You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉમર ખાલિદની જેએનયુની 'ટુકડે ટુકડે ગૅંગ'થી દિલ્હીનાં રમખાણો સુધીની કહાણી
- લેેખક, પ્રશાંત ચહલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણોના કેસમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા અને સંસ્થા 'યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ'ના સહસંસ્થાપક ઉમર ખાલિદની રવિવારે રાત્રે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી.
ખાલિદના પિતા સૈય્યદ કાસિમ રસૂલ ઇલિયાસે કહ્યું કે સ્પેશિયલ સેલે તેમના દીકરાની રાત્રે 11 વાગે ધરપકડ કરી. પોલીસ ખાલિદ સાથે બપોરે એક વાગ્યાથી પૂછપરછ કરી રહી હતી. 11 કલાક ચાલેલી પૂછપરછ પછી પોલીસે ખાલિદની રમખાણોના કેસમાં 'કાવતરાખોર' તરીકે ધરપકડ કરી લીધી.
33 વર્ષના ઉમર ખાલિદના પિતાનું માનવું છે કે 'તેમના દીકરાને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.'
સંસ્થા 'યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ' અનુસાર, ઉમર ખાલિદની ધરપકડ કેસની મુખ્ય એફઆઇઆર 59માં યૂએપીએ એટલે ગેરકાયદેસર પ્રવત્તિ નિવારણ અધિનિયમની વિવિધ કલમ હેઠળ કરાઈ છે.
સંસ્થાએ જણાવ્યું કે દિલ્હી પોલીસ સીએએની સામે થયેલા વિરોધનું અપરાધીકરણ કરવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ સીએએ અને યૂએપીએ જેવા ક્રૂર કાયદાઓની સામે લડાઈ ચાલુ રહેશે. સાથે જ સંસ્થાએ માગ કરી છે કે દિલ્હી પોલીસ દરેક રીતે ઉમર ખાલિદની સુરક્ષાને સુનિશ્ચિત કરે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે રમખાણોની પાછળ એક ષડયંત્ર હતું. રમખાણોના કેસમાં 6 માર્ચ, 2020એ નોંધાયેલી મૂળ એફઆઈઆર નંબર-59માં આ કથિત ષડયંત્ર વિશે છે, જેમાં સૌથી પહેલું નામ ઉમર ખાલિદનું છે.
એફઆઈઆર પ્રમાણે ઉમર ખાલિદે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન રમખાણો (ફેબ્રુઆરી 2020)નું ષડયંત્ર રચ્યું હતું અને પોતાના સહયોગીઓની મદદથી ભીડ એકઠી કરી.
જ્યારે ગૃહમંત્રીની જીભે ખાલિદનું ભાષણ
સંસદમાં દિલ્હીનાં રમખાણો પર જવાબ આપતાં ભારતના ગૃહમંત્રી અમિત શાહે ઉમર ખાલિદનું નામ લીધા વિના 17 ફેબ્રુઆરીએ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૃહમંત્રીએ કહ્યું, "17 ફેબ્રુઆરીએ આ ભાષણ આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવે ત્યારે આપણે દુનિયાને દેખાડીશું કે હિંદુસ્તાનની સરકાર જનતાની સાથે શું કરી રહી છે. હું તમને સૌને અપીલ કરું છું કે દેશના નેતાઓની સામે બહાર નીકળો. આ પછી 23-24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રમખાણો થયાં."
ઉમર ખાલિદે 17 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલા ભાષણનો ઉલ્લેખ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ પુરાવાના રૂપે કર્યો છે.
પરંતુ ફેક્ટ ચેક કરનારી કેટલીક જાણીતી વેબસાઇટે એ દાવો કર્યો છે કે ઉમર ખાલિદના ભાષણનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવીને તેમની સામે ભ્રમ ફેલાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, કારણ કે તેમના ભાષણના અડધા વીડિયોને સાંભળીને લાગે છે કે 'તે લોકોને ભડકાવી રહ્યા છે.'
જ્યારે ઉમર ખાલિદે પોતાના ભાષણમાં કહ્યું હતું, "જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં હશે ત્યારે આપણે રસ્તાઓ પર ઊતરવું પડશે. 24 તારીખે ટ્રમ્પ આવશે ત્યારે દેખાડીશું કે હિંદુસ્તાનની સરકાર દેશના ભાગલા પાડવાના પ્રયત્નો કરી રહી છે."
"મહાત્મા ગાંધીના સિદ્ધાંતોના લીરા ઉડાડવામાં આવી રહ્યા છે. આપણે દુનિયાને દેખાડીશું કે જનતા હિંદુસ્તાનની શાસકોની વિરુદ્ધમાં લડી રહી છે. એ દિવસે આપણે તમામ લોકો રસ્તો પર ઊતરીશું. "
કાયદાના જાણકારો લોકોના મત અનુસાર લોકોને પ્રદર્શન કરવા માટે કહેવું બંધારણ પ્રમાણે ગુનો નથી, પરંતુ લોકતાંત્રિક અધિકાર છે. જ્યારે લોકોને હિંસા માટે ઉશ્કેરવા એ ગુનાની શ્રેણીમાં આવે છે.
રાજદ્રોહનો કેસ
ઉમર ખાલિદનું નામ પહેલીવાર જેએનયુના વિદ્યાર્થી નેતા રહેલા કનૈયા કુમારની સાથે ફેબ્રુઆરી 2016માં ચર્ચામાં આવ્યું હતું. પરંતુ ત્યારથી અનેક કેસમાં અને પોતાનાં કેટલાંક નિવેદનોના કારણે ખાલિદ સતત ચર્ચામાં રહ્યા છે.
ખાસ કરીને મોદી સરકારની ટીકા કરવાના કારણે ઉમર ખાલિદ દક્ષિણપંથી વલણ રાખનાર લોકોના નિશાના પર રહે છે.
આ હાલના કેસ પહેલાં ફેબ્રુઆરી 2016માં 'સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુની ફાંસીની વર્ષી પર યોજાયેલો કાર્યક્રમ' ઉમર ખાલિદને ઘણો મોંઘો પડ્યો હતો.
આરોપ લાગ્યો કે આ કાર્યક્રમમાં કથિત રીતે ભારતવિરોધી નારા પોકારાયા હતા.
આરોપ હતો કે કથિત નારાબાજી કરવામાં જેએનયુ છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર અને છ અન્ય વિદ્યાર્થીઓમાં ઉમર ખાલિદ પણ સામેલ હતા.
આ પછી ઉમર ખાલિદ પર રાજદ્રોહનો કેસ લાગ્યો. તે પોલીસ રિમાન્ડ પર રહ્યા અને થોડા સમય પછી તેમને કોર્ટમાંથી જામીન મળી ગયા.
પરંતુ ભારતીય મીડિયાના એક જૂથે તેમને 'દેશદ્રોહી' કહ્યા, ત્યાં સુધી કે તેમના સાથીઓને 'ટુકડે-ટુકડે ગૅંગ' કહેવામાં આવી. ઉમર ખાલિદ વારંવાર કહે છે કે મીડિયાએ તેમની આ છબિને બનાવી છે, જેના કારણે કેટલાક લોકોની નફરતનો તેઓ શિકાર બની રહ્યા છે.
જાન્યુઆરી 2020માં ઉમર ખાલિદે ગૃહમંત્રી અમિત શાહને પડકાર ફેંક્યો હતો કે જો તેઓ 'ટુકડે-ટુકડે ગૅંગ'ને સજા કરવા માગતા હોય અને તેઓ પોતાની વાતના પાક્કા હોય, તો 'ટુકડે-ટુકડે' સ્પીચ માટે તેમની સામે કોર્ટમાં કેસ કરે. આ પછી સ્પષ્ટ થઈ જશે કે કોણે હેટ સ્પીચ આપી અને કોણ દેશદ્રોહી છે."
બુરહાન વાણી પર ટિપ્પણી
જુલાઈ 2016માં હિજબુલ કમાન્ડર બુરહાન વાણીના મૃત્યુ પછી કાશ્મીર ખીણમાં મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી અને આ ઘટનાએ વિરોધપ્રદર્શનોને જન્મ આપ્યો હતો, જેમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા.
બુહરાનની અંતિમયાત્રામાં પણ મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઈ હતી, જે પછી ઉમર ખાલિદે ફેસબુક પર બુહરાન વાણીની 'પ્રશંસા' કરતી પોસ્ટ લખી હતી, જેની ઘણી ટીકા થઈ હતી.
ટીકાને ધ્યાનમાં લઈને ઉમર ખાલિદે આ પોસ્ટને થોડા સમય પછી હઠાવી દીધી હતી. પરંતુ ત્યા સુધીમાં સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ થઈ ગયો હતો. જોકે અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા હતા.
