રાજસ્થાન: અશોક ગેહલોતની કૉંગ્રેસ સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો

લાંબા સમયથી ચાલી રહેલા રાજસ્થાનના રાજકીય સંકટનો આજે અંત આવ્યો છે.

સમાચારા એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર રાજસ્થાન વિધાનસભામાં મુખ્ય મંત્રી અશોક ગેહલોતની કૉંગ્રેસ સરકારે વિશ્વાસ પ્રસ્તાવ જીત્યો છે.

અશોક ગેહલોતની સરકારને 107 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે.

રાજસ્થાનમાં ભારે રાજકીય ઉથલપાથલ પછી શુક્રવારે વિધાનસભાનું સત્ર મળ્યું હતું. રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને સચિન પાઇલટ વચ્ચે ચાલેલાં રાજકીય ખટરાગ પછી આ સત્ર મળ્યું હતું.

અગાઉ સત્ર ત્વરિત યોજવાની કૉંગ્રેસની માગણી રાજ્યપાલે ફગાવી દીધી હતી અને એ પછી સત્ર મળ્યું હતું.

આ જ અરસામાં અશોક ગેહલોતથી નારાજ સચીન પાઇલટે કૉંગ્રેસ પક્ષ સાથે સમાધાન કરી લીધું છે. ગુરૂવારે તેઓ મુખ્ય મંત્રી અશોક ગેહલોતને મુખ્યમંત્રી નિવાસસ્થાને મળ્યા હતા.

સચીન પાઇલટને મનાવી લેવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દરમિયાનગીરી કરી હોવાનું કહેવાય છે.

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે "અમે ખુદ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું."

રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ પંજાબમાં પણ કૉંગ્રેસમાં ફૂટ?

'જનસત્તા'ના અહેવાલ અનુસાર મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે પંજાબમાં પણ કૉંગ્રેસ પાર્ટીમાં આંતરિક ખેંચતાણના સમાચાર સામે આવ્યા છે.

કૉંગ્રેસના સાંસદ પ્રતાપસિંહ બાજવાએ પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહ પર નિશાન સાધ્યું છે.

બાજવાએ મુખ્ય મંત્રી અમરિન્દર સિંહ પર પટિયાલાના મહારાજની જેમ વર્તવાનો આરોપ લગાવ્યો છે.

બાજવાએ કહ્યું કે "હું કૅપ્ટન અમરિન્દર સિંહને પૂછવા માગું છું કે શું તેઓ લોકતંત્રમાં વિશ્વાસ રાખે છે. તમે લોકતાંત્રિક રીતે સીએ તરીકે પસંદ થયા છો અને પટિયાલાના મહારાજા નથી."

ચંદીગઢના ડીજીપીને લખેલા પત્રમાં બાજવાએ કહ્યું કે કૉંગ્રેસ સરકારે તેમની પોલીસસુરક્ષા પરત લઈ લીધી છે.

ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચે ઐતિહાસિક શાંતિકરાર

ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાતના સંબંધોને સામાન્ય કરવાને લઈને સહમતી સધાઈ ગઈ છે, જેની ઘોષણા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે.

એક સંયુક્ત નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ અલ નાહયાને કહ્યું કે આશા છે કે "આ ઐતિહાસિક સફળતાથી મધ્ય પૂર્વમાં શાંતિ વધશે."

તેઓએ કહ્યું કે તેના પરિણામ સ્વરૂપ, ઇઝરાયલ વેસ્ટ બૅન્કના મોટા હિસ્સાને મિલાવવાની પોતાના યોજનાને સ્થગિત કરી દેશે.

અત્યાર સુધી ઇઝરાયલના અખાતના આરબ દેશો સાથે કોઈ રાજદ્વારી સંબંધ નહોતા.

જોકે આ વિસ્તારમાં ઈરાનને લઈને ઇઝરાયલ અને આરબ દેશોની ચિંતાઓ સમાન છે, જેને કારણે બંને પક્ષો વચ્ચે અનૌપચારિક સંપર્ક થતો રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો