You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સવર્કરનું જીવન મજૂરનો દરજ્જો મળ્યા બાદ કેટલુ બદલાશે?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ (એનએચઆરસી)એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને એક મહત્ત્વનું સૂચન કર્યું છે.
એનએચઆરસીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને કહ્યું છે કે સેક્સવર્કરોને અસંગઠિત મજૂર તરીકે માન્યતા આપવા આવે. સેક્સવર્કરોને જરૂરી કાગળો આપવામાં આવે જેથી તેઓ રૅશન અને બીજી સુવિધાઓનો લાભ લઈ શકે.
પંચે એક તપાસ કરી હતી, જેનાં તારણો મુજબ, જોખમભર્યા અને એક ખૂણામાં ધકેલાઈ ગયેલી વ્યક્તિ પર કોવિડની બીજા લોકો કરતાં વધુ અસર થઈ છે.
રાષ્ટ્રીય માનવઅધિકાર પંચે કહ્યું છે કે આવા અસંગઠિત મજૂરોની નોંધણી થવી જોઈએ જેથી તેઓ મજૂરી માટેના લાભો મેળવી શકે.
એનએચઆરસી એક બંધારણીય સંસ્થા છે અને સુપ્રિમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ આ સંસ્થાના પ્રમુખ છે.
રાષ્ટ્રીય માનવઅધિકાર પંચની ભલામણને નેશનલ નેટવર્ક ઑફ સેક્સવર્કર્સે (એનએનએસડબ્લ્યૂ) એક મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. એનએનએસડબ્લ્યૂ સેક્સવર્કરોના અધિકારો માટે કામ કરતાં સંગઠનોનો એક સંઘ છે.
કામચલાઉ કાગળો પર રૅશન મળવું જોઈએ
એનએનએસડબ્લ્યૂનાં લીગલ ઍડવાઇઝર આરતી પાઈ જણાવે છે, "લૉકડાઉનના કારણે સેક્સવર્કરોની આજીવિકા ખતમ થઈ ગઈ છે. વારંવાર માંગણી થઈ રહી હતી કે શું સેક્સવર્કરોની શ્રમમંત્રાલયમાં મજૂર તરીકે નોંધણી થઈ શકે, જેથી તેઓ બરોજગાર મજૂર માટેનાં ભથ્થાં મેળવી શકે. એવું તો ચોક્કસ કહી શકાય કે આ બહુ મોટી જાહેરાત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનએચઆરસીએ પોતાના સૂચનમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર સેક્સવર્કરોની મદદ કરવાની સાથેસાથે બીજા લાભો આપી શકે છે.
પંચ મુજબ મહારાષ્ટ્ર સરકારે દૂધ પાતી માતાઓ માટે જે યોજના અમલમાં મૂકી છે, બીજાં રાજ્યો પણ તેનું અનુકરણ કરી શકે છે. મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસમંત્રાલયે જુલાઈ 2020માં જાહેરાત કરી હતી કે સેક્સવર્કરોને રૅશન આપવામાં આવશે.
એનએચઆરસીએ કહ્યું કે જો કોઈ સેક્સવર્કર પાસે રૅશનકાર્ડ અથવા આધારકાર્ડ ન હોય તો કામચલાઉ કાગળોના આધારે તેમને રૅશન મળવું જોઈએ.
જીવન ધોરણ ઊંચે લઈ જવાનો પ્રયાસ
પાઈ જણાવે છે, "મોટાભાગની સેક્સવર્કરો પોતાનું ઘર છોડીને આવતી હોય છે અને તેમની પાસે કોઈ ઓળખપત્ર હોતું નથી. એનએચઆરસી મુજબ ભલે સેક્સવર્કર પાસે ઓળખપત્ર ન હોય તો પણ તેમની મદદ કરવી જોઈએ. આની પાછળનો હેતુ તેમના માનવઅધિકારોને માન્યતા આપવાનો છે."
એનએચઆરસીએ સેક્સવર્કરોને માન્યતા આપવાની સાથે તેમને વિસ્તૃત લાભો આપવા માગે છે.
આમા પ્રવાસી મજૂરો માટેની યોજનાનો લાભ સેક્સવર્કરોને આપવાનું પણ સામેલ છે.
આ ઉપરાંત પરિવારના સભ્યો અથવા પાર્ટનર જો મારઝૂડ કરે તો સેક્સવર્કર ફરિયાદ નોંધાવે તે માટે સુરક્ષા અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન, સાબુ, સૅનિટાઇઝર અને માસ્ક આપવાં, કોવિડનું મફતમાં પરીક્ષણ અને સારવાર, અને એચઆઈવી અને બીજી બીમારીઓ સામે રક્ષણ આપવા માટે આરોગ્યસુવિધાઓ આપવાની પણ વાત કરાઈ છે.
પાઈ મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંની અચૂક વાત કરે છે.
તેઓ જણાવે છે, "આમાં સેક્સવર્કરો અને માનવતસ્કરીનો ભોગ બનેલી છોકરીઓ વચ્ચે સ્પષ્ટ રીતે વ્યાખ્યા કરી છે. સેક્સવર્કર એવી વ્યસ્ક મહિલા છે, જે પોતાની મરજીથી આજીવિકા રળવા માટે આ કામ કરે છે. બીજી તરફ માનવતસ્કરીનો ભોગ બનેલી છોકરીઓ પાસેથી બળજબરીપૂર્વક આ કામ કરાવવામાં આવે છે."
એનએચઆરસીનું સૂચન એ વખતે આવ્યું છે, જ્યારે બૉમ્બે હાઈકોર્ટ દ્વારા આ મામલે એક મહત્ત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.
હાઈકોર્ટના જજ પૃથ્વીરાજ ચવ્હાણે પોતાના ચુકાદામાં જણાવ્યું કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી જે વેશ્યાવૃત્તિને અપરાધ માને છે અથવા તો વ્યક્તિને માત્ર એટલા માટે સજા આપવામાં આવી હોય કારણ કે તે વેશ્યાવૃત્તિ સાથે જોડાયલી છે.
મહારાષ્ટ્રના સાંગલીસ્થિત સંગ્રામ સંસ્થાનાં મહા સચિવ મીના સેશુ કહે છે, "અમારી લડાઈ ભાષાના ઉપયોગને લઈને છે. કાયદો પ્રૉસ્ટિટ્યુશન અને પ્રૉસ્ટિટ્યુટ શબ્દનો ઉપયોગ કરે છે અને ક્યાંય નથી જણાવ્યું કે આ બંને શબ્દો ગેરકાયદેસર છે."
હાઈકોર્ટનો ચુકાદો સેક્સવર્કરોને મોટી રાહત આપશે કારણ કે તેમને જેલ અથવા જેલ જેવી પરિસ્થિતિમાં રહેવું પડે છે.
સેક્સવર્કરોને કાયદકીય માન્યતા મળશે?
સેશુ કહે છે, "સેક્સવર્કરોનું જે આંદોલન છે, તેમાં બહુ સ્પષ્ટ રીતે માગ કરવામાં આવી છે કે આ કામને ગેરકાયદેસર કામ તરીકે નહીં જોવામાં આવે."
"સેક્સવર્ક એ ગુનો નથી. અમે નથી કહી રહ્યા કે આને કાયદેસર માન્યતા આપો."
"એવી સ્થિતિ ક્યારેય નહીં આવે જ્યારે એક મહિલા કહે કે આવતીકાલે મને લાઇસન્સ મળી જશે અને હું સેક્સવર્કર બની જઈશ"
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો