વર્ષ પહેલાં દિનેશ શર્માને હઠાવવા રજૂઆત કરી હતી. પાર્ટીના સભ્યોએ દાવો કર્યો હતો કે આનાથી લોકોમાં ખોટો મૅસેજ જશે. એક કૉંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે આ તો વ્યક્તિઓના અહમને સંતોષવા માટે કરવામાં આવ્યું છે.
એએમસી સેક્રેટરી અરૂણ પંડયાએ કહ્યું કે હાલ સુધી દિનેશ શર્માએ રાજીનામાને લઈને મને અથવા મારી ઑફિસને કાંઈ જણાવ્યું નથી.

ગુજરાતની કોરોના વાઇરસના મૅનેજમેન્ટમાં અસાધારણ પ્રગતિ : કેન્દ્રિય આરોગ્ય મંત્રી

ઇમેજ સ્રોત, Ramesh Pathania/Mint via Getty Images
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યું છે કે કોરોના વાઇરસની જે રાજ્ય પર સૌથી વધારે અસર પહોંચી છે ત્યાંનો રીકવરી રૅટ (90.57 ટકા) છે જે નેશનલ ઍવરેજ કરતાં પણ વધારે છે. ગુજરાતે કોરોના વાઇરસના મૅનેજમેન્ટમાં અસાધારણ પ્રગતિ કરી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર તેમણે રાજ્યને પ્રતિ મિલિયન લોકોએ નેશનલ ઍવરેજ મુજબ 68,901 ટેસ્ટની સામે 77,785 ટેસ્ટ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, જિલ્લા ક્લેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે કોરોના વાઇરસની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આગામી દિવસોમાં તહેવારો અને શિયાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ કહ્યું, "આપણે આગામી ત્રણ મહિના માટે સચેત રહેવાની જરૂર છે."

ગરબા રમવા બદલ ત્રણ લોકોની ધરપકડ, કેસ દાખલ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુજરાતમાં ગરબાનું આયોજન કરનાર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ઉમરગામ તાલુકાના દહેરી ગામે કોરોના વાઇરસના નિયમોનો ભંગ કરી ગરબા બદલ ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે.
ઉમરગામ પોલીસ જ્યારે રાત્રે પેટ્રોલિંગ પર નીકળી હતી ત્યારે ગામમાં લોકો ગરબા રમી રહ્યા હતા. જ્યારે પુછ્યું કે પરવાનગી કોણે આપી. તો આયોજકો પરવાનગી બતાવવામાં નિષ્ફળ ગયા હતા.
પોલીસે ત્રણ આયોજકો પર આઈપીસીની કલમ 188 અને જીપીએની કલમ 135 પ્રમાણે ફરિયાદ દાખલ કરી છે અને ધરપકડ કરી છે.
ઉમરગામ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. ડાભીએ કહ્યું, "કોરોના વાઇરસના કારણે ચાલુ વર્ષે સરકારે કૉમર્શિયલ અને શેરીગરબા પર પ્રતિબંધ મૂક્યો છે. આયોજકોએ નિયમોનો સીધી રીતે ભંગ કર્યો છે અને પોલીસ પરવાનગી માગી ન હતી."

'આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી દેશની અડધી વસતિ કોરોના વાઇરસથી સંક્રમિત થશે'

ઇમેજ સ્રોત, NASIR KACHROO/NURPHOTO VIA GETTY IMAGES
સરકાર દ્વારા બનાવવામાં આવેલી પૅનલના સભ્ય અને આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણિંદ અગ્રવાલે ન્યૂઝ એજન્સી રૉયટર્સને કહ્યું છે કે અમારી ગણતરી મુજબ હાલ દેશમાં અંદાજે 30 ટકા લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ગયા છે અને આગામી ફેબ્રુઆરી સુધી દેશની કુલ વસતિના 50 ટકા લોકો સંક્રમિત થશે.
લાઇવ હિંદુસ્તાનના અહેવાલ અનુસાર જીરો સર્વે અને સિરોલૉજિકલ સર્વેને લઈને તેમણે કહ્યું, "સર્વેના આંકડા સાથે તે વધારે સહમત નથી કારણ કે તે સર્વે કદાચ યોગ્ય માપદંડોને અનુકૂળ થયો નથી."
ઉલ્લેખનીય છે કે આજ સર્વેના આધારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સપ્ટેમ્બર સુધી અંદાજે 14 ટકા વસતી કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ગઈ છે.
સમિતિએ એવી પણ ચેતવણી આપી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના વાઇરસને લઈને સાવધાની રાખવામાં નહીં આવે તો કેસમાં ભારે વૃદ્ધિ થશે અને દર મહિને અંદાજે 26 લાખ કેસ શકે છે. સાથે સાથે પૅનલે તહેવારમાં કેસ વધી શકે છે તેવી ચેતવણી આપી છે.

શાળા ખોલવા ગુજરાત સરકાર તમામ લોકોનો મત લેશે : શિક્ષણ મંત્રી

ઇમેજ સ્રોત, BHUPENDRASINH CHUDASMA
ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, "રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગેનો નિર્ણય તેમનો વિભાગ તમામ લોકોનો અભિપ્રાય લઈને કરશે."
કોરોના વાઇરસની મહામારીના કારણે રાજ્યમાં છ મહિનાથી શાળાઓ બંધ છે. અનેક શાળાઓ ઑનલાઈન શિક્ષણ આપી રહી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું, "કોરોના વાઇરસના કારણે શાળા બંધ થયાને છ મહિના થઈ ગયા છે. આપણે શાળાઓ થોડા સમયમાં શરૂ કરવી પડશે. પરંતુ રાજ્ય સરકાર આવો મહત્ત્વનો નિર્ણય એકલી લઈ શકે નહીં."
તેમણે કહ્યું, "આગામી દિવસોમાં અમે વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળા સંચાલક, શિક્ષકો અને જાણીતા શિક્ષણવિદોના સૂચનો મંગાવીશું. આરોગ્ય વિભાગના સૂચનો પણ મંગાવવામાં આવશે."

સરહદમાં પ્રવેશેલા ચીનના સૈનિકને પરત કરશે ભારત

ઇમેજ સ્રોત, STR/AFP via Getty Image
પૂર્વ લદ્દાખના ડેમચૉક સેક્ટરમાં ભારતે એક ચીનના સૈનિકને અટકાયતમાં લીધો હતો જે વાસ્તવિક નિયંત્રણ રેખા વટાવીને ભારત તરફ ચાલી આવ્યો હતો.
ભારતીય સૈન્ય પ્રમાણે સૈનિક કૉરપોરલ વેંગ યા લોંગને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ, ઓક્સિજન, ખાવાનું અને ગરમ કપડાં આપવામાં આવ્યા જેથી ઊંચાઈ પર વધારે ઠંડીનો સામનો તે કરી શકે.
સૈન્ય પ્રમાણે, ચીનની પીપ્લસ લિબરેશન આર્મી તરફથી આ સૈનિક સાથે જોડાયેલી જાણકારીઓ માટે ઔપચારિક રીતે અનુરોધ કરવામાં આવ્યો હતો.
સૈન્યએ નિવેદનમાં કહ્યું કે, પ્રોટોકૉલનું પાલન કરતાં આ સૈનિકને ચીનના સૈન્યને પરત કરી દેવામાં આવશે.
ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે, પીએલએ સૈનિક એક પશુપાલકની મદદ દરમિયાન રવિવાર રાત્રે ભૂલથી સરહદ પાર કરી ગયો હતો. ચીને આની તાત્કાલિક જાણકારી ભારતને કરી હતી અને ભારતીય સૈનિકો તેને શોધવામાં અને પરત ચીન મોકલવા રાજી થઈ ગયા હતા.
પીએલએ થિયેટર કમાન્ડના પ્રવક્તાએ કહ્યું, "અમને આશા છે કે ભારત પોતાનો વાયદો પૂર્ણ કરશે અને સૈનિક પરત મોકલશે. સાથે જ સાતમા ચરણની સૈન્ય અને કૂટનૈતિક વાર્તા કરવામાં ચીનની સાથે કામ કરશે અને સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થાયિત્વ સ્થાપિત કરવાની દિશામાં કામ કરશે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