દિલ્હી યુનિવર્સિટીમાં કાર્યક્રમ
ફેબ્રુઆરી 2017માં દિલ્હી યુનિવર્સિટીની રામજસ કૉલેજની લિટરરી સૉસાયટીના એક ટૉક શોમાં ભાગ લેવા ઉમર ખાલિદ અને વિદ્યાર્થી નેતા શેહલા રશીદને બોલાવવામાં આવ્યાં હતાં.
ઉમરે 'ધ વૉર ઇન આદિવાસી ઍરિયા વિષય પર બોલવાનું હતું.
પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા હતા, જેના દબાણમાં આવીને રામજસ કૉલેજના તંત્રે બંને વકતાઓનું આમંત્રણ રદ કરી નાખ્યું હતું.
પરંતુ આને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ ઍસોસિયેશન (આઇસા)ના સભ્યો વચ્ચે ડીયુ કૅમ્પસમાં હિંસક ઝપાઝપી થઈ હતી.
ઉમર ખાલિદ પર હુમલો
ઑગસ્ટ 2018માં દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબની બહાર કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ ઉમર ખાલિદ પર કથિત રીતે ગોળી ચલાવી હતી. ખાલિદ ત્યાં 'ટૂવર્ડ્સ ઍ ફ્રીડમ વિધાઉટ ફિયર'નામના કાર્યક્રમમાં સામેલ થવા ગયા હતા.
નજરે જોનારે કહ્યું કે સફેદ કમીઝ પહેરીને આવેલી એક વ્યક્તિએ ઉમર ખાલિદને ધક્કો માર્યો અને ગોળી ચલાવી. પરંતુ ખાલિદ પડી જવાના કારણે ગોળી તેમને વાગી નહીં.
આ ઘટના પછી ઉમર ખાલિદે કહ્યું, "જ્યારે તેણે મારી સામે પિસ્તોલ તાકી ત્યારે હું ડરી ગયો હતો. મને ગૌરી લંકેશની સાથે જે થયું હતું તેની યાદ આવી ગઈ."
"હં એકલો હતો જેને પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવ્યો."
ભીમા-કોરેગાવમાં થયેલી હિંસાના કેસમાં ગુજરાતના નેતા જિગ્નેશ મેવાણીની સાથે ઉમર ખાલિદનું નામ પણ લેવામાં આવે છે કે બંનેએ પોતાનાં ભાષણોથી લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું.
ઉમર ખાલિદ સાર્વજનિક ભાષણ આપે અથવા જે મુદ્દા પર પોતાની વાત રાખે, તે ચર્ચાસ્પદ બની જાય છે.
ઉમર ખાલિદ અંગ્રેજી અને હિંદી, બંને ભાષાઓમાં સારું બોલે છે. ભારતના આદિવાસીઓ પર તેમનું વિશેષ સંશોધન છે.
તેઓ દિલ્હીની બંને મોટી યુનિવર્સિટી ડીયુ અને જેએનયુમાં ભણી ચૂક્યા છે. તેઓ કેટલાંક સામાજિક સંગઠનો દ્વારા માનવઅધિકારોના મુદ્દા પર વાત કરે છે.
ઉમર ખાલિદે કૉંગ્રેસના શાસનકાળમાં થયેલા 'બાટલા હાઉસ ઍન્કાઉન્ટર' પર પણ અનેક સવાલો ઉઠાવ્યા છે.
પોતાનાં ભાષણોમાં તેમણે કહ્યું છે કે 'કેટલાક વિશેષ કાયદાઓ હેઠલ પોલીસને મળનારી વધારાની સત્તાથી માનવઅધિકારો પર હંમેશાં ભય રહે છે.'
ગત વર્ષે પોતાના એક લેખમાં ઉમર ખાલિદે લખ્યું હતુ, "2016માં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હું એકલો જ હતો જેને પાકિસ્તાન સાથે જોડવામાં આવ્યો."
"ગાળો આપવામાં આવી અને ત્યાં સુધી આરોપ લગાવવામાં આવ્યો કે હું બે વખત પાકિસ્તાન જઈ આવ્યો છું. પરંતુ જ્યારે દિલ્હી પોલીસે આ દાવાઓને ખોટા સાબિત કર્યા, ત્યારે કોઈએ મારી પાસે માફી ન માગી? આનું કારણ હતુ? ઇસ્લામોફોબિયા. શું મને સ્ટિરિયોટાઇપનો શિકાર બનાવવામાં આવ્યો?"
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો